આજે વિશ્વ હેપેટાઈટિસ દિવસ: દૂષિત પાણી અને ખોરાકના સેવનથી બીમારીનું વધતું જોખમ

0
16

કમળાની કાળજી ન લેવાય તો લિવરનો રોગ થવાની સંભાવના

બજારના ઠંડા પીણામાં વપરાતા દૂષિત પાણીમાંથી બનેલા બરફનું સેવન ઘણી વખત આ રોગ પાછળ જવાબદાર

 દૂષિત પાણીના સેવનથી કમળો થવાની શક્યતાઓ રહે છે. સારવાર બાદ પણ દર્દી ઠીક ન થાય ત્યારે કમળો હેપેટાઈટિસ બીમારીમાં રૂપાતંરિત થઈ લિવર(યકૃત)માં ઈન્ફેશન ફેલાવે છે. આ રોગ અંગે જાગૃતિ લાવવા ૨૮ જુલાઈના રોજ વિશ્વ હેપેટાઈટિસ દિનની ઉજવણી કરવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દર વર્ષે શહેરમાં દોઢથી અઢી હજાર કમળાના કેસ નોંધાય છે. ચોમાસાના પહેલાં મહિનામાં જ આશરે દોઢસો જેટલા લોકોને કમળો થયો હોવાનું સામે આવ્યું છે.
 લોકો એ,બી, સી, ડી અને ઈ આમ કુલ પાંચ પ્રકારના હેપેટાઈટિસનો ભોગ બની શકે છે. જેમાં એ અને ઈ પ્રકાર પ્રદૂષિત પાણી તથા ખોરાકના સેવનથી ફેલાય  છે. બજારના ઠંડા પીણામાં વપરાતા દૂષિત પાણીમાંથી બનેલા બરફનું સેવન ઘણી વખત આ રોગ પાછળ જવાબદાર હોવાનું માનવામાં આવે છે. જ્યારે બી, સી અને ડી પ્રકાર લોહી, થૂંક વગેરે પ્રવાહી થકી ફેલાય છે.

રપથી ૪પ વર્ષની વયના લોકોમાં કેસનું વધુ પ્રમાણ
૨૫થી ૪૫ વર્ષની વયના લોકોમાં હેપેટાઈટિસના કેસ વધુ સામે આવે છે. આ બીમારીનું પ્રમાણ પુરૂષોમાં વધારે જોવા મળે છે. ચાર તબ્બકામાં હેપેટાઈટિસ વાયરસ શરીરમાં ફેલાય છે. અક્યુટ(તીવ્ર), ક્રોનિક (બીમારીનું શરીરમાં ઘર કરવું), સિરોસિસ (લિવર કામ કરતું બંધ થવું) અને છેલ્લે દર્દીને  કેન્સરનો ભોગ બનવાનો વારો આવી શકે છે. – પ્રોફેસર ડો. કમલેશ ઉપાધ્યાય
યકૃતમાં થતા ઈન્ફેક્શનને રોકવા શું કરવું?
– બહારનું ખાવાનું ટાળો
– યોગ્ય રીતે  ફળ, શાકભાજી ધોવા
– મેડિકલ ટેસ્ટ દરમિયાન નવી સોયનો ઉપયોગ
– ટેટૂ કરાવતી વખતે નવી સોય વાપરવી

હેપેટાઈટિસ થવાના મુખ્ય કારણો
– મેદસ્વિતા
– મધુપ્રમેહ
– દારૂનું સેવન
– આઈવી ડ્રગ યુઝ
– દૂષિત પાણી તથા ખોરાકનું સેવન
– ઈન્ફેક્ટેડ સોય અને રેઝર બ્લેડ વાપરવાથી
– ગર્ભવતી મહિલામાંથી બાળકમાં

હેપેટાઈટિસના લક્ષણો
– અચાનકથી વજન ઉતરવું
– શરીરમાં નબળાઈ લાગવી
– ઝાડા-ઉલટી
– ત્વચા નિસ્તેજ થવી
– ખંજવાળ
– પેટમાં દુઃખાવો
– પગમા દુ:ખાવો તથા સોજા ચડવા