
છોટાઉદેપુર જિલ્લાના કદવાલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા કંડા ગામેથી અંધશ્રદ્ધા અને શંકા-કુશંકાની ભયાનક પરાકાષ્ઠા સમાન એક હચમચાવી દેતી ઘટના સામે આવી છે. તાંત્રિક વિધિના વ્હેમ હેઠળ એક પાડોશીએ જ પોતાના જ ફળિયામાં રહેતી 55 વર્ષીય આધેડ મહિલા પર તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કરી તેની ક્રૂર હત્યા નીપજાવી છે. આ સનસનાટીભર્યા હત્યાકાંડથી સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ હતી. જો કે, કદવાલ પોલીસે ગણતરીના કલાકોમાં જ ત્વરિત કાર્યવાહી કરીને મુખ્ય આરોપીની અટકાયત કરી આ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યા
બનાવની વિગત એવી છે કે, કંડા ગામના ઠાકોર ફળિયામાં રહેતા 55 વર્ષીય મીનાબેન વિક્રમસિંહ પરમાર પર મોડી રાત્રે તીક્ષ્ણ હથિયાર વડે હડહડતો હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલો એટલો ભયાનક હતો કે ગંભીર ઈજાઓ થવાના કારણે મીનાબેનનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. લોહીલુહાણ હાલતમાં મહિલાનો મૃતદેહ મળી આવતા જ સ્થાનિકો ભયભીત થઈ ગયા હતા. ઘટનાની ગંભીરતાને જોતા તાત્કાલિક ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને કદવાલ પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને આગળની તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.વૈજ્ઞાનિક અને ટેકનિકલ પુરાવાના આધારે પાડોશી ઝડપાયો
હત્યાની આ ઘટનામાં કોઈ કડી ન હોવા છતાં કદવાલ પોલીસે આધુનિક પદ્ધતિથી તપાસ શરૂ કરી હતી. પોલીસે વૈજ્ઞાનિક પુરાવાઓ, ટેકનિકલ સર્વેલન્સ અને સ્થાનિક ખબરીઓ પાસેથી મળેલી ચોક્કસ માહિતીના આધારે ગણતરીના કલાકોમાં જ હત્યા કરનાર આરોપી સુરેન્દ્રસિંહ જુવાનસિંહ પરમાર (ઉ.વ. 45) ને દબોચી લીધો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપી અને મૃતક મહિલા એક જ ફળિયામાં પાડોશમાં રહેતા હતા. આરોપી સુરેન્દ્રસિંહને એવો વ્હેમ હતો કે મહિલા તેના પર કોઈ તાંત્રિક વિધિ કે મેલી વિદ્યા કરે છે, જેની અદાવત રાખીને તેણે આ ક્રૂર હત્યાકાંડને અંજામ આપ્યો હતો. હાલ પોલીસે આરોપી સામે કાયદેસરનો ગુનો નોંધીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે અને આ મામલે વધુ પૂછપરછ હાથ ધરી છે. પોલીસે ઝડપી ન્યાયિક કાર્યવાહી કરતા ગ્રામજનોમાં પણ રાહતનો શ્વાસ જોવા મળ્યો છે.
