સદગુરુ કૃપા હી કેવલમ. શ્રાવણ.
પરિચય- ફાલ્ગુની વસાવડા.
શીર્ષક- શ્રાવણી અભિષેક.
મિત્રો- શુભ સવાર.
ઈશ્વર સાક્ષાત્કારની તીવ્ર અનુભૂતિ બહુ ઓછાં સાધનો કે ઓછી સાધનાથી શંકર જ આપી શકે!
હે દેવાધિદેવ મહાદેવ.
સૌનાં હ્રદયમાં કરુણા રુપે રહેલા આપનાં સૌમિત્રી સ્વરૂપને સાષ્ટાંગ પ્રેમ પ્રણામ.આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. હિન્દુઓમાં તેત્રીસ કરોડ દેવી દેવતાઓની વાત છે, પણ શંકરની વાત જ નિરાળી છે, અને એટલે જ બધાં શ્રાવણની આતુરતા પૂર્વક રાહ જોતાં હોય છે. આજથી શિવાલયોમાં ઓમ નમઃ શિવાય, અને અને બમબમ ભોલેનાં નાદ સંભળાશે! સર્વ હિન્દુ સનાતની ઓને શ્રાવણની ખૂબ ખૂબ વધાઈ, અને ભગવાન શિવ આપણાં સૌના હ્રદય કમળમાં બિરાજી સૌને કલ્યાણનાં માર્ગે દોરે એવી પ્રાર્થના. મંદિરો હિન્દુ સંસ્કૃતિની આગવી ઓળખ છે, પણ રખેને એને જ સંસ્કૃતિ કે ભક્તિ સમજવાની ભૂલ કરતાં નહીં. ભક્તિનું પરિપ્રેક્ષ્ય સાવ જુદું જ છે, જેમાં સાધન ગૌણ છે અને ભાવ સર્વોપરી. બીજું મંદિર જવું દૂધનો અભિષેક કરવો, એવી સ્પર્ધા કે દેખાદેખી તો બિલકુલ નહીં, ક્રિયા કે દ્રવ્ય આ બધું સહજ હોય તો જ શંકર સ્વીકારશે, બાકી લાખો લિટર દૂધનો માત્ર વ્યય થશે! અને હાં ખાસ બિલ્વ પત્ર પણ માપમાં, ચોમાસામાં આમ પણ સૂર્ય બહુ ઓછો નીકળે છે, પર્ણને વનસ્પતિનું રસોડું કહેવાતું હોવાથી, જેટલાં વધુ બિલ્વ પત્ર તોડીએ એટલી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થતી નથી, અને એની વૃદ્ધિ અટકી જાય છે, અને પાન તોડી નાખવાથી નવો ઓક્સિજન પણ મળે નહીં. એટલે એમ પણ સમજતાં નહીં કે બેન આવું કરવાની ના પાડે છે! પણ ભક્તિને નામે શેમાંય બિલકુલ અતિરેક નહીં, અને દંભ દેખાડો કે પરંપરાને નામે આગ્રહ નહીં! બાકી રુદ્રાષ્ટક કે શિવ મહિમ્નનાં શ્લોકો સાથે અભિષેકનો મહિમા જ કંઈક ઔર છે, અને આપણે લીંગ રૂપે સાક્ષાત શંકરનો અભિષેક કરીએ છીએ, એ અનૂભૂતિ પણ અત્યંત આલ્હાદક! કારણકે ભક્તિની કે સાક્ષાત્કારની તીવ્ર અનુભૂતિ બહુ ઓછાં સાધનો કે ઓછી સાધનાથી શંકર જ આપી શકે! અને એટલે જ એને ભોળો નાથ કહેવાયો છે. તો આપણે પણ આ શ્રાવણીય અનુષ્ઠાનમાં શિવશંકરનાં જુદી જુદી રીતે ગુણગાન ગાઈશું, અને તત્વતઃ શંકરનાં સ્વરૂપને આત્મસાત કરી કરુણામય બનીશું.
