સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.
પરિચય- ફાલ્ગુની વસાવડા.
શીર્ષક- શ્રાવણી અભિષેક.
કાર્તિકેય એટલે શૌર્ય અને ગણેશ એટલે ધૈર્ય એમ શિવની બે અદભુત ભૂજાઓ છે.
હે દેવોના દેવ મહાદેવ.
સૌનાં હ્રદયમાં કરુણા રૂપે રહેલા આપનાં સૌમિત્રી સ્વરૂપને મારા સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. રુદ્ર સંહિતામાં ઘણાં પ્રસંગો છે, જેને વિષે આપણે વાત કરી. પાર્વતી એટલે શુદ્ધ સાત્વિકી શ્રદ્ધા જે કામધેનુ સમાન છે, અને પાર્વતી રુપી શ્રદ્ધાથી ભક્તમાં નિતનૂતન દૂધ જેવાં ધવલ કાંતિમય જ્ઞાનની વૃદ્ધિ થાય છે. પાર્વતીનાં લગ્ન સમયે તુલસીદાસજી એની સુંદરતાનું અદભુત વર્ણન કરે છે, અને એ સમયમાં સૌથી સુંદર સ્ત્રી “મા પાર્વતી” હતાં, પણ આપણને એવો વિચાર આવે કે શબ્દથી શંકરનું ચરિત્ર એટલું રુચિકર નથી! એટલે કે ગૃહસ્થાશ્રમ માટે ! તો એક સ્ત્રી તરીકે પાર્વતીને આકર્ષિત કરનાર એ રુપ કે સ્વરૂપની મહત્તા શું હતી? રુદ્ર સંહિતાનાં કુમાર ખંડની શરૂઆતમાં એનો જવાબ છે.
વંદના કરવાથી જેનું મન પ્રસન્ન થઈ જાય છે, જેમને પ્રેમ અત્યંત વ્હાલો છે. જે પ્રેમ પ્રદાન કરનાર છે, પૂર્ણાનંદમય, ભક્તોની અભિલાષા પૂર્ણ કરનારા, સંપૂર્ણ એશ્વર્યોના એકમાત્ર આવાસ સ્થાન અને કલ્યાણ સ્વરૂપ છે. સત્ય જ જેમનો શ્રીવિગ્રહ છે, જે પૂર્ણ સત્યમય છે. જેમનું એશ્વર્ય ત્રિકાલબાધિત છે. જે સત્યપ્રિય અને સત્યપ્રદાતા છે. બ્રહ્મા અને વિષ્ણુ જેની સ્તુતિ કરે છે. સ્વેચ્છા અનુસાર શરીર ધારણ કરનારા, એ ભગવાન શિવની હું વંદના કરું છું! અને હજી વધુ કહેવું હોય તો જે ભક્તની નાની મોટી ભૂલોને ગણકાર્યા વગર એની ઈચ્છા પૂરી કરે છે.
કુમાર ખંડમાં આગળ કાર્તિકેય અને ગણેશનાં અસ્તિત્વની કથા આવે છે. કુમાર કાર્તિકેય દ્વારા તારકાસુરનાં વધની કથા,ગણેશની ઉત્પત્તિ, ભગવાન શિવ દ્વારા એનું મસ્તક કાપવું, પાર્વતી નો વિલાપ, પછી હાથીનું મસ્તક મુકવું, પાર્વતી દ્વારા એને ચિરંજીવીનું વરદાન, શિવ દ્વારા એને સર્વાધ્યક્ષ ઘોષિત કરવો, અને અગ્રગણ્ય માનવા, શિવજી એ વિધ્ન વિનાયકનું વરદાન આપ્યું. સર્વ દેવતાઓ દ્વારા સ્તુતિ, કાર્તિકેય અને ગણેશ બંનેની બાળ લીલા, બંનેનાં વિવાહની શરત, એમાં ગણેશનું વિવેક પૂર્વક જીતવું! રિદ્ધિ સિદ્ધિ સાથે વિવાહ. કુમાર કાર્તિકેયનું પૃથ્વીની પ્રદક્ષિણા કરી પરત ફરવું! માતાપિતાએ પક્ષપાત કર્યો, એવું લાગતાં રિસાઈને ક્રૌંચ પર્વત પર જતાં રહેવું, ત્યાં સુધીની કથા આવે છે.
