
વિરમગામ એસ.ડી.એચ.ના ગાયનેકોલોજિસ્ટ ડો. અદિતી પાઠકે સીમિત સાધનો દ્વારા કરાવી સફળ પ્રસુતિ, વિરમગામ સરકારી દવાખાનામાં માતા-બાળકી સુરક્ષિત
વિરમગામ : ડૉક્ટર એ ધરતી પર ભગવાનનું બીજું રૂપ છે. આ વાતને અક્ષરશઃ સાચી સાબિત કરતી એક માનવીય ઘટના સામે આવી છે. જબલપુર-સોમનાથ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા એક સગર્ભા મહિલાને અચાનક ઉપડેલી પ્રસુતિની પીડા સમયે વિરમગામ એસ.ડી.એચ (સરકારી હોસ્પિટલના) ના ગાયનેકોલોજિસ્ટ ડો. અદિતી પાઠકે પોતાની આગવી સૂઝબૂઝથી ચાલુ ટ્રેનમાં જ પડકારજનક પણ સફળ પ્રસુતિ કરાવીને તબીબી જગતનું ગૌરવ વધાર્યું છે. ડો.અદિતી પાઠક પ્રસુતિ બાદ સગર્ભા મહિલાને વિરમગામ સરકારી દવાખાનામાં લઇ આવ્યા હતા. પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. સરકારી ડૉક્ટર અને હોસ્પિટલ સ્ટાફની ત્વરિત અને સંવેદનશીલ કામગીરીને કારણે આજે માતા અને બાળક બંને સંપૂર્ણ સ્વસ્થ છે. ડૉક્ટર્સ અને મમતા ઘરના સ્ટાફની આ ઉમદા સેવાને બિરદાવીને પરિવારે હસતા મુખે તેમનો આભાર માન્યો હતો. સોશિયલ મીડિયા પર પણ ડૉ. અદિતિ પાઠક અને હોસ્પિટલની ટીમ પર અભિનંદનની વર્ષા થઈ રહી છે. વિરમગામ એસ.ડી.એચ.ના ગાયનેકોલોજિસ્ટ ડો. અદિતી પાઠકે સીએમએમ ભારત સાથે આખી આ ઘટના અંગે વિગતે વાત કરી હતી.
ટ્રેનમાં અચાનક ઉપડી પ્રસૂતિની પીડા
મળતી માહિતી મુજબ, અમદાવાદથી સુરેન્દ્રનગર જઈ રહેલા ૨૫ વર્ષીય આરતીબેન ભરતભાઈ દેવીપૂજક જબલપુર-સોમનાથ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક જ તેમને અસહ્ય પ્રસૂતિની પીડા ઉપડી હતી. ટ્રેનમાં પ્રસુતિ કરાવવી કઇ રીતે એ સૌથી મોટો પ્રશ્ન પરિવારને હતો. પરંતુ પ્રસુતાના પતિએ આવા સમયે હિમ્મતથી કામ લઇને મુસાફરોને પુછ્યે કે ટ્રેનમાં કોઇ ડોક્ટર છે? એટલે તાત્કાલીક ડો. અદિતી પાઠકનો સંપર્ક કરતા તેઓ ટ્રેનમાં પણ મદદ કરવા માટે આગળ આવ્યા હતા.
રેલવેના ડબ્બામાં જ બાળકીનો જન્મ કરાવ્યો
ચાલુ ટ્રેનમાં પૂરતા સાધનો કે સુવિધા ન હોવા છતાં, ડૉ. અદિતિ પાઠકે પોતાની વ્યાવસાયિક કુશળતાનો ઉપયોગ કરી એક પણ ક્ષણ ગુમાવ્યા વિના પ્રસુતી કરાવી હતી. સહ-મુસાફરોના સહકારથી તેમણે ટ્રેનમાં જ પડકારજનક સ્થિતિ વચ્ચે પ્રસુતી સફળ રહી હતી. અને આરતીબેને એક સુંદર બાળકીને જન્મ આપ્યો હતો. ટ્રેનમાં કિલકિલાટ ગુંજતા જ મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો.
વિરમગામ સરકારી હોસ્પિટલના ‘મમતા ઘર’માં ઉમદા સારવાર
ડૉ. અદિતિ પાઠકે માત્ર ટ્રેનમાં પ્રસુતિ કરાવીને પોતાની ફરજ પૂરી ન માની. પરંતુ તેમણે માનવતા દાખવીને માતા અને નવજાત બાળકીને સુરક્ષિત રીતે વિરમગામ સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા અને એસ.ડી.એચ ના ‘મમતા ઘર’ ના સ્ટાફ અને કર્મચારીઓએ પણ અત્યંત વહાલ અને હેતપૂર્વક માતા-બાળકીની સંપૂર્ણ સારવારમાં મદદરૂપ બન્યા હતા.
