સદગુરુ કૃપા હી કેવલમ.રક્ષાબંધન
પરિચય- ફાલ્ગુની વસાવડા.
શીર્ષક- પ્રાસંગિક.
રક્ષાનાં બંધનથી બંધાયેલ શ્રીકૃષ્ણ એ દ્રૌપદીનું ચીરહરણ થયુ ત્યારે તેની લાજ બચાવી હતી.
આજે શ્રાવણ સુદ પૂનમ રક્ષાબંધન અને નાળિયેરી પૂનમ નામે ઓળખાતો તહેવાર છે. આપણે ત્યાં હિન્દુ સંસ્કૃતિમાં ભાઈ-બહેનનાં પવિત્ર સ્નેહને દર્શાવતું ને ઉતરોત્તર પ્રેમ વધારતું આ એક અનેરું પર્વ છે, જેમાં બહેન પોતાનાં ભાઈનાં હાથે રક્ષાસૂત્ર એટલે કે રાખડી બાંધે છે. ભાઈ પરનાં અતૂટ વિશ્વાસથી રાખડી બાધે છે. આ ઉપરાંત બહેન ભાઈનાં કપાળમાં તિલક કરી પોતાના ભાઇનું જીવન સદાય સુખી અને આનંદ ભર્યું રહે, શરીર સ્વસ્થ રહે, તેમજ જીવનનાં દરેક મુકામે સફળતા પ્રાપ્ત કરે, એવાં આશિષ વરસાવે છે. બહેન પ્રત્યે ભાઈને કાયમ સ્નેહભરી લાગણી હોય છે, અને બહેનને પણ પોતાનાં ભાઈથી વધુ કંઈ જ હોતું નથી. આવા નિર્દોષ નિખાલસ અને અનન્ય પ્રેમનું પર્વ એટલે રક્ષાબંધન. આ વર્ષની રક્ષાબંધન એક અનન્ય સંયોગ લઈને આવી છે, એટલે કે પંચક પણ નથી અને ભદ્રાનો ઓછાયો પણ નથી. ઉપરાંત પાંચ શુભ યોગ પણ છે, આ દિવસે સૂર્યદેવ પોતાની જ રાશિ સિંહમાં બિરાજમાન છે, જ્યાં તેમની સાથે બુદ્ધ ગ્રહ જોડાયેલા હોવાથી ‘બુધાદિત્ય રાજયોગ’ બની રહ્યો છે જ્યોતિષીય ગણતરી મુજબ, આ વર્ષે રક્ષાબંધન પર ગ્રહોની ચાલ અને યોગ વિશેષ અસરો લાવશે.
*બુધાદિત્ય યોગ: સિંહ રાશિમાં સૂર્ય અને બુધની યુતિ થઈ રહી છે, જે આ તહેવારની શુભતામાં મોટો વધારો કરે છે.આ દિવસે શતભિષા નક્ષત્ર, સુકર્મા યોગ, ત્રિપુષ્કર યોગ, અને સર્વાર્થ સિદ્ધિ યોગ સહિત કુલ સાત શુભ જ્યોતિષીય સંયોગો બની રહ્યા છે. કર્ક રાશિમાં ગુરુ એટલે કે બૃહસ્પતિ ઉચ્ચ સ્થાને હોવાથી તે પણ કૌટુંબિક સુખ-શાંતિ માટે ખૂબ અનુકૂળ છે. પરંતુ એક તરફ જ્યાં શુભ યોગો છે, ત્યાં બીજી તરફ આ દિવસે ૪ મુખ્ય ગ્રહોની સ્થિતિ પડકારજનક પણ છે.
શનિ, રાહુ અને કેતુ, આ ત્રણ ગ્રહો વક્ર એટલે કે ઊંધા ચાલે ચાલી રહ્યા છે.બુધ ગ્રહ સૂર્યની નજીક હોવાને કારણે અસ્ત અવસ્થામાં રહેશે
આ જ દિવસે આંશિક ચંદ્રગ્રહણ પણ થવાનું છે, જોકે તે ભારતમાં દેખાવાનું ન હોવાથી તેની ધાર્મિક અસરો કે સૂતકકાળ અહિયાં લાગુ પડતો નથી.ભારતમાં રક્ષાબંધન શું કામ મનાવવામાં આવે છે? એનાં કોઈ ચોક્કસ કારણો મળતાં નથી. પરંતુ પુરાણો સાથે ક્યાંક તેની વાત જોડાયેલી છે ખરી.
