લોકસભા ચૂંટણી માટે ભાજપે 100 નામ ફાઈનલ કર્યા! કોણ ક્યાંથી લડશે તે ટૂંક સમયમાં થશે જાહેર

0
8
લોકસભા ચૂંટણી માટે ભાજપે 100 નામ ફાઈનલ કર્યા! કોણ ક્યાંથી લડશે તે ટૂંક સમયમાં થશે જાહેર
મોડી રાત સુધી ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક ચાલી હતી

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીની તૈયારી કરતાં ભાજપે તેના 100 ઉમેદવારોના નામ લગભગ ફાઈનલ કરી લીધા છે. મોડી રાત સુધી ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક ચાલી હતી જેમાં પીએમ મોદીએ પણ ભાગ લીધો હતો. પીએમ મોદી 11 વાગે સેન્ટ્રલ ઓફિસ આવ્યા હતા અને સવારે 3.30 વાગે નીકળી ગયા. બેઠકમાં પ્રથમ યાદી અંગે ચર્ચા કરવામાં આવી હતી. સૂત્રોનું કહેવું છે કે એક-બે દિવસમાં પ્રથમ યાદી આવી શકે છે.સૂત્રોના જણાવ્યાનુસાર પીએમ મોદી આ વખતે પણ વારાણસીથી તો ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગરથી જ્યારે રાજનાથ સિંહ લખનઉ બેઠક પરથી ફરી વખત ચૂંટણી લડી શકે છે. બેઠકમાં 2019માં જે ‘નબળી’ બેઠકો ભાજપે ગુમાવી હતી કે જ્યાં ઓછા અંતરથી જીત્યો હતો તેના પર વધારે ફોકસ કરવામાં આવ્યું હતું. મોડી રાત્રે CECની બેઠકમાં જે રાજ્યો પર ચર્ચા કરવામાં આવી હતી તેમાં યુપી, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, ગુજરાત, આસામ, તેલંગાણા, કેરળ અને અન્યનો સમાવેશ થાય છે. એવા કેન્દ્રીય મંત્રીઓ કે જેઓ રાજ્યસભાના સાંસદ છે તેઓ આગામી ચૂંટણી લડી શકે છે. તેમાં ભૂપેન્દ્ર યાદવ, જ્યોતિરાદિત્ય સિંધિયા, નિર્મલા સીતારમણ, ધર્મેન્દ્ર પ્રધાન, સર્બાનંદ સોનોવાલ, વી મુરલીધરનનો સમાવેશ થાય છે. ભાજપ ઘણા મહિલા ચહેરાઓ સહિત નવા ચહેરાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે.આ સિવાય ભાજપે બંગાળના આસનસોલમાં ટીએમસી સાંસદ શત્રુઘ્ન સિન્હાનો મુકાબલો કરવા ભોજપુરી સ્ટાર પવન સિંહને મેદાને ઉતારી શકે છે. જ્યારે અન્ય બેઠકો પર કેટલાક સેલિબ્રિટી ચહેરાઓને ઉતારવાની રણનીતિ અપનાવવામાં આવી શકે છે. જ્યારે દિલ્હી ભાજપના ત્રણ સાંસદો એવા છે જેમનું પત્તુ કપાઈ શકે છે. તમિલનાડુ ભાજપના અધ્યક્ષ અન્નામલાઈને પણ આ વખતે લોકસભાના મેદાનમાં ઉતારવામાં આવે તેવી શક્યતા છે. આ સિવાય મધ્યપ્રદેશના પૂર્વ સીએમ શિવરાજ સિંહ ચૌહાણને ભોપાલથી મેદાનમાં ઉતારવામાં આવી શકે છે. હાલમાં ભોપાલથી ભાજપ સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુર છે જે ઘણીવાર વિવાદોમાં રહ્યા હતા. આ સિવાય ભાજપના વર્તમાન સાંસદ બાંદી સંજય, જી કિશન રેડ્ડી અને અરવિંદ ધર્મપુરીને ફરીથી તેલંગાણાથી મેદાનમાં ઉતારવામાં આવશે.