
હે ઈશ્વર.
આપનાં શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. કારતક પૂરો થવા આવ્યો ત્યારે શરૂઆત થઈ ગઈ છે, અને ઠંડીનું મોજુ અનુભવાય રહ્યું છે, વહેલી સવારે તો એ અલહાદકતા એટલે કે શરીરમાં થોડીક ધ્રુજારી પણ ઉત્પન્ન કરે છે. પ્રકૃતિના પ્રદૂષણને કારણે શિયાળો થોડો મોડો અનુભવાયો, એટલે કે લગભગ દિવાળી સુધી બધાના ઘરમાં રાત્રે એસી ચાલતા હતાં, એટલી ગરમી યથાવત હતી. સુક્ષ્મ ચિંતન કરીએ તો ઋતુ પ્રભાવ હોય કે પછી મારી જેમ મમતાનુ પારિવારિક કારણ! પણ સમયે હુંફ બહુ જરૂરી છે. એકાએક ઠંડી શરૂ થઈ ગઈ છે, અને શિયાળાને માણવા સહુ પોતપોતાની રીતે સમજાય એ રીતે સ્વાસ્થય બનાવવા લાગી પડ્યા છે. શરીર એટલે કે દેહ અંતર આત્માને ધારણ કરનારું એક પવિત્ર દેવળ હોવાથી, તેની સમયે સમયે મરમત્ત કરવી પણ એટલી જ જરૂરી છે. ટૂંકમાં એની દેખભાળ આવશ્યક છે, પરંતુ એનાં જ લાલન પાલનમાં દિવસો વીતતા જાય છે, એ તરફ પણ દ્રષ્ટિ કરવી આવશ્યક છે. બંગલો ગમે તેટલો આલીશાન હોય કે સુખ સગવડતા ભર્યો હોય, પરંતુ એ અહીં જ છોડીને એક દિવસ જવાનું છે, બસ એ જ રીતે શરીર ગમે તેટલું આકર્ષક હોય, પણ એનો ત્યાગ કર્યા વગર મુક્તિ કે ભક્તિ બંને શક્ય નથી, એ શાશ્વત સત્યને સમજી ને સંસારી જીવ ભોગ ને પ્રસાદ જેમ ગ્રહણ કરીને જીવે તો એ તેની માટે યોગ સાબિત થાય, અને આ વાત ભગવાન આદિદેવ જગતગુરુ શંકરાચાર્ય એ કરી, આપણા આદિ કવિ નરસિંહ મહેતા એ પણ પોતાને નરસૈંયો ભોગી જ કહ્યો. યોગ એટલે જીવતે જીવ પરમાત્મા સાથે જોડાવું! અને ભોગની વધતી જતી લાલાયિતા જ આપણને યોગ એટલે કે પરમાત્મા સાથે જોડાવા દેતી નથી, અને એને કારણે આટલું બધું ભોગવ્યા છતાં કાંતો હજી વધુ, અને કાંતો આ બધું કે જે મેં જીવન પર્યંત મહેનત કરીને ભેગું કર્યું, એ છોડીને જવું પડશે, એવો રંજ જીવનમાં બધું જ હોવા છતાં સંતોષ થવા દેતો નથી, અને એને કારણે અશાંતિ અનુભવાય છે. પરિવારમાં એક સભ્ય અશાંત હોય, તો એ પરિવારના બીજા સભ્યોને પણ પોતાની વિચારસરણી મુજ્બ જીવવું એવો આગ્રહ રાખી અશાંત કરે છે. બસ આ અને આવા નાના નાના બીજા પારિવારિક કારણે ભારતીય સમાજ ધીરેધીરે તૂટતો જાય છે.
ઘણીવાર વિચાર આવે કે આપણી પાસે શું નથી? એટલે કે પહેલાના કરતાં ઓછા પરિશ્રમ વાળું અને સુખ સગવડતા ભર્યું જીવન છે. વિજ્ઞાનના વિકાસને કારણે આજે સમાજમાં ઘણી ઘણી ક્રાંતિઓ આવી ગઈ છે. શિક્ષણના ક્ષેત્રે પણ હવે દીકરા દીકરીનો ભેદ ઓછો થતો જાય છે, અને એ રીતે દીકરીઓ પણ પોતાનું ભવિષ્ય સુંદર બનાવી રહી છે. એટલે સામાજિક સ્તર ઊંચું થતું ગયું છે, પરંતુ પારિવારિક રીતે ઘણીવાર એવું બનતું હોય, કે પરિવારના કોઈ એક બે સદસ્યોના જીવન વિશેના રૂઢિગત કે જુનવાણી વિચારોને કારણે આખો પરિવાર પ્રસન્નતાથી જીવી શકતો નથી. તો ઘણીવાર ઊંધું પણ હોય, એટલે કે વધુ પડતી આધુનિકતાને કારણે પણ પરિવારને ભોગવવું પડતું હોય છે. પરિવર્તનનો અર્થ જ બદલાવ થાય છે, એટલે કે સમય જેમ જેમ આગળ ચાલે તેમ તેમ નવી જનરેશન પોતાની રીતે પોતાના જીવનનું મૂલ્યાંકન કરે, અને એ રીતે જીવવાનો આગ્રહ રાખે. તો બહુ સ્વાભાવિક રીતે જ પહેલાની પેઢી આ બધું આસાનીથી સ્વીકારી શકે નહીં, અને ઘરમાં આ રીતે ઘર્ષણ ઊભું થાય, થોડો વખત પરિવારમાં આ રીતે મતભેદ થાય, ધીરે-ધીરે મન ભેદ થાય, અને પરિવાર તૂટે. એટલે કે સ્વતંત્ર અસ્તિત્વની માંગ માટે પરિવારનું વિભાજન થઈ જાય! ટૂંકમાં સમજણની આવશ્યકતા બંને પક્ષના દરેકે દરેક સભ્યને છે, અને સારું ખરાબ કે સાચાં ખોટાંનો ભેદ દરેક વખતે જૂની પેઢીને જ હોય! એવું સમજી લેવું એ પણ ભૂલ ભરેલું હોય છે. ઘણીવાર ત્રણ પેઢી પણ સાથે હોય, અને ત્યારે માત્ર જતુ કરવાની ભાવના જ પરિવાર ને બાંધી રાખી શકે છે, એ સત્ય કે સંસ્કાર આજકાલ બહુ જ જવલ્લે જોવા મળે છે, પરંતુ અહીં પણ શોષણ થવાની શક્યતા છે! એટલે કે કોઈ એક પક્ષ હંમેશા જતુ કરતો હોય, અથવા એને જતુ કરવાની ફરજ પડાતી હોય એવું બની શકે! પણ જો આ પિરિયડ લાંબો ચાલે તો વિદ્રોહની શક્યતા પણ રહે છે.
