રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ માટે ક્રિકેટ લેજન્ડ્સ ફરી મેદાન ગજાવશે

0
24

દેશમાં સામાજિક પરિવર્તન લાવવા અને માર્ગ સલામતી પ્રત્યે લોકોના દૃષ્ટિકોણને બદલવાના ઉદ્દેશ સાથે આવતા વર્ષે ભારતમાં રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝનું આયોજન થઈ રહ્યું છે. આવતા વર્ષથી દર વર્ષે યોજાનારી આ અનોખી ટી૨૦ ટુર્નામેન્ટમાં ટેસ્ટ રમતા પાંચ દેશોના લેજન્ડ ખેલાડીઓ સચિન તેન્ડુલકર, બ્રાયન લારા, તિલકરત્ને દિલશાન, મુથૈયા મુરલીધરન, વીરેન્દર સેહવાગ, બ્રેટ લી વગેરે ફરી એક વાર મેદાન ગજાવશે.

યજમાન ભારત ઉપરાંત ઑસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, શ્રીલંકા અને વેસ્ટ ઇન્ડીઝના ‌દિગ્ગજોને ફરી રમતા જોવાનો ચાહકોને લહાવો મળશે. આવતા વર્ષે ૪થી ૧૬ ફ્રેબ્રુઆરી દરમ્યાન અલગ-અલગ શહેરોમાં રમાનારી આ ટુર્નામેન્ટના કમિશનર સુનીલ ગાવસકર અને લીગના બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર સચિન તેન્ડુલકર છે. અત્યારના પ્લાનિંગ પ્રમાણે ૧૦ વર્ષ સુધી આ સિરીઝ રમાડવાની યોજના છે અને આ માટે ભારતીય ક્રિકેટ બોર્ડ પર આયોજકોને ગયા વર્ષે ઑગસ્ટમાં સહમતી આપી દીધી હતી. આ ટુર્નામેન્ટ કલર્સ સિનેપ્લેસ ચૅનલ પર લાઇવ જોવા મળશે.

આ લીગમાંથી થનારા નફાનો અમુક હિસ્સો મહારાષ્ટ્ર સરકારના રોડ સેફ્ટી સેલ સાથે સંકળાયેલી ‘શાંત ભારત, સુરક્ષ‌િત ભારત’ નામના ચૅરિટેબલ ટ્રસ્ટને દાન આપવામાં આવશે.