
એક્ટ્રેસ કરિશ્મા કપૂરના પૂર્વ પતિ અને દિવંગત બિઝનેસમેન સંજય કપૂરની 30 હજાર કરોડની સંપત્તિને લઈને ચાલી રહેલા વિવાદે ફરી એકવાર નવો વળાંક લીધો છે. આ મામલે સુપ્રીમ કોર્ટે શુક્રવારે કરિશ્મા કપૂરને નોટિસ ફટકારી છે. આ નોટિસ સંજય કપૂરની ત્રીજી પત્ની પ્રિયા સચદેવ કપૂર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર જારી કરવામાં આવી છે, જેમાં કરિશ્મા અને સંજય કપૂરના છૂટાછેડા સંબંધિત દસ્તાવેજોની પ્રમાણિત નકલો માંગવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે આ અરજી પર કરિશ્મા કપૂરને બે અઠવાડિયાની અંદર જવાબ આપવા જણાવ્યું છે.આ કેસની સુનાવણી ન્યાયમૂર્તિ એ.એસ. ચંદુરકરે તેમના ચેમ્બરમાં કરી હતી. પ્રિયા સચદેવે કોર્ટને વિનંતી કરી છે કે, તેમને વર્ષ 2016માં કરિશ્મા અને સંજય કપૂર વચ્ચે થયેલા છૂટાછેડા સંબંધિત તમામ દસ્તાવેજો ઉપલબ્ધ કરાવવામાં આવે.પ્રિયાનું કહેવું છે કે સંજય કપૂરના નિધન બાદ તે તેની કાયદેસરની વારસદાર છે અને સંજયની સંપત્તિ સંબંધિત કાયદાકીય બાબતોમાં તેને સીધો રસ છે. તેણે દલીલ કરી છે કે છૂટાછેડાના દસ્તાવેજો દિલ્હી હાઈકોર્ટમાં પેન્ડિંગ વારસાઈ (સક્સેશન) કેસમાં સત્તાવાર ઉપયોગ માટે જરૂરી છે. આ દસ્તાવેજો દ્વારા તે તે સમયે થયેલા આર્થિક કરાર અને બાળકોની કસ્ટડી સંબંધિત તથ્યોની પુષ્ટિ કરવા માંગે છે.નોંધનીય છે કે, કરિશ્મા કપૂર અને સંજય કપૂરના છૂટાછેડા ઘણા વિવાદોથી ભરેલા રહ્યા હતા. છૂટાછેડા દરમિયાન કરિશ્માએ સંજય પર ઘરેલું હિંસાના આરોપો લગાવ્યા હતા અને તેના માટે તેની કથિત નશાની લતને જવાબદાર ઠેરવી હતી. જોકે, લાંબી કાયદાકીય લડાઈ બાદ બંનેએ પરસ્પર સહમતિથી 2016માં છૂટાછેડા લીધા હતા.


