સદગુરુ કૃપા હી કેવલમ. તુલસી
પરિચય- ફાલ્ગુની વસાવડા.
શીર્ષક- પ્રાસંગિક.
રામનામ જ પરમ વિશ્રામનો આધાર છે! એ ઘોષિત કરનાર તુલસીની આજ જન્મ જયંતિ છે.
આજે શ્રાવણ સુદ સપ્તમી છે, એટલે તુલસી જયંતિ, તુલસીદાસજીનાં મહાન ચરિત્રની વંદના કરીએ. આ વખતે તુલસી જયંતિ નિમિત્તે બોસ્ટન ખાતે હાર્વર્ડ યુનિવર્સિટીમાં રામકથા સાથે સાથે તુલસી જન્મ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. સર્વ લોકના શુભ મંગલ માટે જે ચારે દિશામાં હરિકથાનું ગાન કરી રહ્યા છે, એવાં હરિ પ્રેમી ઓની સભા ચાલે છે. હિન્દુ ધર્મનો ડંકો વગાડવા જેમણે પોતાની જીંદગી દાવ પર લગાવી દીધી, એમને શત શત નમન. એક બે વખત મહુવા ખાતે તુલસી જન્મોત્સવ ઉજવાયો, અને એ બડભાગી ક્ષણોની સાક્ષી બનવાનું બન્યું હતું ! તુલસીનો જન્મ, એની જીવની, અને ત્યારબાદ તેનું જીવન કર્મ, રૂપે રામચરિત માનસ લખાયું! તુલસી સંવાદ અને સંવેદના નાં સંત હોવાથી એમણે રામરાજ્યની સ્થાપના સુધી કથા લખી, પછી પોતાના મનને વિશ્રામ મળ્યો! આપણાં સૌની રામરાજ્યની અપ્રિતમ મહેચ્છા છે, કદાચ મનોરથ પણ હોય શકે, પરંતુ બંગલો બનાવવાનો કે ગાડી ખરીદવાનો મનોરથ પૂર્ણ કરવાં જે જી જાનથી મહેનત થાય છે, એવી મહેનત રામરાજ્ય માટે નથી થતી એ હકીકત કોઈ નકારી શકે નહીં. પૂજ્ય બાપુની કરુણા આજે જગત ભર માટે પરાકાષ્ઠાએ છે, એટલે એ સૌનો પૂજ્ય બાપુ માટેનો પ્રેમ દેખાય. જ્યાં સત્ય હોય ત્યાં સ્ફૂર્તિ હોય, એ સૂત્ર અહીં સિદ્ધ થાય,અને એટલે જ પૂજ્ય બાપુ સત્ય, પ્રેમ, અને કરુણાની ત્રિવેણી રૂપ છે. હિન્દુસ્તાનની ધરતી પર સનાતન ધર્મ શું છે? અને તેને કેમ નિભાવી શકાય! એ વિશેનું સંપૂર્ણ જ્ઞાન આપણને રામચરિત માનસ આપે છે. તુલસીદાસજીએ તો લખ્યું, પરંતુ લોકોનાં માનસમાં એ વાત સિદ્ધ કરવા માટે રામાયણનું ગાન કરનાર તમામ કથાકારોનો ફાળો છે, અને એમાં મુખ્ય ફાળો પૂજ્ય બાપુનો છે. આજે તુલસી જયંતિ નિમિત્તે રામાયણની અમર કથા દ્વારા પુજ્ય પાદ શ્રી તુલસીદાસજી મહારાજનાં ચરણોમાં શબ્દ પુષ્પાંજલિ અર્પણ કરીએ.
પરમ પૂજ્ય પાદ શ્રી તુલસીદાસજી મહારાજ રામચરિત માનસના પ્રથમ ત્રણ શ્લોકમાં કહે છે કે..
