PM નરેન્દ્ર મોદી ફરી ગુજરાત પ્રવાસે: જામનગરમાં ‘ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન’ સેન્ટરનું ખાતમૂહર્ત કરશે

0
7
WHO સેન્ટર આપણા સમાજમાં તંદુરસ્તી વધારવામાં ખૂબ જ મદદરૂપ બનશે
WHO સેન્ટર આપણા સમાજમાં તંદુરસ્તી વધારવામાં ખૂબ જ મદદરૂપ બનશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી ગુજરાત આવશે. 19 એપ્રિલે જામનગરમાં ‘ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન’ સેન્ટરનું ખાતમૂહર્ત કરશે. આ મેડિકલ રિસર્ચ સેન્ટર કેન્દ્ર સરકાર અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું સંયુક્ત સાહસ હશે. કેન્દ્ર સરકાર અને WHOના સહયોગથી આ સેન્ટર ચાલશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા પણ હાજર રહેશે. ટ્રેડિશનલ મેડિસિન માટે WHO ગ્લોબલ સેન્ટરની સ્થાપના માટે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરારથી ઉત્સાહિત થઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ WHO સેન્ટર આપણા સમાજમાં તંદુરસ્તી વધારવામાં ખૂબ જ મદદરૂપ બનશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ટ્વિટર હેન્ડલને ટેગ કરીને જણાવ્યું હતું કે, ભારતની ટ્રેડિશનલ મેડિસિન અને સ્વાસ્થ્ય પદ્ધતિઓ વિશ્વ સ્તર પર ખૂબ જ લોકપ્રિય છે. આ WHO સેન્ટર આપણા સમાજમાં તંદુરસ્તી વધારવામાં ખૂબ જ મદદરૂપ બનશે. જામનગરમાં સ્થાપનારું આ સેન્ટર સમગ્ર વિશ્વમાં આયુષ પ્રણાલીઓને સ્થાન આપવા માટે પરંપરાગત દવાને લગતી વૈશ્વિક આરોગ્ય બાબતો પર નેતૃત્વ પૂરૂં પાડશે, તેમજ પરંપરાગત દવાઓની ગુણવત્તા, સલામતી અને અસરકારકતા, સુલભતા અને તર્કસંગત ઉપયોગની ખાતરી કરવામાં ઉપયોગી થશે.એટલું જ નહિ, આ સેન્ટર પરંપરાગત દવા સંબંધિત તમામ વૈશ્વિક સ્વાસ્થ્ય બાબતો પર નેતૃત્વ પૂરૂં પાડશે તેમજ પરંપરાગત દવા સંશોધન, પ્રથાઓ અને જાહેર આરોગ્ય સંબંધિત વિવિધ નીતિઓ ઘડવામાં સભ્ય દેશોને સમર્થન આપશે. વડાપ્રધાને આ અગાઉ નવેમ્બર 2020માં જામનગરમાં ઇન્સ્ટિટયૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઈન આયુર્વેદ (ITRA)ને ઇન્સ્ટિટયૂટ ઓફ નેચરલ ઈમ્પોર્ટન્સ તરીકે જાહેર કર્યું છે.આમ ગુજરાતમાં વડાપ્રધાન મોદીની એક પછી એક મુલાકાતો તથા દર વખતે કરવામાં આવતી નવી જાહેરાતો દર્શાવે છે કે, રાજ્યમાં ગમે ત્યારે ચૂંટણીના પડઘમ વાગી શકે છે.