
સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો આજે 9 માર્ચથી શરૂ થઈ રહ્યો છે, જે 2 એપ્રિલ સુધી ચાલશે. ભાજપ અને કોંગ્રેસ બંનેએ તેમના લોકસભા સાંસદોને 9 માર્ચથી 11 માર્ચ સુધી ગૃહમાં હાજર રહેવા માટે વ્હીપ જાહેર કર્યો છે. કોંગ્રેસે તેમના સાંસદોને આ દિવસોમાં હાજર રહેવા જણાવાયું છે, કારણ કે લોકસભા અધ્યક્ષને હટાવવાના પ્રસ્તાવ પર ચર્ચા થવાની સંભાવના છે. આજે સદનમાં વિપક્ષના હોબાળા વચ્ચે વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ પર નિવેદન આપ્યું. ત્યારે સત્રને લઈને ભાજપે પણ તેમના સાંસદોને હાજર રહેવાનો નિર્દેશ આપ્યો છે. વિપક્ષે સ્પીકર ઓમ બિરલાને પદ પરથી હટાવવા માટે પ્રસ્તાવની નોટિસ રજૂ કરી છે. 118 વિપક્ષી સાંસદોએ પ્રસ્તાવ પર હસ્તાક્ષર કર્યા છે. જોકે, 29 તૃણમૂલ કોંગ્રેસના સાંસદોએ નોટિસ પર હસ્તાક્ષર કર્યા નથી. તૃણમૂલ કોંગ્રેસના સાંસદોએ તેમના પક્ષના અધ્યક્ષના નિર્દેશ મુજબ અવિશ્વાસ પ્રસ્તાવને ટેકો આપવાનો નિર્ણય લીધો છે. સૂત્રો સૂચવે છે કે તૃણમૂલ કોંગ્રેસના સાંસદો લોકસભા અધ્યક્ષ વિરુદ્ધ મતદાન કરશે.ભાજપના સાંસદ કંગના રનૌતે કહ્યું, “તેઓએ (વિપક્ષે) જવાબ સાંભળ્યો પણ નહીં. પહેલા તેમણે કહ્યું કે તેઓ સ્પીકર સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યા છે. આજે જ્યારે તેની ચર્ચા થવાની હતી, ત્યારે તેઓ તેના વિશે વાત કરવા માંગતા ન હતા. પછી, તેમણે ન તો જયશંકરજીનો જવાબ સાંભળ્યો અને ન તો બીજા કોઈને સાંભળવા દીધો. તેથી, તે ખરેખર અવ્યવહારીક હતું.”


