
માનસ સુંદરકાંડનાં છેલ્લા દિવસની કથા પૂજ્ય બાપુએ ઋગ્વેદનાં એક શ્લોકથી કરી, અને જેની વાતનો સંદર્ભ તુલસીએ પણ લીધો છે.
તપો ષ્વગ્ને અન્તરૌ અમિત્રાન તપા શસમરરુષઃ પરસ્ય,
તપો વસો ચિકિતાનો અચિત્તાન્વિ તે તિષ્ઠન્તામજરા અયાસઃ.
વેદ આપણી જેવાં ગ્રામ્યગિરા વાળા માટે બહુ જટિલ પડે, એટલે બે ત્રણ ભાષ્યો વાંચ્યા, અને એનો સીધોસાદો અર્થ છે કે, હે સાધક, હે મનુષ્ય, તારા બે પ્રકારનાં દુશ્મનો છે, કેટલાંક દુશ્મનો તારા અંતરંગ દુશ્મન છે, અને કેટલાંક તારા બહિરંગ દુશ્મન છે, એને દૂર કરવાં તારું તેજ તું વધારી દે, તો બધું સુમંગલ થશે. આપણાં પ્રેક્ટીકલ જીવન માટે આપણાં અંતરંગ ત્રણ દુશ્મનોનું જાણવું બહુ જરૂરી છે. પ્રમાદ એટલે કે આળસ, અક્રિયતા કે નિરુત્સાહ, અને વિવેકહિનતા. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ મત્સર એને આંતરિક દુશ્મન બતાવ્યાં છે. પરંતુ સ્વાભાવિક સમજ મુજબ, એ ઓછાં થઈ જાય તો સારી વાત છે, પરંતુ એની ચિંતા બહુ કરવી નહીં, કારણ કે વ્યવહારિક જીવન માટે પ્રમાદ જ દુશ્મન છે, નિરુત્સાહી થઈ, અક્રિય બની રહેવું, કે વિવેક શૂન્ય થઈ જવું, એ અમંગલ છે. તો સ્વાભાવિક રીતે આપણને એમ થાય કે સુમંગલ શું છે?
સકલ સુમંગલ દાયક રઘુનાયક.
તુલસીજી સુંદરકાંડમાં લખે છે, એને હું વેદ સાથે જોડી રહ્યો છું, અમંગલ તો આપણે જોયું કે ઉત્સાહ ગુમાવી દઈએ, ડિપ્રેશ થઈ જઈએ, અને અંતે વિવેક શૂન્ય અવસ્થામાં જીવતા હોઈએ, ત્યારે તુલસી આપણને સાવધ કરે છે. શિવ સૂત્રમાં પણ લખ્યું છે “ઉદ્યોમો ભૈરવ”, માણસનો પુરુષાર્થ જ ભૈરવ છે, જે શંકરની સાથે રહે છે. તુલસી કહે છે, હે સાધક, હે મનુષ્ય, તારાં અંદરનાં તેજને વધાર,તો તારા અંતરંગ દુશ્મનો ભાગી જશે, તારા તરફથી એને તું તૃપ્ત કરી દે, તેજનાં કિરણો આખા અંતરમાં ફેલાઈ જાય, અને જ્યાં અમંગલ હતું ત્યાં સુમંગલ છવાઈ જાય. તુલસીજીએ સુંદરકાંડનાં દોહામાં પણ આ વાત લીધી છે કે, રામના ગુણની કથા સકલ સુમંગલ દાયક છે, રઘુનાયક ગુણગાન, રઘુનાયક ના ગુણગાન સમસ્ત મંગલ પ્રદાન કરે છે, એનાથી અમંગલ ચાલ્યા જાય છે. જે શ્રદ્ધા સાથે આનું શ્રવણ કરશે, એ ભવસાગર તરી જશે. ભાવસાગર તરવા માટે તુલસી કહે છે, “સિંધુ બીના જલજાના” રઘુનાયકની ગુણ કથા સાંભળશે એ નૌકા વિના આ ભવસાગર તરી જશે.
સૂફી સંત જલાલુદ્દીન રુમીનાં મતે વાદ્ય, સુવર્ણ ગાયનું દૂધ, તુલસીનો છોડ, ઝમઝમ એટલે કે ગંગાનું પાણી. સદગ્રંથ, વિનય યુક્ત વાણી, માના આશીર્વાદ, ઈશ્વરનું નામ, અને સત્સંગ, સુમંગલ છે! આમ એમની વાતનું ભાષાંતર થઈ શકે.
