
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે(31મી માર્ચ) ગુજરાતની એક દિવસીય મુલાકાતે છે. આ પ્રવાસ દરમિયાન પીએમ મોદી રાજ્યના ઔદ્યોગિક, પરિવહન અને આધ્યાત્મિક વિકાસને વેગ આપતાં કરોડો રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનની શરૂઆત ‘જય જિનેન્દ્ર’ના જયઘોષ સાથે કરી હતી. તેમણે જણાવ્યું કે, ‘હું કોબા તીર્થથી દેશવાસીઓને મહાવીર જ્યંતીની શુભકામના આપું છું. હું આજે પરમપૂજ્ય આચાર્ય કૈલાશસાગર સૂરીશ્વરજીને યાદ કરું છું. તેમની પ્રેરણાથી આ મહાન તીર્થની સ્થાપના થઈ છે. અહીં મૂલ્યોનું સંરક્ષણ થાય છે, સંસ્કારને સંબલ મળે છે અને જ્ઞાનનું પોષણ થાય છે. આ ત્રિવેણી ભારતીય સભ્યતાનો આધાર છે. આ ત્રિવેણીને અવિરત જાળવી રાખવાનું આપણું દાયીત્વ છે. હજારો વર્ષની ભારતીય વિરાસત, જૈન ધર્મનું જ્ઞાન આગલી પેઢી સુધી પહોંચાડવા આપણા સંતો દ્વારા આ મ્યુઝિયમની સંકલ્પના કરવામાં આવી. આ સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલય જૈન દર્શન અને પ્રાચીન વારસાનું પવિત્ર કેન્દ્ર બન્યું છે. હું સૌ જૈન મુનિનું અભિનંદન કરું છું અને તેમના ચરણોમાં પ્રણામ કરું છું.’ઇતિહાસ ટાંકીને પીએમ મોદીએ જણાવ્યું હતું કે, ‘દુનિયામાં અનેક દાર્શનિકો અને શાસકો થયા, પરંતુ જ્યારે સત્તા અને શક્તિની વાત આવી ત્યારે ઘણાંએ આદર્શોને નેવે મૂકી દીધા હતા. જેના કારણે સત્તા અને મૂલ્યો વચ્ચે એક મોટી ખાઈ સર્જાઈ હતી. પરંતુ સમ્રાટ સંપ્રતિએ સત્તાને માત્ર ભોગનું સાધન નહીં, પણ સેવા અને સાધના તરીકે જોયું હતું. સમ્રાટ સંપ્રતિએ અહિંસા, સત્ય અને અપરિગ્રહનો પ્રચાર કરીને ભારતીય દર્શન અને વ્યવહારને એક તાંતણે જોડવાનું ભગીરથ કાર્ય કર્યું છે.’
