
માનસ સુંદરકાંડનાં આઠમાં દિવસની કથા એક ભાઈની જીજ્ઞા સાથે થઈ, પરંતુ એ જ ભાવ વ્યક્ત કરતો ઉપનિષદના એક મંત્ર વિશે પણ આજે પૂજ્ય બાપુ કહેવાનાં જ હતાં! જેનું તાત્પર્ય સીધું એ જિજ્ઞાસા સાથે મળે છે. ઉપનિષદનો ઋષિ કહે છે, આત્મા મોટા મોટા પ્રવચનો કરવાથી મળતો નથી, બહુ બૌદ્ધિક થયા બાદ પણ આત્મા મળતો નથી, ગમે તેટલું સાંભળો છતાં, આત્મા મળવાનો નથી. પ્રવચન, આખ્યાન વ્યાખ્યાન, ભાષણ અને કથામાં બહુ તફાવત છે.
મારી સમજ મુજબ પ્રવચન એને કહે છે જેમાં કેવળ શબ્દની પ્રધાનતા હોય, અનુભવ ન પણ હોય, બની શકે પ્રવચન સારું હોય, શબ્દ લાલિત્ય હોય, પણ કેવળ શબ્દ પ્રધાનતાનું માધ્યમ બની રહે. આખ્યાન એટલે જે મહાનુભાવો થઈ ગયાં છે, એને વિશે પોળમાં બેસીને માણભટ્ટ અથવા તો અમારા સાધુઓ જે વાતો કરે છે, એને આખ્યાન કહેવાય. નળાખ્યાન, સુદામા આખ્યાન ,કુવરબાઈનું મામેરુ, શામળશાનો વિવાહ, મહેતાની હૂંડી, મહેતાનાં પિતાનું શ્રાદ્ધ, હરિશ્ચંદ્ર આખ્યાન, કે જેમાં ભક્ત ચરિત્રનાં જુદા જુદા પ્રસંગોની વાત છે. વ્યાખ્યાન યુનિવર્સિટીમાં થાય, મોટા મોટા મહાનુભાવો કોઈ વિષય પર બોલે, અને આમ વ્યાખ્યાન માળાનું આયોજન થાય. દાખલા તરીકે અમદાવાદની એક વ્યાખ્યાન માળામાં મને નિમંત્રિત કર્યો હતો, અને વિષય હતો કથા તથા વાર્તા! યુનિવર્સિટીના ચાન્સેલરે પોતાનાં નિવેદનમાં કહ્યું કે વાર્તાઓ ધીરે ધીરે લુપ્ત થતી જાય છે, દાદી નાનીની વાર્તાઓ બાળકોને સુવડાવી દેતી હતી, અને બાપુ પણ વાર્તા જ કરે છે, રામની વાર્તા હનુમાનની વાર્તા શિવની વાર્તા.. મારો વારો આવ્યો મેં બહુ નમ્રતાથી મારી વાત રાખતાં કહ્યું કે, કથા ચોક્કસ વાર્તા છે. પરંતુ આ વાર્તા સુવડાવી દેતી નથી, જગાડવાનું કામ કરે છે, અને આટલા વર્ષોથી સૌને સનાતન શું છે? એ વિશે જાગૃત કરી રહ્યો છું. ભાષણ અમુક ક્ષેત્ર માટે છે, એમાં વિષય સાથે કે શબ્દો સાથે કંઈ લેવાદેવા હોતી નથી, માત્ર લોકોને ઉત્તેજિત કરવાં, ખોટા સાચા વચનો આપીને લોકોની તાળીઓ ઉઘરાવવામાં આવે છે. ચોક્કસ એમાં કંઈક સારું પણ હોય, પરંતુ એ સિદ્ધાંતના રૂપમાં રજૂ કરી શકાય નહીં.
કથા પ્રવચન નથી, આખ્યાન નથી, વ્યાખ્યાન નથી, કે ભાષણ પણ નથી. હા એ વાત જુદી છે કે હું વચ્ચે નરસિંહને લાવું, કે મનસુખ માસ્તરને લાવું.