પુત્રને પિતાની ભૂજા કહેવામાં આવે છે, અથવા તો પુત્ર એ પિતાનાં બાવડાનું બળ છે! એવાં મહાવરા પ્રચલિત છે. ગણેશ અને કાર્તિકેય એ પણ શંકરનાં બે પુત્રો છે, અને એટલે એ પણ એમની ભૂજાઓ કહેવાય! તો એ રીતે કાર્તિકેય અને ગણેશનું શબ્દ તત્વ ચિંતન કરીએ.
કાર્તિકેય** કુમાર કાર્તિકેયને શંકર પાર્વતીનાં પુત્ર તરીકે ઓળખવામાં આવે છે, હાલાકી શિવ પુરાણમાં કાર્તિકેયને શંકર પાર્વતી પાસે આણવામાં આવ્યા એવો ઉલ્લેખ સ્પષ્ટ છે. એનાં જન્મ માટે પુરાણોમાં કેટલીય કથા મળે છે. સતી દક્ષ યજ્ઞમાં હોમાઈ ગયાં, ત્યારબાદ ત્રણેય લોકમાં ક્રૌધમાં ઘુમતા ભગવાન શંકરનું વીર્ય અગ્નિ દેવે ગંગાને સાચવવા આપ્યું, અને કૃતિકા નામની સ્ત્રી એ ગંગામાં સ્નાન કર્યું, એટલે એ ગર્ભવતી બની, અને પછી છ સ્ત્રીઓ દ્વારા એનો ઉછેર થયો, એટલે એ ષડમુખી થયાં, અને જ્યારે તારકાસુરનો વધ માત્ર શિવપુત્ર દ્વારા થશે એવું વરદાન મેળવી, તારકાસુર એ સમગ્ર સૃષ્ટિ પર કહેર વર્તાવ્યો, ત્યારે કુમાર કાર્તિકેયને શિવ પાર્વતી પાસે લાવવામાં આવ્યો, અને ત્યારે એની ઉંમર છ વર્ષની હતી! માત્ર છ વર્ષની ઉંમરે એમણે યુદ્ધ કર્યું! અને તેથી કુમાર કાર્તિકેયને દેવોનાં સેનાપતિ જાહેર કરવામાં આવ્યાં. કાર્તિકેય, સુબ્રમણ્યમ, સન્મુખ દેવપતિ, જેવા પુરાણમાં કાર્તિકેયનાં ઘણા નામ છે, અને એનું વાહન મોર બતાવ્યું છે. કુમાર સંભવમા શિવ દ્વારા કાર્તિકેયને આકાશી શસ્ત્રો આપ્યાની વાત છે, અને માતા પાર્વતી દ્વારા તેને વેલ નામનો ભાલો આપ્યાની વાત છે, અને આ શસ્ત્રો વડે એણે અસુરો સાથે યુદ્ધ કર્યું હતું, અને વિજયી બન્યાં હતાં, ત્યારથી એમને વીજયના દેવ માનવામાં આવે છે. પુરાણોમાં કાર્તિકેયને બ્રહ્મચારી કહ્યાં છે, પણ ક્યાંક ક્યાંક એનાં બે લગ્નનો ઉલ્લેખ પણ મળે છે.