હમણાં જ તહેવારોના દિવસો ગયાં, જે જે વિભક્ત કુટુંબ હશે એણે અનુભવ્યું હશે, કે રૂપિયા પૈસાથી કંઈ ખુશી ખરીદી શકાતી નથી, તહેવારોમાં સ્વજનોનો સાથ પણ એટલો જ આવશ્યક છે. જોકે આજકાલ તો લોકો રજાઓમાં ફરવા નીકળી પડે છે, એટલે એ રીતે એ લોકો અમુક લાગણીનાં અવસરો ચૂકી જાય છે. આપણે ઉપર જોયું તેમ હવે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે, ઠંડીથી બચવા આપણે સ્વેટર સાલનો ઉપયોગ કરતા હોઈએ છીએ. રાત્રે હુંફાળા અને મુલાયમ સ્પર્શ કરાવતા ધાબળા દોહર અને કમ્ફર્ટર એટલે કે આધુનિક રજાઈ, ઓઢીને ઠંડી ભગાડતા હોઈએ છીએ, બસ એ જ રીતે પરિવારના સભ્યોની અંદરો અંદર હુંફ વર્તાવી પણ એટલી જ જરૂરી છે. તહેવાર હોય કે ન હોય, સંતાન ભલે દૂર હોય પણ સંકટ સમયે એકબીજાનો સાથ છે, એવો એક ભરોસો પણ સારી એવી હુંફ આપે છે, અને પરિવારના દરેક સભ્યો હસી ખુશી જીવન જીવે છે.
સમય પ્રમાણે આપણામાં ઘણા પરિવર્તન આવ્યા છે, પરંતુ આપણી ફરિયાદ કરવાની ટેવ ગઈ નથી. એટલે કે આ નથી, એટલે હું આમ કરી કરી શકતી નથી. એમાં પણ આજકાલ લોકોને સમયની કટોકટીનું તો મુખ્ય કારણ હાથવગું જ છે, એટલે કે સમય નથી, નહીં તો હું કેટલુંય કરી શકું!; પરંતુ જેને કંઈક વિશેષ કરવું હોય એ આવી ખોટી ફરિયાદોથી પોતાની જાતને બહાર કાઢી લે છે, અને ત્યારે જ જીવનમાં કંઈક કરી શકે છે. કેટલા સમયથી બધું અનુકૂળ થાય એની રાહ જોતાં આવ્યા છીએ, અને જીવનના આટલા વર્ષો એમનેમ જતાં રહેવાનો રંજ પણ હવે સતાવી રહ્યો છે, ત્યારે સંતાનો જો દૂર હોય તો બીજાં બે ને સંતાન બનાવી એમની જરુરિયાત પૂરી કરી આપણે ખુશી મેળવી શકીએ છીએ. કારતકની શરુઆતમાં જલારામ જયંતિ ગઈ, તો એમનાં જીવનમાંથી પ્રેરણા લઈને આપણાં માંથી કોઈને બટકું રોટલો આપીએ, બસ આવાં નાનાં નાનાં ફેરફાર જીવનમાં જતે દિવસે મોટો બદલાવ લાવી શકે છે, અને એ જ આપણે કરવાનું છે. ભારતની આટલી મોટી આબાદીમાં એક સંપન્ન વ્યક્તિ કમસે કમ એકનો હાથ પકડી એને હુંફ આપે, તો બંને પક્ષે ઉષ્માનો અનુભવ સંભવ છે. આપણે સૌ આ રીતે સમયના આ બદલાવને સ્વીકારી સમાજ ઉપયોગી કર્મ કરી શકીએ, એવી એક અનન્ય પ્રાર્થના ઈશ્વર ચરણે રાખી, હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. ફરી મળીશું નવા ચિંતન મનન સાથે, તો સૌને મારા આજના દિવસના સ્નેહ વંદન અને જય સીયારામ.
લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)