ભગવાન શંકરનાં કેટલાંય ભજનો અને સ્તોત્ર છે! કારણ કે દરેકે પોતાની અનૂભૂતિને વાચા આપવાની કોશિશ કરી હોય! મારી એક રચના છે જેમાં પાર્વતી જેવી શ્રદ્ધા થી અનૂભૂતિનો આધાર શંકરને આલેખ્યો છે, અને શંકર નામનો નામ મહામંત્ર અભય પદ આપી જાય છે, એમ સાધનાની સીડી બતાવી છે, એટલે કે શંકરને ભજવા ખૂબ બધું છે. બીજાનું છોડો આદિદેવ શંકરાચાર્ય ભગવાને પણ શિવ અને શક્તિ પર ખૂબ સ્તોત્ર લખ્યા છે, જે આપણાં હિન્દુ સંસ્કૃતિની આગવી ઓળખ છે. શુભમ શર્મા લિખિત એક શિવ ભજન સાંભળ્યું, જે હંસરાજ રઘુવંશી એ ગાયું છે, અને જેમાં એણે શિવ નામનો મહિમા ગાયો છે.
શિવ શંકરા શ્રી મહેશ્વરા,
શશિ શેખરા શ્રી જટા ધરા.
કુછ છોડને સે કુછ મિલે,
પર કુછ ન કુછ રહ જાયેગા,
મિટ્ટી મેં સબ મિલ જાયેગા.
સબ શૂન્ય મેં મિલ જાયેગા,
શિવ નામ બસ રહ જાયેગા.
શિવ સત્ય હૈં સંસાર હૈં,
શિવ રુપ હૈં શ્રૃંગાર હૈં
શિવ ગીત હૈં શિવ રાગ હૈં,
ગૃહસ્થ શિવ વૈરાગ હૈં,
જબ જો મિલે સ્વીકાર હૈં,
શિવ શાંતિ સુખ સત્કાર હૈં,
ભટકે રે મન કહાં જબ શિવ યહાં
સબ કુછ તૂટ જાને દો.
સાવ સીધાસાદા શબ્દોમાં લખાયેલ આ ભજન બહુ મોટી વાત કરે છે. શિવ, શંકર, શ્રી મહેશ્વર જે શશિ શેખર, અને જટાધર પણ છે. સંસારનો નિયમ છે કે કંઈક છોડવાથી જ કંઈક મળે! પણ તોય સંસારીને મળેલું હંમેશા અધુરું લાગે! અને આમ બધું મેળવવાની લ્હાયમાં અંતે બધું મિટ્ટીમાં મળી જાય છે. બધું જ જ્યારે શૂન્યમાં ભળી જાય ત્યારે આપણને આપણી ભૂલ સમજાય છે, અથવા પસ્તાવો થાય છે! અને ત્યારે શિવ શંકર નામ જ આપણો એક માત્ર સહારો હોય છે! એટલે કે શંકર એ અવિનાશી નામ આગળ બધું જ ગૌણ અથવા શૂન્ય છે, એ સત્ય સમજાય છે! અને પછી શંકર નામ પ્રત્યે આપણો ભરોસો દ્રઢ બને છે! અને સમજાય છે કે શિવ જ સત્ય છે, શિવ જ મારો સંસાર છે. ભક્ત માટે પોતાનું આંતર બાહ્ય રુપ શિવ છે, અને શિવ જ શ્રૃંગાર છે. ગઈકાલે સંસાર અસાર લાગતાં રસનું જે ઝરણું શુષ્ક થઈ ગયું હતું, એ શિવત્વનાં પ્રભાવે સૂરીલુ ગીત બની ગયું, એટલે કે રોમરોમમાં ભક્તિની કે શિવત્વની મસ્તી છવાઈ ગઈ! અને આમ પોતાની મસ્તીમાં રત રહેતાં શિવ સંસારી હોવા છતાં રુખડ જેમ વૈરાગી પણ છે. વૈરાગીને તો જ્યારે જે મળે એનો સ્વીકાર અને સત્કાર જ હોય! પછી ભલે નરસિંહ જેમ દુઃખ મળે કે મીરાં જેમ ઝેર મળે! એની શાંતિ વિચલિત થતી નથી. માટે શંકર અહીં છે, પછી હે જીવ તારું મન જે અહીંતહીં ભટકે છે, એને તું છોડી દે. સંસારી સંબંધોના તાણાવાણા તૂટી જતાં હોય તો પણ, તેને છોડવાની વાત છે. ભજનમાં હજી આગળ પણ આવાં જ આપણને એકદમ નજીક પડે એવાં ભાવ છે, અને બાબા કેદાર શિવ જ આપણને સંભાળી શકે એમ છે!