રક્ષાબંધનનો તહેવાર આમ તો દ્વાપર યુગથી શરૂ થયો હશે, કારણ કે કૃષ્ણના જીવન સાથે એનાં છેડા અડેલા છે. શ્રીકૃષ્ણના ફોઈ શ્રુત દેવી એ એક પુત્રને જન્મ આપ્યો જે દેખાવે ખૂબ જ વિચિત્ર હતો. તેને ચાર હાથ અને ત્રણ આંખ હતી, તેના જન્મ સમયે જ ભવિષ્યવાણી કે આકાશવાણી થઇ અને કહેવામાં આવ્યું કે આ બાળકને જેનાં સ્પર્શથી સુંદર દેખાવ પ્રાપ્ત કરશે, એના જ હાથે તેનું મૃત્યુ પણ થશે. એકવાર શ્રીકૃષ્ણ શ્રુતદેવીનાં ઘરે જાય છે, અને નાનાં શિશુપાલને પોતાના હાથેથી તેડી લે છે, બરાબર એ જ સમયે બાળક સુંદર દેદીપ્યમાન સ્વરૂપ ધારણ કરે છે, અને તેના ફોઈ એટલે કે શ્રુતદેવી ખૂબ જ રાજી થઇ જાય છે. પરંતુ આકાશવાણી યાદ આવતાં તેને થાય છે કે મારા પુત્રનું મૃત્યુનું કારણ પણ શ્રીકૃષ્ણ બનશે, આથી તે પોતાનાં પુત્રની સલામતી માટે શ્રીકૃષ્ણને પ્રાર્થના કરે છે, અને કહે છે કે મારા પુત્રનું આયુષ્ય તમારે હાથે છે, તો ક્ષમા કરો. શ્રીકૃષ્ણ ફોઈને વચન આપે છે કે, હું 100 ભૂલ સુધી માફ કરીશ, પરંતુ 101મી ભૂલે તેનો વધ થશે. શિશુપાલ ધીરે ધીરે મોટો થતો જાય છે, અને એક અત્યંત ક્રૂર વ્યક્તિ બને છે. જે આગળ જઈને એક રાજા પણ બને છે, જ્યાં તે તેની પ્રજા પર ખૂબ જ ત્રાસ ગુજારે છે,અને પ્રજાને ચૂપચાપ તેનો ત્રાસ સહન કરવો પડે છે. આ ઉપરાંત તે શ્રીકૃષ્ણને વારંવાર પડકાર કરે છે. એક વખત રાજસભામાં શિશુપાલ પોતાની હદ પાર કરી જાય છે, અને શ્રીકૃષ્ણની ખૂબ નિંદા કરે છે. 100 વાર સુધી શ્રીકૃષ્ણ તેને માફ કરે છે પરંતુ 101 મી વારે શ્રીકૃષ્ણ સુદર્શનચક્રથી શિશુપાલનું મસ્તક છેદી નાખે છે, અને ક્રોધમાં તેની આંગળી પણ છેદાઈ જાય છે. ત્યાં હાજર લોકો શ્રીકૃષ્ણની આંગળી પર બાંધવા પાટો શોધવા દોડાદોડ કરે છે, પરંતુ બાજુમાં જ ઊભેલી દ્રૌપદી કંઈ પણ વિચાર્યા વગર પોતાની સાડી ફાડી અને તે શ્રીકૃષ્ણને બાંધી આપે છે, એટલે શ્રીકૃષ્ણ કહે છે, બહેન તેં મારી રક્ષા કરી છે, હું પણ સમયે તમારી રક્ષા કરીશ. એક દિવસ કૌરવ-પાંડવો ધૃત ક્રીડા કરી રહ્યાં હતાં, અને પાંડવોની હાર પર હાર થતી હતી. પાંડવો એ દ્રૌપદીને દાવ પર રાખી દીધી, અને હારી ગયાં. આથી કૌરવોએ ભરી સભામાં દ્રૌપદીનાં ચીર ખેંચ્યા,અને શ્રીકૃષ્ણ એ સમયે આવીને તેનું રક્ષણ કર્યું. ત્યારથી આ ભાઈ બહેનના પવિત્ર સંબંધને દર્શાવતો રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે. આ ઉપરાંત કહેવાય છે કે માતા કુંતીએ પણ પોતાનાં પૌત્ર અભિમન્યુને રાખડી બાંધી હતી, અને તેને કારણે અભિમન્યુ ચક્રવ્યૂહના કોઠામાંથી પસાર થઈ શક્યો.