કથામાં પાંચ વસ્તુ હોય છે, આ પંચતત્વ જેમાં હોય એને કથા કહેવાય. શબ્દ તો હોય જ શબ્દ વિના કથા કેમ થાય! એટલે જેમાં શબ્દ હોય, સુર હોય, અને એ સુર પાછો સુરતા યુક્ત હોય. ત્રીજું સુંદર સ્વર હોય, ચોથો લય હોય, અને પાંચમો તાલ હોય, એ પાંચ મળીને જે થાય એને કથા કહેવાય, અને આ પાંચેય પરમાત્માના અંશ છે. શબ્દને બ્રહ્મ કહ્યો છે, સુર દેવતા છે, સૂરમાં બહુ મોટી સાવધાની રાખવી પડે, દેવતાઓ ઉપર રહે છે, એમ સૂરનો નિવાસ બહુ ઊંચો છે. સુરને અનુકૂળ કોઈ મીઠો સ્વર મળી જાય, સ્વરને લોકોએ ઈશ્વર કહ્યો છે. લય શિવ છે જે પ્રલયનો દેવતા છે, ગમે ત્યાં જાવ પણ વિલય તરફની જ આપણી ગતિ છે, એક શૂન્યમાં સમાહિત થવા માટે સૌએ જવાનું છે. તાલ એટલે સીધો સાદો અર્થ કરીએ તો ભજન. કથામાં આ પાંચે તત્વનું સંમિશ્રણ હોય છે, કથા એટલે કથા.
ભગવાન શંકરે કથા કરી છે, તો ભગવાન શંકરને પૂછીએ કથા શું છે?
રામકથા સુંદર કર તારી,
સંશય બીહંગ ઉડાવનિહારી.
પક્ષી બેઠો હોય એને ઉડાવવા માટે પથ્થરની જરૂર નથી. પક્ષી પર કાંકરા ફેકવાની આપણી સંસ્કૃતિ મનાઈ કરે છે, તો પક્ષીને ઉડાડવા છે? તમારે એની પાસે ન જવું, ડાળી ન હલાવો, પથ્થર ફેકો નહીં, ગોળી નહીં તીરકામઠા નહીં ધુમાડો પણ નહીં, શંકર કહે છે કે બે હાથની તાળી મારો, એટલે પંખી આપોઆપ ઉડી જશે. રામકથા બે હાથની તાળી છે, આપણાં જીવનમાં સંશય રૂપી જેટલાં પક્ષી છે, એ આપોઆપ ઉડી જશે. પરંતુ પક્ષી એક ડાળ પરથી બીજી ડાળ પર બેસી જાય તો! તુલસીએ બીજું નિવેદન કર્યું.
રામકથા કલિ બિટપ કુઠારી.
સંશયનું, વહેમનું, કે ભ્રાંતિનું પક્ષી ઉડીને બીજી શાખા પર બેસી જાય તો, તુલસી કહે છે, રામ કથા કુહાડી બની કળિયુગનાં વૃક્ષને કાપી નાખશે, પછી પક્ષી ક્યાં બેસશે? રામ કથા કરતાલી પણ છે, અને કુહાડી પણ છે, કરતાલી શાસ્ત્ર છે, અને કુહાડી શસ્ત્ર છે.
યાજ્ઞવલ્જીને પૂછવામાં આવે કે કથા શું છે?
મહામોહુ મહિષેસુ બિસાલા,
રામકથા કાલિકા કરાલા.
તુલસી વિનય પત્રિકામાં લખે છે કે, રાવણ મોહ છે, અને મોહરુપી રાવણને રામ મારે છે. આપણાં જીવનમાં મહામોહ છે, એને કોણ મારશે? મહામહોર રૂપી મહિષાસુરને મારવાં માટે રામકથા કરાલ કાલિકા છે, જગદંબા છે, ચંડી છે. રામ કોમળ પણ છે, અને કરાલ પણ છે. બ્રહ્મને બંને લક્ષણ લાગુ પડે છે, અને એવી જ રીતે કથા પણ કોમળ અને કરાલ છે. રામકથા ચંદ્રનાં કિરણો જેવી શીતળ છે, અને કલિકા જેવી કરાર પણ છે. વજ્રથી પણ કઠોર અને કુસુમથી પણ સુકોમળ એવી કથાથી આપણાં મહામોહનો નાશ થાય છે.