સુંદરકાંડનાં લંકા દર્શનમાં વાદ્ય છે, એટલે કે ત્યાં સંગીત છે. સોનાનો તો સવાલ જ નથી, લંકા સોનાની છે, અંદર બેઠેલી મા જાનકી સ્વયં સોનાની, અને હનુમાન ગયા તો એ પણ સોનાના. ધેનુ નો પણ ઉલ્લેખ છે, અલબત્ત ગાયોનો વધ કરતા હતાં. વિભિષણનાં ઘરમાં તુલસીનાં છોડનો પણ ઉલ્લેખ છે, જેની માટે આ શાસ્ત્ર લખાયું છે એ સદગ્રંથમાં વેદોનો સાર તરીકે ભગવત ગીતા, અને એના પ્રયોગો રામચરિત માનસમાં, માનસનો સાર સુંદરકાંડ, અને સુંદરકાંડનો સંક્ષિપ્ત સાર, હનુમાન ચાલીસા, હનુમાન ચાલીસાનો સાર રામનામ. ત્રિજટા વિવેક યુક્ત, મા જાનકીનાં આશીર્વાદ, બધું જ સુમંગલ.
દોહાવલી રામાયણમાં સુમંગલ વિશે તુલસીજીએ સાત વાત લખી છે.
સુધા સાધુ સુરતરુ સુમન સુફલ સુહાવનિ બાતા,
તુલસી સીતાપતિ ભગતિ સગુન સુમંગલ સાતા.
સાત વસ્તુ સંસારમાં સુમંગલ છે. સાધુ, ક્યારેય પણ, ક્યાંય પણ, કોઈપણ રીતે સાધુ મળી જાય તો, એના જેવું કોઈ સુમંગલ નથી. સુધા એટલે અમૃત, અમૃત સુમંગલ છે, પરંતુ કોઈ બુદ્ધ પુરુષની અમૃત સમાન વાણી સાંભળવાં મળે, એ જ આપણી માટે અમૃત છે. સાધુ સુધા વચન બોલે છે. કોઈ બુદ્ધ પુરુષની છાયામાં રહેવું એનાથી મોટું કોઈ કલ્પતરુ વિશ્વમાં નથી. રામાયણ કલ્પતરુની છાયા છે, એને આશરે બેસી જાઓ, બધું સુમંગલ થશે. સુમન આધ્યાત્મિક અર્થ સુંદર મન, પરંતુ સ્થૂળ અર્થનો મહિમા ઓછો ન થાય, તાજું ખીલેલું કોઈ નાનકડું એવું ફૂલ પણ સુમંગલ છે. સુફળ સારું ફળ અથવા તો કર્મોનાં શુભ ફળ હોય એ સુમંગલ છે. સૌને પ્રસન્ન કરનારી સારી વાત સુમંગલ છે. તુલસી કહે છે સીતાપતિ એટલે કે ભગવાન રામની ભક્તિ સુમંગલ.
મંગલ કરની કલિમલ હરની,
તુલસી કથા રઘુનાથ કી.
મારે પણ થોડા સુમંગલ જોડવા છે. એક પ્રભુની કથા સુમંગલ છે, બીજું તમે કોઈની સામે જોઈને મુસ્કુરાઓ તો એ સુમંગલ છે. ત્રીજું આકાશમાં જ્યારે ધીરે ધીરે વાદળ વરસતાં હોય, અને સાથે તડકો પણ હોય, જેને શાસ્ત્રોમાં દિવ્ય સ્નાન કહે છે, એ સુમંગલ ઘડી છે. માર્ગમાં ક્યાંક જતાં હોઈએ અને બે હરણ તમારાથી ભયભીત થઈને નહીં, પરંતુ પ્રસન્ન થઈને છલાંગ મારે તો, એ સુમંગલ છે, કારણ કે પ્રસન્નતા જ પરમાત્મા છે. સવારમાં કોઈ સાધુ બ્રાહ્મણ લોટ માંગવા નીકળ્યા હોય એ મળી જાય તો સુમંગલ છે.
