
આ શિબિરના સમાપન સમારોહમાં ડે.મ્યુનિ.કમિશનરશ્રી નિલેશભાઇ પટેલ, સ્કૂલ બોર્ડના શાસનાધિકારી ડૉ. એલ. ડી. દેસાઈ, ઋષિકેશ રામાણી મેમોરિયલ ટ્રસ્ટના અધ્યક્ષશ્રી વલ્લભભાઇ રામાણી, સ્કૂલ બોર્ડના અધિકારીગણ મોટી સંખ્યામાં બાળકોના વાલીઓ, શિક્ષકો અને શિબિરાર્થી વિદ્યાર્થીઓ તેમજ ટ્રસ્ટના સભ્યો અને સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા.
તા.5/5/2026 ના રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ,અમદાવાદ હસ્તકની શહીદ વીર મેજર ઋષિકેશ રામાણી શાળા સંકુલ ખાતે N.E.P. 2020 અંતર્ગત તા.૨૯-૦૪-૨૦૨૬ થી તા.૦૫-૦૫-૨૦૨૬ સુધી યોજાયેલ સાત દિવસીય વ્યક્તિત્વ વિકાસ શિબિરનો સમાપન કાર્યક્રમ યોજાઈ ગયો. આ શિબિરમાં શાળા સંકુલના 175 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં ચિલ્ડ્રન રિસર્ચ યુનિ.ના અધ્યાપકો , ઇસરો જેવી ખ્યાતનામ સંસ્થાના પ્રતિનિધિ, બાળ મનોવિજ્ઞાન, ભાષા, વિજ્ઞાન, વ્યાયામ-યોગના જાણકાર તજજ્ઞો તથા વિવિધ સામાજીક સંસ્થાઓની મદદથી વિદ્યાર્થીઓને શુભાષિત રસપાન, વિજ્ઞાનના પ્રયોગો, નૃત્ય, વૈદિક ગણિત, ભારત કો જાનો સ્પર્ધા, ચિત્રકામ, સંગીત નાટ્ય જેવી વિદ્યાર્થીઓના વ્યક્તિત્વ વિકાસલક્ષી વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી. આજના વ્યક્તિત્વ વિકાસના સમાપન સમારંભમાં અ.મ્યુ.કો.ના ડે.મ્યુનિ.કમિશનરશ્રી નિલેશભાઇ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને દીક્ષા પ્રદાન કરી અને વિજેતા વિદ્યાર્થીઓને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા. તેમણે પ્રાસંગિક ઉદ્દબોધનમાં જણાવ્યું હતુ કે આ પ્રકારની શિબિરોથી વિદ્યાર્થીઓમાં ઉચ્ચ વ્યક્તિત્વનું ઘડતર થશે તેમજ આગામી સમયમાં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સ તથા ઓલમ્પિકની પૂર્વ તૈયારીમાં મદદરૂપ થશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ પ્રકારની વ્યક્તિત્વ વિકાસની વધુને વધુ શિબિરોનું આયોજન મ્યુનિ. શાળાઓમાં થાય અને N.E.P. 2020 મુજબ વિદ્યાર્થીઓનો સર્વાંગીણ વિકાસ થાય તે મુજબનું સૂચન કર્યું હતું.
કાર્યક્રમમાં સ્કૂલ બોર્ડના શાસનાધિકારી ડૉ.એલ.ડી.દેસાઇ દ્વારા પ્રાસંગિક ઉદ્દબોધનમાં જણાવ્યું હતુ કે મેજર ઋષિકેશ રામાણી આપણા દેશના વીર શહીદ છે. જેમની યાદમાં મ્યુનિ. શાળાનું નામકરણ કરવામાં આવ્યું છે. જેમાંથી હજારો વિદ્યાર્થીઓને પ્રેરણા મળી છે. ઋષિકેશ રામાણી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા સતત 16 વર્ષથી આ શિબિરનું આયોજન કરવામાં આવે છે. આ પ્રકારની શિબિરો પ્રોફેશનલ મારફતે કરાવવામાં આવે તો ૮ થી ૧૦ લાખ રૂપિયાનો ખર્ચ થાય જે ઋષિકેશ રામાણી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક કરાવવામાં આવે છે. જેનો લાભ હજારો વિદ્યાર્થીઓને મળ્યો છે જે ખૂબ જ સરાહનીય છે.
