વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામા આજે 30મી જૂનના રોજ સાંજે કેન્દ્રીય પ્રધાનમંડળની બેઠક મળશે. કોરોના રોગચાળાની સ્થિતિને ધ્યાને લઈને આ બેઠક સાંજે 5 વાગે ઓનલાઈન યોજવામાં આવશે. પ્રધાન મંડળની બેઠકમાં, કોરોનાની સંભવિત ત્રીજી લહેર અંગે ચર્ચા થવાની સંભાવના છે.કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મિરમાં ડ્રોન દ્વારા થયેલા હુમલાને બહુ ગંભીરતાથી લીધો છે. આવા હુમલા ફરીવાર ના થાય તે માટે સંભવ છે કે કાયદાની પરીભાષામાં સુધારો કરીને વધુ કડક કરવાના મુસદ્દાને આજની બેઠકમાં મંજૂરી મળી શકે છે. કારણ કે આ મુદ્દા ઉપર ગઈકાલે મોડી રાત સુધી વડાપ્રધાન કાર્યલયમાં બેઠકના દોર સાથે કામગીરીનો ધમધમાટ ચાલ્યો હતો.પ્રધાનમંડળની બેઠકમાં, સંસદના ચોમાસુ સત્રમાં કયા કયા નવા ખરડાઓ લાવવા કે વર્તમાન ખરડામાં કેવા પ્રકારના સુધારાઓ કરવા તેની ચર્ચા કરીને મુસદ્દાને મંજૂરી આપવામાં આવે તેવી સંભાવના છે તો, ખેડૂતો દ્વારા આગામી જૂલાઈ મહિનાના જાહેર કરેલા આંદોલનાત્મક કાર્યક્રમોની પણ સમિક્ષા કરવામા આવે તેવી શક્યતા છે. સામાન્ય રીતે, કેન્દ્રીય પ્રધાનમંડળની બેઠક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે દર બે-ત્રણ મહિનાના સમયાતરે યોજાતી આવે છે. જો કે આ વખતે આ બેઠક વહેલી યોજાઈ રહી છે.આ ઉપરાંત, વડા પ્રધાન નરેન્દ્ર મોદી કેટલાક મંત્રાલયોની કામગીરીની સમીક્ષા પણ હાથ ધરે તેવી સંભાવના છે. ખાસ કરીને ચોમાસુ નજીક છે અને ખેતીની સિઝન શરૂ થવાની છે ત્યારે ખેડૂત વર્ગને કોઈ તકલીફ ના પડે તે માટે કૃષિ, સિંચાઈ અને ખાતર મુદ્દે સમિક્ષા કરે તેવુ માનવામાં આવી રહ્યું છે. એક તરફ કૃષિ કાયદાઓ રદ કરવાની માંગ સાથે ખેડૂતો આંદોલન કરી રહ્યાં છે ત્યારે તેમના આંદોલનને અન્ય કોઈ વિશેષ મુદ્દાઓ ના મળે તેવુ આયોજન કરાશે.