સુંદરકાંડની સાત્વિક તાત્વિક ચર્ચા પૂરી કરી કથાના ક્રમમાં પ્રવેશ કર્યો. સમુદ્ર એ સેતુ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો અને પ્રભુએ પ્રસ્તાવનો સ્વીકાર કર્યો સુંદર સેતુ નિર્મિત થયો, ત્યાં આગળ રામેશ્વરની સ્થાપના કરી વેદ મંત્રો દ્વારા ભગવાન શિવની સ્થાપના થઈ, અને ભગવાન રામની સેના લંકા પહોંચી. રાજદૂતના રૂપમાં અંગત લંકાની સભામાં જાય છે અને સંધીનો પ્રસ્તાવ મૂકે છે, અયોધ્યા અને લંકાની વચ્ચે પણ સેતુબંધ થઈ જાય તો અમારે કોઈને મારવા નથી. રાવણ સંધિ માટે માનતો નથી અને રામની નિંદા કરે છે અંગદથી પોતાના પ્રભુની નિંદા સહન ન થઈ અને એણે જોરથી પોતાની પૂજા જમીન પર પછાડી રાવણના 10 મુગટ નીચે પડી ગયા. સત્તાધીશને રામચરિત માનસ સંદેશ આપે છે કે, સત્તા ચલાયમાન હોય છે તે ક્યારેક ક્યારેક વાનરોની લાજ થી પણ પડી જાય છે. યુદ્ધ અનિવાર્ય થાય છે ભયંકર યુદ્ધમાં અનેક રાક્ષસો વીરગતિને પ્રાપ્ત કરે છે ઇન્દ્રજીત લક્ષ્મણની મૂર્છિત કરે છે હનુમાનજી સંજીવની લાવે છે, આખરે રાવણ સામે પ્રભુનું યુદ્ધ રાવણના દસ મસ્તક અને 20 પૂજાઓને છેદવા માટે પ્રભુએ પોતાના ધનુસ્પર 31 બાણ ચડાવ્યાં અને 31 મુબાણ નાભિમાન લગતા રાવણ ધરતી પર ઢળી પડ્યો, પ્રભુ એ રાવણને મોત નથી આપ્યું મુક્તિ આપી છે.
પુસ્તક વિમાનમાંથી પ્રભુએ સીતાજીને રણ મેદાન બતાવ્યું સેતુબંધ રામેશ્વરનાં દર્શન કરાવ્યાં કુંભજ આદિ મુની આશ્રમોમાં વિમાન ગયું. શૃગવેરપૂર નિષાદની વસ્તીમાંથી નિષાદ રાજ અને કેવટને પુષ્પક વિમાનમાં બેસાડી અયોધ્યા લાવ્યાં. હનુમાનજી આવીને ભરતનાં પ્રાણ બચાવી લે છે, ભગવાન સીતાજી સાથે વિમાનમાંથી બહાર આવ્યાં! ભરતને ભેટે છે, કોણ વનવાસી હતું? અને કોણ પૂરવાસી એમ બંને એકરૂપ છે. માતાઓ પાસે આવ્યા, જાનકીને જોઈને સૌની આંખો ભીની થઈ ગઈ. વશિષ્ઠજીએ બ્રાહ્મણોને કહ્યું કે આપણે આજે જ રાજ્યભિષેક કરવો છે, અને મંત્રોચ્ચાર વચ્ચે રામનાં ભાલમાં તિલક કર્યું, ત્રિભુવનમાં જય જયકાર થયો, અને દિવ્ય રામરાજ્યની સ્થાપના થઈ. રઘુવંશના વારસદારોની કથા લખી તુલસીએ રામકથાને વિરામ આપ્યો. ઉત્તરકાંડમાં ગરુડે સાત પ્રશ્નો પૂછ્યાં, અને ભુશુંડીજીએ સાત પ્રશ્નોના ઉત્તર આપ્યાં, અને શંકરે કૈલાશ પર, યાજ્ઞવલ્ક્ય એ પ્રયાગમાં ભુશુંડીજી એ નિલગીરી પર્વત પર, અને તુલસીદાસજી પોતાનાં મનને, આમ ચારે ચાર વક્તાઓએ કથાને વિરામ આપ્યો. વ્યાસપીઠ ચારેય વક્તાઓની કૃપા છાંયામાં બેસીને, તમારી સામે નવ દિવસથી કથા ગાઈ રહ્યો છું, હું પણ કથાનાં નિમિત્ત માત્ર યજમાનને “વંશે સદૈવ ભવતાં હરિભક્તિરસ્તુ” આપનાં વંશમા આપની પરંપરામાં આવાં શુભ આચાર પ્રદાન કરે, એવી હનુમાનજીનાં ચરણોમાં પ્રાર્થના કરી, અંતિમ દિવસની કથાને વિરામ આપું છું.
સંકલન. ફાલ્ગુની વસાવડા. (ભાવનગર)


