
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે બિહારમાં વિપક્ષી ગઠબંધનના એક કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીને અપશબ્દો કહેવાની ઘટનાને વખોડી હતી. તેમણે કહ્યું કે કોંગ્રેસ નેતાઓ પોતાની ઘુસણખોરી બચાઓ યાત્રા દરમિયાન પીએમ વિશે અભદ્ર શબ્દોનો ઉપયોગ કરીને અપમાનજનક કૃત્ય કર્યુ છે. હું તેની નિંદા કરુ છું. દરેક કોંગ્રેસી નેતાએ પીએમ મોદી વિરુદ્ધ અપમાનજનક શબ્દો કહ્યા છે.શાહે કહ્યું કે બે દિવસ પહેલા જે થયુ તે જોઇને દુઃખ થયું. પીએમ મોદીની માતાએ એક ગરીબ ઘરમાં જીવન જીવ્યુ . પોતાના બાળકોનું મૂલ્યો સાથે પાલનપોષણ કર્યુ અને પોતાના બાળકને એક ભરોસાપાત્ર નેતા બનાવ્યા. આવા જીવન માટે અપશબ્દોનો ઉપયોગ ભારતની જનતા ક્યારેય સહન નહીં કરે. તેમણે કહ્યું કોંગ્રેસના સ્ટેજ પરથી અપશબ્દો બોલવામાં આવ્યા. દેશની જનતા કોંગ્રેસથી દુઃખી. રાજકીય જીવનમાં આ બહુ નિંદનીય ઘટના છે. તેમણે આગળ કહ્યું કે હું રાહુલ ગાંધીને આગ્રહ કરવા માગુ છું કે તેમનામાં જો શરમ બચી હોય તો પીએમ મોદી, તેમના દિવગંત માતા અને દેશની જનતાની માફી માગવી જોઇએ. ઈશ્વર તમામને સદ્ બુદ્ધિ આપે.ઉલ્લેખનીય છે કે બિહારમાં રાહુલ ગાંધીની મતદાર અધિકાર યાત્રા દરમિયાન પીએમ મોદી અને તેમની સ્વર્ગસ્થ માતા વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યા બાદ વિવાદ ફાટી નીકળ્યો હતો. ભાજપે કથિત ટિપ્પણીઓ પર પટનાના કોતવાલી પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી હતી અને કોંગ્રેસના સાંસદ પાસેથી માફી માંગવાની માંગ કરી હતી.


