
જયપુર-અજમેર હાઇવે પર ડુડુ નજીક બીજા ટ્રક સાથે અથડાયા બાદ LPG સિલિન્ડર ભરેલા ટ્રકમાં આગ લાગતા સેંકડો બ્લાસ્ટ થયા હતા. પોલીસે જણાવ્યું હતું કે ટક્કરને કારણે એક પછી એક અનેક સિલિન્ડર્સ ફૂટ્યા હતા, જેના કારણે અનેક વિસ્ફોટ થયા હતા. આગની ઝપેટમાં કેટલાક વાહનો પણ આવ્યા હતા. ઘણા કિલોમીટર દૂરથી જ્વાળાઓ દેખાઈ રહી હતી, જ્યારે વિસ્ફોટોનો અવાજ ઘણા દૂરથી સંભળાયો હતો. આ ઘટના જયપુર-અજમેર હાઇવે પર મૌજમાબાદ વિસ્તારમાં સવારદા કલ્વર્ટ પાસે બની હતી. મુખ્યમંત્રી ભજનલાલ શર્માની સૂચના પર નાયબ મુખ્યમંત્રી પ્રેમચંદ બૈરવા પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. બૈરવાએ જણાવ્યું હતું કે અકસ્માતમાં સંડોવાયેલા વાહનના ડ્રાઇવર અને હેલ્પરની હજુ સુધી ઓળખ થઈ નથી. અન્ય કોઈ ઇજાના અહેવાલ નથી. તેમણે ઉમેર્યું હતું કે, આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે.જયપુર ગ્રામ્યના મોઝામાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જયપુર-અજમેર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ગેસ સિલિન્ડરો વહન કરતી ટ્રકમાં આગ લાગવાની ઘટના અત્યંત દુ:ખદ છે. ફાયર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમો ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરીમાં રોકાયેલી છે. જિલ્લા વહીવટીતંત્રને ઘાયલોને યોગ્ય સારવાર અને અસરગ્રસ્તોને શક્ય તમામ સહાય પૂરી પાડવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
તેમણે ઉમેર્યું કે, આ હૃદયદ્રાવક ઘટનાથી પ્રભાવિત તમામ લોકોની સલામતી માટે હું ભગવાનને પ્રાર્થના કરું છું. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે LPG સિલિન્ડરો ભરેલો ટ્રક રસ્તાની બાજુમાં એક ખાણીપીણીની દુકાનની બહાર પાર્ક કરવામાં આવ્યો હતો જ્યારે ડ્રાઇવર ત્યાં જમવા માટે રોકાયો હતો.