ગણેશ** જયા અને વિજયા નામની પાર્વતીની સખીઓ એ પાર્વતીને કહ્યું કે, નંદી, ભૃંગી, વીરભદ્ર, આદિ સૌ શિવનાં જ ગણ એટલે કે સેવક છે, ભલે તે આપણી સેવા પણ કરે જ છે! પરંતુ કોઈ એવું હોય જે આપણા થકી આ દ્વાર પર ઉભું હોય તો કેટલું સારું! અને પાર્વતીને ગળે આ વાત ઉતરી ગઈ ! પાર્વતી એ પોતાનાં શરીરના મેલથી એક ચેતન પુરુષનું નિર્માણ કર્યું! જે બધી બાજુથી શુભ લક્ષણા દિસતો હતો! પાર્વતી એને પોતાનાં પુત્ર બનાવીને દ્વાર પર રાખી દીધાં! શિવજી સમાધિમાં હતાં એટલે આ વાતનો એમને ખ્યાલ નહોતો. ગણેશ શિવજીને રોકે છે, અને બંને વચ્ચે બોલાચાલી વાદવિવાદ તથા દ્વન્દ્વ યુદ્ધ પણ થાય છે! કોપાયમાન શિવએ એનું મસ્તક છેદી નાખ્યું! પાર્વતી દ્વારા વિલાપ! ગણેશ પોતાનો જ પુત્ર છે, એ સત્યનું સામે આવવું, શિવજીએ હાથીનું મસ્તક એનાં પર ગોઠવી એને જીવીત કર્યાં! વિચિત્ર દેખાવ વાળા આ બાળકને કોણ પસંદ કરશે! અને શિવ સહિત ત્રિદેવ એ એને સર્વાધ્યક્ષ ઘોષિત કર્યા. ગણેશજીને વિવેકના દેવ કહેવાય છે, તેમજ તેમને વિધ્ન હર્તા ની ઉપલબ્ધિથી નવાજવામાં આવે છે! સુક્ષ્મ ચિંતન કરીએ તો કઠિન પરિસ્થિતિમાં વિવેક બરકરાર રાખી ધૈર્ય રાખીએ તો મોટા મોટા વિધ્ન સમાપ્ત થતાં દેખાય! અથવા તો પરિસ્થિતિનો ઉકેલ લાવી શકાય છે. ગણેશનું વાહન ઉંદર છે, અને આ સૃષ્ટિનો કર્તા હર્તા હું નથી, એવી વિવેકમય નિરાભિમાની અવસ્થા જ ઉંદર ઉપર સવાર થઇ શકે.
કાર્તિકેય એટલે સાહસ કે શૌર્યનો પર્યાય, અને ગણેશ એટલે વિવેક મય ધૈર્યનો પર્યાય એમ કહી શકાય!, અને એ રીતે જોઈએ તો ભગવાન શંકરની ભૂજાઓમાં કાર્તિકેય રુપી શૌર્ય છે, અને ગણેશ રુપી ધૈર્ય છે. પાર્વતી માટે પણ શિવ પુરાણમાં પાપ રહિતે એવું સંબોધન છે, અને સ્વયં શિવ તો કલ્યાણનું જ સ્વરૂપ ધરાવે છે!; પોતે તો ત્રિગુણાતિત છે, એટલે કે સત્વ રજસ અને તમસથી પરે છે, પરંતુ ભક્તનાં સત્વ, રજસ અને તમસથી પ્રેરાઈને પરિણામ આપતા નથી. ઉલટું દેવ, દાનવ, ગંધર્વ, કે કિન્નર, એમ ભેદ પણ જોતાં નથી. એક બાજુથી રાવણને વરદાન આપે છે, અને બીજીબાજુથી એ જ રાવણને મારવાં હનુમાન સ્વરૂપે પ્રગટ થઈ, રામ રાવણનાં યુદ્ધની મુખ્ય ભૂમિકા અદા કરે છે. આમ આખો પરિવાર જગતના શુભ માટે, કલ્યાણ માટે, કે પછી વિધ્ન હરવા સદા તત્પર રહે છે! એવાં શિવત્વને આરાધવાનો શ્રાવણ ગતિ કરી રહ્યો છે, ત્યારે આપણે પણ ભક્તિનાં મંગલ ભાવ તરફ ગતિ કરી શકીએ, એવી શિવ ચરણે પ્રાર્થના. ૐ નમઃ શિવાય.
લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)
