નવી દિલ્હીઃ શું હવે કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે? વરસાદની સિઝનમાં કોરોનાના કેસમાં કેમ થઈ રહ્યો છે વધારો? ટેસ્ટીંગની પ્રોસેસ ક્યાં સુધી પહોંચી? અને અત્યાર સુધીમાં કેટલાં લોકોને અપાઈ ચૂકી છે કોરોનાની રસી? તમામ સવાલોના જવાબો જાણો… દેશભરમાં કોરોનાને કારણે ફરી એકવાર દહેશતનો માહોલ ઉભો થઈ રહ્યો છે. એમાંય ખાસ કરીને દક્ષિણના રાજ્ય કેરળમાં કોરોના રીતસરનો કહેર વર્તાવી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોનાના કુલ 47 હજાર કરતા વધુ કેસ નોંધાયા છે. નવા કેસમાં મોટાભાગના કેસ કેરળમાં નોંધાયા છે. છેલ્લાં 24 કલાકમાં નોંધાયેલાં નવા કેસો પૈકી 32,803 કેસ કેરળમાં નોંધાયા છે. જે પૈકી 24 કલાકમાં 173 લોકોના મૃત્યુ થયા છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 47,092 કેસ નોંધાયા છે. ગઈકાલે દેશભરમાં કોરોનાના 41,965 કેસ નોંધાયા હતા. આ સાથે કુલ કેસનો આંકડો 3,28,57,937 પર પહોંચી ગયો છે. જેમાંથી હાલ 3,89,583 દર્દીઓ સારવાર હેઠળ છે. એક દિવસમાં 35,181 લોકો રિકવર થયા છે. અત્યાર સુધીમાં રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 3,20,28,825 પર પહોંચી ગઈ છે.