નવા સંસદ ભવનના કાર્યક્રમનો 19 પક્ષો દ્વારા બહિષ્કાર, કહ્યું ઉદ્ઘાટન PM નહીં રાષ્ટ્રપતિ કરે

0
5
પીએમ મોદી 28મેના રોજ નવા સંસદ ભવનનું ઉદઘાટન કરશે તેવી જાહેરાત અમિત શાહે કરી
કોંગ્રેસ, ડાબેરીઓ, આપ, ઉદ્ધવની શિવસેના, આરજેડી, જેડીયુ સહિત અનેક પક્ષોએ બહિષ્કારની કરી જાહેરાત

નવી દિલ્હી : ભારતની સંસદનું નવું ભવન બનીને તૈયાર થઈ ગયું છે ત્યારે પીએમ મોદી આગામી 28મેના રોજ તેનું ઉદઘાટન કરવાના છે. આ દરમિયાન ઉદઘાટન અંગે રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ, ડાબેરીઓ અને આમ આદમી પાર્ટી સહિત વિપક્ષી દળોનું કહેવું છે કે ઉદઘાટન પીએમ મોદીએ નહીં પણ રાષ્ટ્રપતિએ કરવું જોઈએ. આટલું જ નહીં વિપક્ષે સરકાર સામે આક્ષેપ કર્યો છે કે તે રાષ્ટ્રપતિની ગરીમાને નબળી પાડી રહી છે. તેમને સરકારના વડા હોવા છતાં ઉદઘાટન માટે બોલાવાયા નથી. આ દરમિયાન કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, ઉદ્ધવ ઠાકરેની શિવસેના, એનસીપી, આરજેડી, જદયુ સહિત 19 વિપક્ષી દળોએ આ સમારોહમાં હાજરી નહીં આપી તેનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી દીધી છે.  પીએમ મોદીના હસ્તે સંસદના ઉદઘાટન અંગે સૌથી પહેલા કોંગ્રેસના પૂર્વ સાંસદ રાહુલ ગાંધીએ સવાલ ઊઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે આ ઉદઘાટન પ્રધાનમંત્રીએ નહીં પણ રાષ્ટ્રપતિએ કરવું જોઈએ. તેમના પછી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગે સહિત અનેક વિપક્ષી દળોએ મોરચો ખોલ્યો હતો. હવે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળની શિવસેના, કોંગ્રેસ, આપ, એનસીપી, સીપીઆઈ, સીપીએમ, એઆઈએમઆઈએમ, આરજેડી અને જેડીયુએ પણ આ કાર્યક્રમનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી દીધી છે. બંગાળની સત્તાધારી પાર્ટી ટીએમસી અને તમિલનાડુની ડીએમકે પણ આ કાર્યક્રમમાં હાજરી નહીં આપે. હાલમાં ભારત રાષ્ટ્ર સમિતિ અને અકાલી દળ વતી કોઈ નિર્ણય આવ્યો નથી. એવું મનાય છે કે બહિષ્કારનો નિર્ણય બીઆરએસ પણ કરી શકે છે. જોકે અકાલી દળ આ કાર્યક્રમમાં સામેલ થઈ શકે છે. જોકે તેમના વતી પણ કોઈ નિર્ણય આવ્યો નથી. જ્યારે યુપીની મુખ્ય વિપક્ષી પાર્ટી સપા અને આરએલડીએ કાર્યક્રમના બહિષ્કારની જાહેરાત કરી છે. જોકે ચર્ચા એવી છે કે માયાવતીની બસપા અને આંધ્રપ્રદેશની સત્તાધારી વાયએસઆર કોંગ્રેસ આ કાર્યક્રમમાં જોડાઈ શકે છે. બીજેડીએ હજુ આ મામલે કોઈ નિર્ણય કર્યો નથી.