
હે ઈશ્વર.
આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. ફાગણ ઉતર્યો નથી ત્યાં તીવ્ર ગરમી પડવાં લાગી છે. કાળની રીતે આપણે અમુક સત્ય સ્વીકારવાં જ પડે છે, જેમ કે ઋતુનું સત્ય. કાળને ચક્ર સાથે સરખાવ્યો હોવાથી વારાફરતી ઋતુ બદલાય! તો દૈનિક આવર્તન પણ સ્વીકારવું જ પડે, આપણી લાખ ઈચ્છા હોય કે આજે દિવસ બદલાય નહીં, પણ એવું થતું નથી, એનાં નિયત સમયે સૂર્યોદય થઈ જાય છે. હાં આપણે જાગીએ નહીં એ એક વાત જુદી છે, પરંતુ તારીખ તિથિનું આવર્તન પણ રોજ બદલાય જાય છે! એ રીતે વિચારીએ તો સત્ય સુંદર નથી, પરંતુ સત્યનું સુંદર અથવા પ્રિય હોવું ખૂબ જરૂરી છે, અને એવો અનુભવ થાય તો જ જીવનમાંથી રસ ઝરે અને આપણને જીવવાનું મન થાય. સત્યની સુંદરતાનો અનુભવ કરવા દ્રષ્ટિમાં જાગૃતિની જરૂર છે. આંખો આપણી બધા પાસે છે, અને એ આંખોથી આપણે ઉપર જોયો એ ફેરફાર જોઈ શકીએ છીએ કે, દિવસ રાત થવું, ઋતુઓનો બદલાવ વગેરે, પણ જાગી ગયેલાં જીવને, છોડ પર નવાં નવાં ફૂલ ખીલે, ભમરાઓ ફુલને જોઈને ગુંજન કરે, પક્ષીઓ ઝાડ પરનાં મીઠા ફળને ખાય, ખિસકોલી જાણે ખૂબ કામ હોય તેમ દોડાદોડ શરૂ કરી દે, પક્ષીઓ મીઠો કલરવ કરે, ગાય પણ પોતાનાં વાછરડાને દૂધ પીવડાવે, અને અન્ય જીવજંતુ પણ પોતાની મસ્તીમાં આવી જાય, અને કવિઓ આ દ્રશ્યને જોઈ સુંદર કવિતા લખે, આ બધું દેખાય.
દરેકનાં જીવનનાં સત્યમ, શિવમ, અને સુંદરમ આ ત્રણ આયામ છે, અને એ આપણી ઈચ્છા મુજબ બદલાતાં નથી, પણ આપણે જાગૃત હોઈએ તો ઇલેક્ટ્રોન જેમ આ ત્રણેય આયામો માં ભમતા કે ભટકતાં જીવને પોતાની કક્ષા નિર્મિત કરી ઈચ્છા મુજબ રમતો કરી શકીએ. આમ પણ આ બ્રહ્માંડના રહસ્યોને આપણે પામી શકવાનાં નથી, અને અંતે”ઈશ્વર કરે એ જ સાચું” એ વિધાન પર આપણે અટકી જઈએ છીએ. તો આપણાં ખોખલા જ્ઞાનને એક બાજુ રાખી, જો શરણાગત થઈએ તો ત્રણે ત્રણ આયામ ઈશ્વર નિર્મિત છે, અને એને શ્રદ્ધાપૂર્વક સ્વીકારવાનાં હોય. પરંતુ માનવી પોતાની બુદ્ધિ તેમાં નાંખ્યા વગર રહી શકતો નથી, અને એને પરિણામે, નથી શરણાગત થઈ શકતો, કે નથી ખુદ્દાર થઈ શકતો. જીવન જો આપણાં બાહ્યાડંબર નાં પ્રપંચોથી ઘેરાયેલું હોય નહીં તો, એટલું ખરાબ નથી, અથવા તો એ સુંદર છે, અને શિવ પણ છે, એટલે કે વાસ્તવિકતાનો સુંદર પહેલું આપણને ક્યારેય દેખાતો નથી, અને એટલે જ શિવ થતાં થતાં રહી જવાય, અને કલ્યાણનાં અભાવે જીવન સુંદરતા સુધી પહોંચતું નથી.
આપણે દરેકે કીડીને જોઈ જ છે, કીડી પોતાની મસ્તીમાં એકધારી સીધી લીટીમાં ચાલતી હોય છે, બહુ ભાગ્યે જ તે આડી અવડી ચાલે. કોઈ વાર એનાથી મોટું જંતુ મરી ગયું હોય, માખી કે વાંદો, કંસારી કે પછી અન્ય તો એને કેટલી બધી કીડીઓ તાણીને લઈ જતી હોય છે, એ દ્રશ્ય સૌએ જોયું હશે, અને ત્યારે તેની ચાલની સંગતતા તૂટી જાય છે, કારણ કે તેના ખભે ભાર છે. હવે કીડીનાં ખભે તો અન્ય કોઈ ભાર છે. પરંતુ માનવી તો પોતાનાં ખભે અજ્ઞાનના ભારને લઈ ચાલે છે, અને એટલે ચાલની સંગતતા ચૂકી જાય છે, અને જીવનનો આનંદ લઇ શકતો નથી. હા સમય સંજોગનું એક મહત્વ હોય છે, પરંતુ એનો ભાર આપણે ઉંચકી શકીએ નહીં એવું હોતું નથી, આપણાં નિર્બળ મનની સ્થિતિ છે. બાકી તો પગ વગરના કે અપંગ પણ એવરેસ્ટ સર કર્યાના દાખલાઓ છે. એટલે હિંમત કે મનોબળ બરકરાર રહે, તો ગમે તેવી કપરી પરિસ્થિતિમાં પણ જીવનની મોજ માણી શકાય, અહીં મોજનો મતલબ ખાવુંપીવું નાચવું ગાવું કે પહેરવું એવો બિલકુલ નથી, એ ખાસ યાદ રાખવું. અહીં મોજનો મતલબ ફરિયાદ વગરનું જીવન જીવી શકાય એ સંદર્ભે છે, બાકી ભોગી જીવ માટેનાં એ લપસિયા તો હર મુકામે આવે જ છે, અને જે લપસી ગયો એ ક્યારેય ઉપર ઊઠી શકતો નથી.
