
એમજીએમ હેલ્થકેરના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ નિષ્ણાંતો ટ્રાન્સપ્લાન્ટ સર્જરી માટે એપિક ખાતે ઉપલબ્ધ રહેશે
બંને સંસ્થાઓ LVAD ઇમ્પ્લાન્ટેશન માટે પણ સાથે મળીને કામ કરશે, જેનો લાભ ગુજરાત અને આસપાસનાં રાજ્યોના યોગ્ય દર્દીઓને મળશે
ભારતમાં થતા હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ્સમાં ગુજરાતનો હિસ્સો 2021માં 8.50 ટકા હતો, જે 2025માં વધીને 15.06 ટકા થયો
અમદાવાદ, 26 ઓગસ્ટ: અમદાવાદમાં આવેલી 280 બેડની અગ્રણી હોસ્પિટલ એપિક મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલે બુધવારે ચેન્નાઈ સ્થિત એમજીએમ હેલ્થકેર સાથે ક્લિનિકલ ભાગીદારીની જાહેરાત કરી હતી. આ ભાગીદારીનો હેતુ હોસ્પિટલના હાલના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ (હૃદયના પ્રત્યારોપણ) પ્રોગ્રામ તેમજ અદ્યતન હાર્ટ ફેલ્યોર સારવારને વધુ મજબૂત બનાવવાનો છે. આ વ્યવસ્થા હેઠળ એમજીએમ હેલ્થકેરના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ નિષ્ણાંતો હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની સર્જરી માટે એપિક ખાતે ઉપલબ્ધ રહેશે. આ ઉપરાંત, બંને સંસ્થાઓ યોગ્ય દર્દીઓ માટે Left Ventricular Assist Device (LVAD) ઇમ્પ્લાન્ટેશન માટે પણ સાથે મળીને કામ કરશે.
એપિક હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટે માન્યતા પ્રાપ્ત કેન્દ્ર છે અને અહીં અગાઉ પણ હૃદય પ્રત્યારોપણની સર્જરી કરવામાં આવી છે. આ ભાગીદારીથી એમજીએમ હેલ્થકેરની હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ અને ગંભીર હાર્ટ ફેલ્યોરના એડવાન્સ્ડ મેનેજમેન્ટ અંગેની વિશેષ નિપુણતા એપિકની હાલની તબીબી ક્ષમતાઓ સાથે જોડાશે.
ગુજરાતમાં તાજેતરના વર્ષોમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની પ્રવૃત્તિમાં વધારો થયો છે ત્યારે આ ભાગીદારી થઈ છે. નેશનલ ઓર્ગન એન્ડ ટિશ્યૂ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન (NOTTO)ના આંકડા અનુસાર, ગુજરાતમાં 2021માં 13, 2022માં 20, 2023માં 29, 2024માં 33 અને 2025માં 36 હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થયા હતા. આ જ સમયગાળા દરમિયાન સમગ્ર ભારતમાં અનુક્રમે 153, 243, 221, 253 અને 239 હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થયા હતા.
ભારતમાં થતા હાર્ટ ટ્રાન્સપ્લાન્ટમાં ગુજરાતનો હિસ્સો 2021માં 8.50 ટકા હતો, જે 2025માં વધીને 15.06 ટકા થયો હતો. 2023થી 2025 દરમિયાન દેશમાં કુલ 713 હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ નોંધાયા
હતા, જેમાંથી 98 હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ ગુજરાતમાં થયા હતા. એટલે કે કુલ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટમાં ગુજરાતનો હિસ્સો 13.74 ટકા રહ્યો હતો.