વર્ણાનામર્થસંઘાનાં રસાનાં છન્દસામપિ મઙ્ગલાનાં ચ કર્ત્તારૌ વન્દે વાણીવિનાયકૌ (૧)
ભવાનીશઙ્કરૌ વન્દે શ્રદ્ધાવિશ્વાસરૂપિણૌ યાભ્યાં વિના ન પશ્યન્તિ સિદ્ધાઃસ્વાન્તઃસ્થમીશ્વરમ્ (૨)
વન્દે બોધમયં નિત્યં ગુરું શઙ્કરરૂપિણમ્ યમાશ્રિતો હિ વક્રોઽપિ ચન્દ્રઃ સર્વત્ર વન્દ્યતે (૩)
વાણી વિનાયક, ભવાની શંકર, અને ગુરુ વંદનાથી શરૂ થતું આ શાસ્ત્ર અદભુત છે, અને તેની એક એક ચોપાઈનો મર્મ ગુરુકૃપા એ સમજવો પડે. જેમ કે રામ હી કેવલ પ્રેમ પિયારા એ સૂત્રને પ્રતિપાદિત કરનારા તુલસી કહે છે, રામ ચરિત માનસ તો મંદાકિની છે, અને એમાંથી કેટલાંય રત્ન કણિકા જેવા પ્રસંગો નીકળે છે. જયમાળા રામના ગળામાં શું કામ પડે છે? સ્વયંવરમાં રામ અને રાવણ બંને હાજર હતાં. રામ પાસે રૂપ હતું તો રાવણ પણ રુપવાન હતો. રામ ધનવાન હતા તો રાવણ પણ ધનવાન હતો, સોનાની લંકાનું એશ્વર્ય ધરાવતો હતો. રામ બુદ્ધિમાન હતા તો રાવણ પણ વિદ્વાન હતો અને સંસ્કૃતનો પૂર્ણ જાણકાર હતો. રામ બળવાન હતાં, તો રાવણ પણ બળવાન હતો કૈલાશને ઊંચો કરવાનું સામર્થ્ય ધરાવતો હતો, છતાં સિયાજુ એ રામનાં ગળામાં જ કેમ જય માળા નાખી? કારણ કે રામ હી કેવલ પ્રેમ પિયારા. તુલસીએ ભામિનીની સુંદર આખ્યાયિકા કરીને કહ્યું કે ભામિની એટલે પત્ની, લક્ષ્મી માતાને શ્રાપ લાગ્યો, એટલે એ શબરી બન્યાં,અને એટલે પ્રભુશ્રી રામ એમને ભામિની કહે છે. વિભિષણની શરણાગતિ મહાન છે, એને પ્રભુ શ્રીરામ સિવાય કોઈ આશરો આપી શકે તેમ નથી, એ તે જાણતાં હતાં, અને પોતાનો ભાઈ ખોટું કરે છે, તો એને છોડી શત્રુ પક્ષે જવામાં વિલંબ કર્યો નહીં. પ્રભુ ભક્તિ વગર સુખ પ્રાપ્ત થતું નથી, અને ભક્તિ અકારણ આનંદ પદની પ્રાપ્તિ કરાવે છે. મહારાજા જનકની પુષ્પ વાટિકાના સુંદર મનોભાવ માળી, અને પ્રભુનાં સંવાદ રૂપે રજૂ કરી જનક નંદીની સીતાનો જયઘોષ, પ્રભુ શ્રી રામનાં મુખે કરાવ્યો. આપણી પાસે તુલસીદાસજી મહારાજ રચિત રામચરિત માનસ છે, અને રામ રાજ્ય કંઈ રીતે થયું, એ આપણે જાણીએ છીએ! ચરિત્ર નિર્માણ કેમ થાય છે એ આપણે સૌ જાણીએ છીએ! છતાં એ તરફ દુર્લક્ષ સેવીએ છીએ. બીજાંનાં અહમની રક્ષાનો સંકલ્પ લેવાથી રામ રાજ્ય આવશે, પણ આ બધું ચાર દીન કી ચાંદની જેમ પછી હતું તેમ! દરેકની માનસિકતાને વાહવાહી બોલાવવાનું જે ગ્રહણ લાગ્યું છે, એ દૂર નહીં થાય ત્યાં સુધી પૂર્ણ ચંદ્રનાં દર્શન કેમ થાય ? તો પ્રશ્ન થાય કે પૂર્ણ દર્શન કોણ કરાવે! ભોલે મહારાજ મહાદેવ, ભાલમાં ચંદ્ર ચમકે તેનાથી માર્ગ અજવાળે, અને જટાની ગંગાથી દ્રષ્ટિને પવિત્ર કરે, પછી જ પૂર્ણ દર્શન થાય! તો સતીને કેમ થયાં નહીં? એ તો અર્ધાંગિની હતાં ,પણ શ્રવણ દોષ, માત્ર કાનથી સાંભળ્યું, એટલે દક્ષ યજ્ઞમાં બળવું પડ્યું, બીજા રાવણે પણ કાનથી સાંભળ્યું, એટલે લંકા દહન થયું, અને એને પણ હણાવુ પડ્યું. લંકા દહન પછી હનુમાનજી પાછા ફરે છે, અને પ્રભુ પુછે છે, કે તમે એકલાંએ લંકા જલાવી? કહે ના! પાંચ જણાએ! પ્રભુ પુછે કોણ પાંચ! તો કહે તમારો પ્રતાપ, સીતા મૈયાનો સંતાપ, રાવણનું પાપ, મારો બાપ એટલે પવન અને હું, એમ પાંચ ભેગા થયાં એટલે લંકા જલી.
