
અમદાવાદના મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ટેક ઓફ કરતી વખતે એર ઈન્ડિયાની અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થયું છે. આ વિમાન એરપોર્ટ પરથી બપોરે 1.38 વાગે ટેક ઓફ થયું હતું અને 1.40 વાગે દુર્ઘટના સર્જાઇ હતી. પ્રાથમિક અહેવાલો પ્રમાણે મેઘાણી નગર વિસ્તારમાં ઘોડા કેમ્પ નજીક આઈજીબી કમ્પાઉન્ડમાં આ ઘટના બની હતી. આ દરમિયાન દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા, જેથી આસપાસના રહીશોમાં ભય ફેલાઈ ગયો હતો. પ્રાથમિક અહેવાલો પ્રમાણે, ટેક ઓફ વખતે વિમાનનો પાછળનો ભાગ વૃક્ષ સાથે અથડાતા આ ઘટના બની હતી. એવું પણ કહેવાય છે કે, આ પ્લેનમાં કોઇ ટેક્નિકલ ખામી સર્જાઇ હોવાથી દુર્ઘટના સર્જાઇ હતી.અત્યાર સુધી સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર 25 થી 30 મૃતદેહોને કાઢી લેવામાં આવ્યા છે જે મોટાભાગે બળી ગયેલી હાલતમાં મળ્યાં છે.
ઉડાન ભરતાં જ વિમાન બે મિનિટમાં ક્રેશ
સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પરથી અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ 1.38 વાગે ટેક ઓફ થઈ હતી. આંખના પલકારામાં બે મિનિટમાં જ વિમાનનો પાછળનો ભાગ વૃક્ષ સાથે અથડાયો હતો. જેથી વિમાન બિલ્ડિંગ સાથે ટકરાઈ ક્રેશ થયુ હતું. વિમાન ધડાકાભેર ક્રેશ થતાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે.
‘પ્લેનમાં વિજય રૂપાણી સવાર હતા’ :
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ લંડન જઈ રહેલી આ જ ફ્લાઈટમાં હોવાની માહિતી મળી છે. તેઓ તેમની દીકરીને મળવા માટે આવી રહ્યા હતા અને એકલા જ મુસાફરી કરી રહ્યા હતા.વિજયભાઈ રૂપાણીની નિકટના સાથી નીતિન ભારદ્વાજ લંડન છે , વિજયભાઈ રૂપાણી એર ઈન્ડિયાની ક્રેશ થયેલી ફ્લાઈટમાં જ હતા પણ હાલની સ્થિતિ શું છે તેની તપાસ ચાલી રહી છે. અત્યારે સ્થળ પર બચાવકાર્ય ચાલી રહ્યું છે અને વિજયભાઈ રૂપાણીની સ્થિતિ ગંભીર બતાવાઈ રહી છે.
ફ્લાઈટમાં મોટા ભાગના મુસાફરો ગુજરાતી હોવાનું અનુમાન :
આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરી છે. જો કે, આ ઘટનામાં જાનહાનિ કે ઈજાગ્રસ્તોનો ચોક્કસ આંકડો હજુ સુધી મળી શક્યો નથી. આ ફ્લાઈટમાં મોટા ભાગના મુસાફરો ગુજરાતી હોવાનું અનુમાન છે.
સિવિલ હોસ્પિટલની હોસ્ટેલ-મેસ પર પ્લેન ક્રેશ? :
પ્રાથમિક અહેવાલો પ્રમાણે આ પ્લેન ક્રેશ સિવિલ હોસ્પિટલની રેસિડેન્શિયલ હોસ્ટેલ અને મેસ પર પડ્યું હોવાનું કહેવાય છે. આ દરમિયાન એટલો મોટો ધડાકો થયો હતો કે, સિવિલ હોસ્પિટલનો સ્ટાફ અને દર્દીઓ પણ ગભરાઈ ગયા હતા. એટલું જ નહીં, અનેક દર્દીઓના બ્લડપ્રેશર પણ વધી ગયા છે. ફરજ પરના તબીબોએ પણ પુષ્ટિ કરી છે કે, ધડાકાના કારણે અનેક દર્દીઓની સ્થિતિ નાજુક છે.