એકવાર દેવો અને દાનવો વચ્ચે ખૂબ જ લાંબું મહાયુદ્ધ ચાલ્યું હતું, કહેવાય છે કે બાર વર્ષ સુધી આ યુદ્ધ ચાલ્યું, અને દેવતાઓ ચિંતિત થઈ ગયાં, કારણ મોટાભાગના દાનવો વરદાનથી આરક્ષિત હતાં, અને દેવોના દેવ ઈન્દ્ર ગભરાઈ ગયા હતાં, અને તેમણે લગભગ શરણાગતિ સ્વીકારી લીધી હતી, ત્યારે રાણી ઈન્દ્રાણીએ તેમને રક્ષાસૂત્ર બાંધી યુદ્ધમાં મોકલ્યાં હતાં, અને કહ્યું હતું કે રક્ષાસૂત્ર તમારી રક્ષા કરશે, અને ત્યારે તેમનો વિજય થયો હતો.
ભગવાન વિષ્ણુ પણ બલિ રાજાને ત્યાં દ્વારપાળ તરીકે રહેવું પડ્યું હતું, ત્યારે લક્ષ્મીજીએ બલિરાજાને પોતાનો ભાઈ બનાવી અને વિષ્ણુને છોડાવ્યા હતાં. બલિરાજા એ કહ્યું હતું કે રક્ષાબંધન એના જીવનનો મહાન દિવસ હતો. આમ રાખડી એટલે કે રક્ષા પોટલી એ રક્ષા કરવાના હેતુથી બાંધવામાં આવે છે! તેથી જ રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે.
આમ રાખડી કે રક્ષાસૂત્ર એ બાંધનારના મનમાં ભરોસો પ્રતિપાદિત કરે છે, અને બંધાવનારનાં મનમાં સાહસ અને વીરતાનાં ભાવ ઊભા કરે છે, જે કાયમ પોતાની બહેનનું રક્ષણ કરવા માટે તૈયાર રહે છે. આ ઉપરાંત આ દિવસે ભાઈ પોતાની બહેનને વીર પસલી આપી તેનાં સ્નેહ પ્રત્યેનું માન દર્શાવે છે.
આ ઉપરાંત શ્રાવણ સુદ પૂનમને દિવસે બળેવ નો તહેવાર પણ હોય છે, એટલે કે બ્રાહ્મણો આ દિવસે જનોઈ બદલે છે. જનોઈ એટલે કે યજ્ઞોપવિત એ એક એવો સંસ્કાર છે, જે ધારણ કરવાથી કરનારનું પતનથી રક્ષણ થાય છે. એટલે કે તેનામાં નીતિમત્તા જળવાઈ રહે છે, પ્રમાણિકતા જળવાઈ રહે છે, અને ઇમાનદારી પૂર્વક પોતાનું કર્તવ્ય કર્મ, નિષ્પક્ષ એ કાર્યક્ષેત્રમાં કાર્ય કરે જીવન અને ઊજળું બનાવે છે. જનોઈ માં નવ તાંતણા આવેલાં હોય છે, અને ત્રણ ત્રણમાં ગુંથાયેલા ત્રિસૂત્રની હોવાથી તેને ત્રિસૂત્રી પણ કહેવાય છે’,જે અનુક્રમે ઋગ્વેદ, યજુર્વેદ, અને અર્થવેદનાં પ્રતીકરૂપે ધારણ કરવામાં આવે છે. આમ વેદોનું સ્મરણ રહે, અને આપણી સંસ્કૃતિ મુજબનું જીવન જીવી શકે, એ માટે થઈને ઉચ્ચ વર્ણના લોકોમાં યજ્ઞોપવિત સંસ્કાર આપવામાં આવતો, જેને કારણે માત્ર વર્ણ પ્રેરક નહીં, સાચાં બ્રાહ્મણ જેવું આચરણ બની રહેતું હતું.
ભારતીય સમાજમાં નારીને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે, અને મહત્વ જળવાઈ રહે એટલે ભાઈ પોતાની બહેનને આજીવન તેની રક્ષાનું વચન આપે છે, અને બહેન પણ તેનાં ભાઈને સ્વસ્થ અને લાંબાં આયુષ્ય માટે સદાય ઈશ્વર આગળ પ્રાર્થના કરે છે, આપણે સૌ આ તહેવારને એની ગરિમા બની રહે તેમ ઊજવવી જોઈએ.
લી. ફાલ્ગુની વસાવડા.(ભાવનગર)