બીજી રીતે જોઈએ તો આપણાથી બધી રીતે ઓછું હોય એને જોઈએ, કે પેલાં પાસે તો આટલી સાધન સંપન્નતા નથી, સુદ્રઢ કાયા નથી, આસપાસ હિંમત આપે એવો પરિવાર પણ નથી, ત્યારે આપણું જીવન સુંદર છે એવું થાય, પણ બીજી જ મિનિટે આપણને આપણાથી વધુ સાધન સંપન્નતા વાળા લોકો દેખાય જાય, અને એટલે એક મિનિટ પહેલાની જીવનની સુંદરતાનો નાશ આપણા હાથે જ થઈ જાય.આમ માનવીએ પોતાનાં દુઃખનાં પહાડોને એટલાં મોટા કરી નાખ્યાં છે, કે તેની તળેટીમાં જ તે જીંદગીભર આળોટતો રહે છે, અને અન્યનાં દુઃખદર્દ તેને દેખાતાં નથી. એટલે કે પોતાનાં પ્રશ્નો, અને પોતાની ફરિયાદની ઊલજનોમાં ક્યારેક જીવન પૂરું થઈ જતું જોવા મળે છે. સત્ય એટલે ઈશ્વર, વાસ્તવિકતા એ જ સત્ય છે, અને તેનો સ્વીકાર જ જીવનમાં કલ્યાણકારી ભાવના જગાડી શકે, અને તો જ જીવન સુંદર એટલે કે ફરિયાદ વગરનું જીવી શકાય, અથવા તો કલ્યાણની ભાવના જીવનમાં ભળે ત્યારે જ જીવન સુંદર અને જીવવાં લાયક બનતું હોય છે.
પૂજ્ય બાપુએ એકવાર કથામાં એક દ્રષ્ટાંત આપ્યું હતું, એક સિદ્ધ સ્વામી પાસે કેટલાંય લોકો આવ્યાં અને કહ્યું કે સ્વામીજી અમારાં દુઃખ દૂર કરો. એમણે દરેકને એક એક મોટું કપડું આપ્યું અને થોડાં પત્થર આપ્યાં અને જેટલાં દુઃખ હોય એટલાં પત્થર ગણીને કપડાંમાં રાખી એનું પોટલું બાંધવા કહ્યું! અને બીજે દિવસે પોતાનું પોટલું લઈ જવાં કહ્યું! બીજે દિવસે બધાં આવ્યાં! તમારા દુઃખ ઓછાં થઈ જશે! બધાં જ પોટલાં એકસરખાં કપડાંનાં હતાં, અને કેમ નક્કી થાય કે આ પોતાનું છે? અને સુખ હોય તો ઠીક છે, પણ કોઈનાં દુઃખ મારે શું કામ લેવા! ક્યાંક મારા દુઃખ કરતાં મોટું પણ હોય! અને મેં જે ગણી ગણીને મુક્યાં છે, એ તો બધાં કંઈ એટલાં મોટાં નથી, હું શું કામ કોઈનાં દુઃખનો ભાર વેઠુ? અને બધાંએ કહ્યું નાં સ્વામીજી એવાં કંઈ દુઃખ નહોતાં, આમ કરી બધાં જ પ્રણામ કરીને નીકળી ગયાં.
જીવનમાં સાચું ખોટું અને સારું ખરાબ એમ દ્રષ્ટિની જાગૃતિ ખૂબ જરૂરી છે, અને એનાં ખૂબ બહોળા લાભ છે. એકવાર જીવ જો જાગી જાય તો, સંસાર કે વિષય ભોગ તેને ફરી ભોગીની શ્રેણીમાં લઈ જઈ શકતા નથી. આપણે ચિંતનમાં જીવન પ્રત્યે સકારાત્મક અભિગમ કેળવવા માટે જુદી જુદી વાતો કરતાં હોઈએ છીએ. પરંતુ હકારાત્મક ત્યારે જ બની શકાય, જ્યારે આપણે જાગૃત બનીએ,એટલે કે ખુદનાં જાગ્યાં વગર અહીં કંઈ જ શક્ય નથી. આધ્યાત્મિક ગતિ એક એવી ગતિ છે, જ્યાં પોતાનાથી જ ગતિ શક્ય છે. દાખલા તરીકે પ્લેનમાં જવાનું હોય પણ એરપોર્ટ સુધી તો આપણાં પગે જ આપણે પહોંચવું પડે, એમ અધ્યાત્મની આ સુંદર અનુભૂતિ માટે આચરણરૂપી ચરણને થોડી ગતિ કરાવવી પડે, અને જે જાગ્યા વગર શક્ય જ નથી. આપણે સૌ જીવનના આ ત્રણેય આયામમાં ઇલેક્ટ્રોન જેમ મુક્તતાથી રમી શકીએ, એવી એક અનન્ય પ્રાર્થના ઇશ્વર ચરણે રાખી, હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. ફરી મળીશું નવાં ચિંતન મનન સાથે, તો સૌને મારા આજનાં દિવસનાં સ્નેહવંદન અને જય સીયારામ.
લી. ફાલ્ગુની વસાવડા. (ભાવનગર)