પ્રવચન થી આત્મા નથી મળતો, બહુ બુદ્ધિનાં તર્કો કરવાથી પણ આત્મા નથી મળતો, પરંતુ જાનકીના ચરણોમાં પ્રણામ કરીને, જગદંબાના આશીર્વાદ લઈને, બુદ્ધિ શુદ્ધ થાય તો, બુદ્ધિથી આત્મા મળી જાય. બહુ સાંભળવાથી આત્મા નથી મળતો, પરંતુ કથા શ્રવણથી આત્મા મળી શકે છે. સુનિયે દુઃખ પાપકા નાશુ, ભાગવતજી શ્રવણને પ્રથમ ભક્તિ કહે છે, અને તુલસી લખે છે જીન કે શ્રવણ સમુદ્ર સમાના, તો કથા શ્રવણથી આત્મા અવશ્ય મળે છે, ઘણાને મળ્યો પણ છે, નહિતર કથા શ્રવણનો આટલો મહિમા ન્હોય. વારંવાર એકની એક કથા શા માટે સાંભળો છો? અને પ્રમાણ છે કે કથા સાંભળવાથી પ્રસન્નતા રૂપી પરમાત્મા મળે છે, મોંહ ભાગે છે, અને પરમ તત્વ પ્રત્યે નેહ જાગે છે. ભગવાન શિવ કહે છે કે હરિની કથા એ જપ છે, કથા કહેનારા અને સાંભળનારા જપ કરી રહ્યા છે.
સુંદરકાંડમાં જે પંચદર્શન છે એમાં વિભિષણની આંખમાં રામનું દર્શન શું છે? વિભિષણની આંખ રામનું દર્શન ચરણોથી શરૂ કરે છે, અને જેમાં પ્રભુના ચરણોની જ પરિકલ્પના છે, અને એટલે શરણાગતિ. વિભીષણ આવે છે, તો કહે છે આપના વિશે સાંભળીને, આપને પ્રેમ કર્યો છે. આપને જોયા ન્હતો, માત્ર આપના વિશે સાંભળ્યું હતું, કે આપ ઉધાર છો! શરણાગત વત્સલ છો! એ સાંભળીને આવ્યો છું, હું આપનો સુજસ સાંભળીને આવ્યો છું. આપ બીજાની ભીડ મીટાવો છો, હું આપના શરણમાં આવ્યો છું. ભગવાને લંકેશ કહી તેને સંબોધન કર્યું, અને રાવણના મર્યા પહેલા તેનું રાજ તિલક પણ કર્યું.
ગુરુની વાત આવતા કહ્યું કે ગુરુ પંચમુખી હોવા જોઈએ. (૧) ગુરુ મુખ હોવા જોઈએ, એટલે કે માત્ર દંતકથા નહીં પરંતુ સંત કથા કહેનારા હોય.
(૨) ગુરુ ગૌમુખી હોય, ગાય જેવા રાંક અને એમના મુખેથી કેવળ ગંગા નીકળતી હોય, ગંદકી ક્યારેય નીકળતી ન્હોય. (૩) ગુરુ અંતર્મુખ હોય,
એ આપણી સાથે બોલે,બેસે બધું કરે, પરંતુ એમની નીજતા અખંડ રહે. (૪) ગુરુ સન્મુખ હોય, ક્યારેય વિમુખ નહીં, જેવા છે તેવા સામે જ હોય. (૫) ગુરુ વેદમુખ હોય કે, જેનું માર્ગદર્શન પામીને, આપણો વિકાસ અને વિશ્રામ થાય. સુંદરકાંડ વિષયી જીવને શું આપશે! સુખ ભવન આપશે, અને સાધક જીવને શું આપશે? સંશય સમન થશે, એની વાત કરીને આઠમા દિવસની કથાને વિરામ આપ્યો.
સંકલન. ફાલ્ગુની વસાવડા (ભાવનગર)