એપિક મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલના સ્થાપક અને ડિરેક્ટર ડૉ. અનિલ જૈને જણાવ્યું હતું કે, “એપિક ખાતે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટનો સુવ્યવસ્થિત કાર્યક્રમ પહેલેથી જ કાર્યરત છે અને આ ભાગીદારીથી અમારા દર્દીઓ માટે ઉપલબ્ધ નિષ્ણાંત તબીબી સેવાઓ વધુ મજબૂત બનશે. એપિક ખાતે એમજીએમ હેલ્થકેરના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ નિષ્ણાંતોની ઉપલબ્ધતાથી જટિલ ટ્રાન્સપ્લાન્ટના કેસોના ક્લિનિકલ મેનેજમેન્ટમાં વધુ નિપુણતા ઉમેરાશે. બંને સંસ્થાઓ LVAD ઇમ્પ્લાન્ટેશન માટે પણ સાથે મળીને કામ કરશે, જે ગંભીર હાર્ટ ફેલ્યોર ધરાવતા યોગ્ય દર્દીઓ માટે સારવારનો એક મહત્વપૂર્ણ વિકલ્પ પૂરો પાડશે.”
એમજીએમ હેલ્થકેર, ચેન્નાઈના કાર્ડિયાક સાયન્સીસના ચેરમેન અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ હાર્ટ એન્ડ લંગ ટ્રાન્સપ્લાન્ટ એન્ડ મિકેનિકલ સર્ક્યુલેટરી સપોર્ટના ડિરેક્ટર ડૉ. કે. આર. બાલકૃષ્ણને જણાવ્યું હતું કે, “ગંભીર અને અંતિમ તબક્કાના હાર્ટ ફેલ્યોર ધરાવતા દર્દીઓની તબીબી સ્થિતિના આધારે તેમને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ અથવા મિકેનિકલ સર્ક્યુલેટરી સપોર્ટ સહિતની વિવિધ અદ્યતન સારવારની જરૂર પડી શકે છે. આવી સારવાર અંગેનો નિર્ણય દર્દીની સ્થિતિનું સાવચેતીપૂર્વક મૂલ્યાંકન, સારવાર દ્વારા સ્થિતિને અનુકૂળ બનાવવી અને વિવિધ તબીબી નિષ્ણાંતોની સંયુક્ત દેખરેખના આધારે લેવામાં આવે છે. આ ભાગીદારી હેઠળ અમારા નિષ્ણાંતો હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયાઓ તેમજ યોગ્ય દર્દીઓમાં LVAD ઇમ્પ્લાન્ટેશન માટે એપિકની ટીમ સાથે મળીને કામ કરશે. આના પરિણામે ગુજરાત અને આસપાસનાં રાજ્યોના દર્દીઓને એપિક ખાતે ગંભીર હાર્ટ ફેલ્યોર અને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની અદ્યતન સારવારમાં અમારા અનુભવનો લાભ મળશે.”
ગંભીર હાર્ટ ફેલ્યોર ધરાવતા દર્દીઓમાં જ્યારે સામાન્ય સારવાર પૂરતી અસરકારક ન રહે ત્યારે LVAD ઇમ્પ્લાન્ટેશન શરીરમાં રક્તનું પરિભ્રમણ જાળવવામાં મિકેનિકલ સપોર્ટ પૂરો પાડી શકે છે. જે દર્દીઓ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટે યોગ્ય હોય, તેમના માટે પ્રત્યારોપણની યોગ્યતા અંગે મૂલ્યાંકન ચાલી રહ્યું હોય અથવા યોગ્ય દાતાનું હૃદય મળવાની રાહ જોવાઈ રહી હોય ત્યારે LVAD ટ્રાન્સપ્લાન્ટ સુધી પહોંચવા માટેની વચગાળાની સારવાર તરીકે પણ ઉપયોગી બની શકે છે.
નોંધનીય છે કે ડૉ. કે. આર. બાલકૃષ્ણન ગંભીર હાર્ટ ફેલ્યોર મેનેજમેન્ટ, હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ, LVAD ઇમ્પ્લાન્ટેશન અને મિકેનિકલ સર્ક્યુલેટરી સપોર્ટ ક્ષેત્રે ત્રણ દાયકાથી વધુનો અનુભવ ધરાવે છે.