આમ તો નાગર ગૃહસ્થનાં ઈષ્ટદેવ હાટકેશ્વર પણ ભગવાન શંકરનું જ એક સ્વરૂપ હોવાથી નાનપણથી જ ઘરમાં મહાદેવનાં પૂજા પાઠ થાય ! અને માત્ર શ્રાવણમાં જ નહીં પણ, મમ્મી પપ્પા બંનેની નિત્ય ઉપાસના શિવથી જ શરૂ થતી, મમ્મી તો એનાં સૂરીલા કંઠે ભજન પણ ગાતી, અને વાતાવરણ ભક્તિમય બની જતું,એને બધાં પાઠ કંઠસ્થ હતાં. ક્યારેક કોઈ મુશ્કેલી આવે તો ભીડ ભંજન મહાદેવ સદાય સૌની રક્ષા કરનારાં છે, ભોળાંનો ભગવાન છે, દૂધ પાણી થી રીઝે! એવાં નાનાં નાનાં વાક્યો મમ્મી બોલે, અને અનુભવે ધીરેધીરે એની પર ભરોસો દ્રઢ થતો ગયો. સોળ સોમવાર, ભાખરિયા સોમવારનાં વ્રત ઉપવાસ પણ કર્યા, ઠીક છે એ બધું! પણ કળિયુગમાં જો કોઈ શ્રેષ્ઠ વ્રત હોય તો એ નામ સ્મરણ જ છે, પણ જે કર્યું તે પૂર્ણ આસ્થાથી કર્યું.અને તેથી જ શંકર એટલે જ કલ્યાણ, એ ભાવે શંકરે હ્રદયમાં સ્થાન અંકિત કર્યું. પછી તો કલમ પકડી અને શાસ્ત્રોક્ત સ્તુતિ કે પૌરાણિક કથા મુજબ કેટલુંય લખ્યું! પણ શંકરનાં એ બધાં જ સ્વરૂપ થોડા દૂર પડે છે, અને કૈલાસનું શિખર બહુ ઉંચુ, તો સ્મશાને શિવ ભયભીત કરે, અને રુદ્રની વાત કરીએ તો ક્યારેક વિકરાળ સ્વરૂપ પણ છે. એટલે જ નરસિંહની જેમ સ્વીકારી લઈએ કે આપણે રહ્યાં પૂર્ણ ભોગી, એટલે એમ કંઈ સંસાર છોડી સંન્યાસી થઈ શકાશે નહીં! અને એટલે ભક્તિ માટે શંકરનું આ સંસારી સ્વરૂપ આપણને એકદમ અનૂકૂળ આવશે.
શ્રાવણે શંકર પૃથ્વી પર આવે છે, અને એટલે શિવાલય જ જાણે શિવરૂપ હોય એમ ભાસે છે, અને ભક્તો તેમજ બ્રાહ્મણો દ્વારા ગુંજતો શિવ નાદ જીવ માત્રને અભિભૂત કરનાર છે, પણ એ શ્રાવણનાં સરવડા જેમ ક્ષણિક હોય છે, એટલે આપણે ભક્તિની પરાકાષ્ઠાએ પહોંચી શકતાં નથી. પણ આ શ્રાવણે એટલે જ શિવત્વને આત્મસાત કરવા માટે એનાં સરળ સૌમ્ય સંસારી સ્વરૂપને પૂર્ણ પણે અનુસરીએ.ૐ નમઃ શિવાય.
લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)