તુલસી કૃત રામચરિત માનસની કથા કરનાર કે અન્ય હરિકથા કરનાર તમામ વ્યાસપીઠ સમાન આદર નાં અધિકારી છે. બાપુ કહે છે, કે સાધુ માટે કોઈ વ્રત બંધન નથી હોતું. તે ઇચ્છે, તો વ્રત તોડી પણ શકે! સાધુને વ્રત ન બાંધે, બલ્કે સાધુ વ્રતને બાંધે છે! એકવાર બાપુએ કહ્યું હતું કે સેતુબંધ કરનાર જ કલ્યાણ કરી શકે છે. તુલસીદાસજીએ પરમ પુરુષાર્થવાદી વિશ્વામિત્રજી, અને પરમ પ્રારબ્ધવાદી વશિષ્ઠ ઋષિ વચ્ચે સેતુબંધ રચવાનું કામ કર્યું છે. વૈશ્વિક એકતા જેણે સ્થાપી છે, એવાં ગોસ્વામી શ્રી તુલસીદાસજીની આજે જન્મ જયંતી છે. આખરી માણસથી લઇને સર્વોચ્ચ વ્યક્તિ સુધીનાં સહુને આજનાં દિવસે વધાઈ. પૂજ્ય બાપુએ એક તુલસી જયંતિએ કહ્યું હતું કે શિવજીનાં મસ્તક પર ગંગા છે, અને ચંદ્ર છે. મતલબ કે બુદ્ધ પુરુષ આપણને પ્રકાશિત કરે અને પવિત્ર પણ કરે છે. શંકરનાં મસ્તિષ્ક પરની ગંગા સહુને પવિત્ર કરે છે, જ્યારે ભાલ પરનો ચંદ્ર સૌને પ્રકાશિત કરે છે.
તુલસીદાસજીની જન્મ તિથિ સાતમ શા માટે છે? તુલસીજીને સાતનો આંક સૌથી વધારે પ્રિય છે. આમ તો તુલસીદાસજીને 1,3,5 7,9 અને 11 એટલા અંક પસંદ છે. અને તેનો સરવાળો 36 થાય છે, જે પૂર્ણાંક છે. આપણે ત્યાં 32 લક્ષણા’નું ઘણું જ મહત્વ છે.પરંતુ તુલસીદાસજી તો 36 લક્ષણા છે! તુલસીદાસજીને સાતનો આંક વધારે પ્રિય છે અને એટલા માટે એમણે રામચરિતમાનસના સાત સોપાન આપ્યા છે. બાલકાંડ સંસ્કારનો કાંડ છે, અયોધ્યા કાંડમાં સ્વીકાર છે, અરણ્યકાંડમાં સત્સંગ છે. સુંદરકાંડમાં સંવાદ છે, લંકાકાંડ સંઘર્ષનો કાંડ છે અને સાતમા ઉત્તર કાંડમાં સુખ છે. આ સાત કાંડના ’સાત સ’ તુલસીદાસજીનું જન્મ સપ્તક છે.
બાપુએ કહે છે કે, સાધુ બનવું સહેલું નથી. સાધુ બનવા માટે બહુ સાધના કરવી પડે છે, સાધુ બનતા બહુ વાર લાગે છે, બહુ રાહ જોવી પડે છે. સાધુનાં દર્શન તો કોઈ પુણ્યપૂંજને કારણે થઈ જાય છે, પણ સાધુ બનવા માટે જન્મ જન્મની સાધના જોઈએ! પૂજ્ય બાપુએ પોતાના અંતર મનની વાત કરી હતી. મારી અંગત આસ્થામાં ત્રણ ત્રિભુવન ગુરુ છે- એક ભગવાન શંકર, બીજા પૂજ્ય ત્રિભુવન દાદા અને ત્રીજા કાગભુષંડીજી મહારાજ. કોઈપણ ગુરુ કદી કંઠી ન પકડે, એ તો સાધકનો આશ્રિતનો કંઠ પકડે, કે જેથી “રામ” સિવાય એમાંથી કશો શબ્દ ન નીકળે. બસ રામ એક મંત્ર, રામ એક વિચાર, અને જે સૌને જોડે છે, એ વિચાર સાથે પૂર્ણ સહમતી દર્શાવી,અને રામનામ જ વિશ્રામનો પૂર્ણ આધાર છે, આવનારા સમયમાં બહુ જલ્દીથી રામ રાજ્ય સ્થાપાય એવું આચરણ કરીએ.જય સીયારામ.
લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)
