
સંયુક્ત રાષ્ટ્રના તપાસ પંચે ઇઝરાયલ પર ગાઝા અને વેસ્ટ બેંકમાં પેલેસ્ટિનિયન બાળકોને જાણી જોઈને નિશાન બનાવવાનો આરોપ લગાવ્યો છે.
પંચના અહેવાલ મુજબ ઓક્ટોબર 2023થી અત્યાર સુધીમાં 20 હજારથી વધુ બાળકોનાં મોત થયા છે. અહેવાલમાં જણાવાયું છે કે બાળકોને નિશાન બનાવીને કરાયેલી હત્યાઓના પાકા પુરાવા મળ્યા છે. ઇઝરાયલી સેના માનવતા વિરુદ્ધના ગુનાઓ અને યુદ્ધ અપરાધો માટે જવાબદાર છે.
અહેવાલમાં જણાવાયું છે કે 7 ઓક્ટોબર 2023 પછી 20 હજારથી વધુ પેલેસ્ટિનિયન બાળકો માર્યા ગયા છે અને 44 હજારથી વધુ ઘાયલ થયા છે. આ સમયગાળા દરમિયાન કુલ મૃત્યુમાં લગભગ 30% બાળકોનો સમાવેશ થતો હતો.
પંચના અધ્યક્ષ અને ભારતના પૂર્વ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ એસ. મુરલીધરે અહેવાલ જાહેર કરતા જણાવ્યું કે તપાસમાં બાળકોને નિશાન બનાવીને કરાયેલા હુમલાઓના પાકા પુરાવા મળ્યા છે.
રિપોર્ટ મુજબ, બાળકોનાં મોત હવાઈ હુમલાઓ, ડ્રોન હુમલાઓ અને સ્નાઈપર ફાયરિંગમાં થયા હતા. ઘણા કિસ્સાઓમાં, તેમના માથા અને શરીરના ઉપરના ભાગને નિશાન બનાવવામાં આવ્યા હતા.યુદ્ધવિરામ પછી પણ બાળકોના મૃત્યુ ચાલુ રહ્યા
ઓક્ટોબર 2025માં ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ લાગુ થયા પછી પણ પેલેસ્ટિનિયન બાળકોના મૃત્યુ અને ઘાયલ થવાની ઘટનાઓ ચાલુ રહી. આયોગે એ જણાવ્યું નથી કે યુદ્ધવિરામ પછી કેટલા બાળકો માર્યા ગયા.
UNICEFએ ગયા અઠવાડિયે દાવો કર્યો હતો કે યુદ્ધવિરામ લાગુ થયા પછી પણ સરેરાશ દરરોજ એક પેલેસ્ટિનિયન બાળકનો જીવ ગયો. UNICEFના પ્રવક્તા જેમ્સ એલ્ડર અનુસાર, બાળકો તેમના ઘરો, શાળાઓ, રમતના મેદાનો અને અહીં સુધી કે દરિયા કિનારે પણ માર્યા ગયા.
આયોગે તેના અહેવાલમાં 18 વર્ષથી ઓછી ઉંમરના તમામ લોકોને બાળક ગણ્યા છે. અહેવાલ મુજબ, આ બાળકોને ‘આતંકવાદી અથવા ભવિષ્યના આતંકવાદી’ માનીને નિશાન બનાવવામાં આવ્યા.
આયોગ અનુસાર, ઓક્ટોબર 2023 થી ઓક્ટોબર 2025 વચ્ચે લગભગ 58 હજાર બાળકોએ તેમના એક અથવા બંને માતા-પિતા ગુમાવ્યા. અહેવાલમાં એ પણ કહેવામાં આવ્યું છે કે કુપોષણના કારણે 151 બાળકોના મૃત્યુ થયા અને એક હજારથી વધુ બાળકોના અંગ કાપવા પડ્યા.ઇઝરાયલે રિપોર્ટને ફગાવ્યો
રિપોર્ટ સામે આવ્યા બાદ ઇઝરાયલે તેને સંપૂર્ણપણે ફગાવી દીધો. જિનીવામાં ઇઝરાયલના UN મિશને રિપોર્ટને બદનામ કરવાનો પ્રયાસ ગણાવતા કહ્યું કે તપાસ પંચ શરૂઆતથી જ ઇઝરાયલ વિરુદ્ધ પક્ષપાતી રહ્યું છે.
મિશનનું કહેવું છે કે આયોગનો હેતુ તથ્યોની તપાસ કરવાનો નથી, પરંતુ કોઈ પણ ભોગે ઇઝરાયલને કઠેડામાં ઊભું કરવાનો છે. ઇઝરાયલી વિદેશ મંત્રાલયે પણ રિપોર્ટ પર સવાલો ઉઠાવ્યા. મંત્રાલયે કહ્યું કે રિપોર્ટમાં હમાસના હુમલામાં માર્યા ગયેલા અને અપહરણ કરાયેલા ઇઝરાયલી બાળકોનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
ઇઝરાયલનો આરોપ છે કે હમાસે યુદ્ધ દરમિયાન પેલેસ્ટિનિયન બાળકોનો માનવ ઢાલ તરીકે ઉપયોગ કર્યો, પરંતુ UN રિપોર્ટે આ મુદ્દાને પણ અવગણ્યો.
પાંચ વર્ષથી ઓછી ઉંમરના 5 હજાર બાળકોના મોત
ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ યુદ્ધમાં 21 હજારથી વધુ પેલેસ્ટિનિયન બાળકોના જીવ ગયા. આમાંથી 5,031 બાળકો એવા હતા, જેમની ઉંમર 5 વર્ષથી પણ ઓછી હતી.
મૃત્યુ પામેલાઓમાં 1,029 બાળકો એક વર્ષથી ઓછી ઉંમરના હતા, જ્યારે લગભગ 420 નવજાત શિશુઓ એવા હતા, જેમણે દુનિયામાં આવ્યાના થોડા જ સમય પછી જીવ ગુમાવ્યો.
આયોગે જણાવ્યું કે રિપોર્ટ તૈયાર કરવા માટે ડોકટરો, વકીલો, શિક્ષકો, પત્રકારો અને પ્રત્યક્ષદર્શીઓ પાસેથી માહિતી એકત્રિત કરવામાં આવી. તપાસ દરમિયાન આયોગે 7 ઓક્ટોબર 2023 પછી ઇઝરાયલને 13 વખત પ્રશ્નો અને માહિતી માટેની વિનંતીઓ મોકલી, પરંતુ કોઈપણ પત્રનો જવાબ મળ્યો નહીં.
