
ગુજરાતમાં સંગઠન એક્ટિવ કરતા હતા, મધ્યપ્રદેશ-ગુજરાતમાં ATSનું ઓપરેશન
રથયાત્રાના 13 દિવસ પહેલાં જ આજે 3 જુલાઈએ ગુજરાત ATSની ટીમે મધ્યપ્રદેશ અને ગુજરાતમાં ઓપરેશન કરીને 8 આતંકીઓની ધરપકડ કરી છે. આ શખસો પ્રતિબંધિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સક્રિય હતા અને ગુજરાતમાં આતંકી સંગઠનને સક્રિય કરવા માટે કામગીરી કરી રહ્યા હતા. જે અંગેની બાતમી મળતા અલગ અલગ ટીમો બનાવી અને ATSની ટીમે ખૂબ મોટું ઓપરેશન પાર પાડ્યું છે. ATS દ્વારા આતંકીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. પકડાયેલા આતંકવાદીઓમાં અહમદ અબ્દુલ્લા ગાજીવાળા, ઇબ્રાહિમ મોહમ્મદ હુસેન ઘાઘા, મુદસ્સિર અબ્દુલ્લા ગાજીવાલા, ઝકારિયા દુરાની, મુફ્તિ ફૌજાન, મોહમ્મદ અમીન શેરા, મોહમ્મદ અબ્દુલ રહેમાન સાવડી અને બિલાલ મોહમ્મદનો સમાવેશ થાય છે. આ તમામ શખ્સો સામે દેશવિરોધી પ્રવૃત્તિઓ અને આતંકવાદી નેટવર્ક સાથે જોડાયેલા હોવાના ગંભીર આરોપો હેઠળ એટીએસ દ્વારા આગળની કાયદેસરની તપાસ અને સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
6 મે 2026ના નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી(NIA)એ જાહેર સ્થળોએ નિર્દોષ લોકો પર સામૂહિક ઝેર આપવાના લક્ષ્ય સાથે જેહાદી બાયો-ટેરરિઝમ કાવતરામાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ISIS સાથે જોડાયેલા ત્રણ આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. મુખ્ય આરોપી હૈદરાબાદ સ્થિત ડો. સૈયદ અહેમદ મોહિયુદ્દીન અને ઉત્તર પ્રદેશના અન્ય બે સહ-આરોપીઓ આઝાદ અને મોહમ્મદ સુહેલ વિરુદ્ધ અમદાવાદ સ્થિત NIAની સ્પેશિયલ કોર્ટમાં UAPA એક્ટ, BNS અને આર્મ્સ એક્ટની સંબંધિત કલમો હેઠળ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. એરંડાના બીજમાંથી સાઇનાઇડથી વધુ ખતરનાક ઝેર બનાવવાનો પ્રયાસ કરી મોટા આતંકી હુમલાનો ઈરાદો હતો. 30 એપ્રિલ 2026ના પાકિસ્તાનના બહાવલપુરથી મોટા સમાચાર સામે આવ્યા હતા. આતંકવાદી સંગઠન લશ્કર-એ- તૈયબા અને જૈશ-એ- મોહમ્મદના ટોચના કમાન્ડર મૌલાના સલમાન અઝહરનું શંકાસ્પદ મોત થયું હતું. શરૂઆતના રિપોર્ટ મુજબ સલમાન અઝહરનું મોત અકસ્માતે થયું. તે બહાવલપુરમાં તેના સંગઠનના માણસો સાથે ચાલીને જઈ રહ્યો હતો ત્યારે પૂરઝડપે ધસી આવેલી કારે તેને ઊડાડી દીધો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે મૌલાના સલમાન અઝહરનું સ્થળ પર જ મોત થયું.
માનવામાં આવે છે કે પાકિસ્તાનમાં ઓપરેશન સિંદૂર પછી પણ ‘ઓપરેશન ધુરંધર’ ચાલી રહ્યું છે અને આ તેનો જ ભાગ હોઈ શકે છે. જૈશના નવેસરથી ઊભા માળખાંને પણ નષ્ટ કરવામાં આવી રહ્યું છે. બે દિવસ પહેલાં 27 એપ્રિલે ખૈબર પખ્તુનખ્વાહના જૈશ-એ-મોહમ્મદના કમાન્ડર યુસુફ આફરીદીને ગોળીઓ મારીને શરીર ચારણી કરી દેવામાં આવ્યું હતું. આ બંને ઘટના નવી નથી. પહેલગામ હુમલા પછી 11 આતંકીઓ માર્યા ગયા છે અને તેના કારણે લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના પાયા હચમચી ગયા છે. જોકે પાકિસ્તાન સરકાર જૈશે આ બાબતની સત્તાવાર પુષ્ટિ કરી નથી.
