
ભાવનગર રેલવે મંડળ દ્વારા સિંહો/વન્યજીવોના સુરક્ષા માટે સતત પ્રયાસો કરવામા આવિ રહ્યા છે. મંડળના નિર્દેશો મુજબ, ટ્રેનોનું સંચાલન કરતા લોકો પાઇલોટ નિર્ધારિત ગતિનું પાલન કરતી વખતે વિશેષ સાવધાની સાથે કામ કરી રહ્યા છે. ભાવનગર રેલવે મંડળના લોકો પાયલોટની તકેદારી અને વન વિભાગના ફોરેસ્ટ ટ્રેકર્સની મદદથી ચાલુ નાણાકીય વર્ષ 2024-25માં અત્યાર સુધીમાં કુલ 158 સિંહોના જીવ બચાવાયા છે.ભાવનગર ડિવિઝનના સિનીયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી માશૂક અહમદે જણાવ્યું કે 24.03.2025 (સોમવાર)ના રોજ લોકો પાયલોટ શ્રી ચન્દન કુમાર (મુખ્યાલય-જૂનાગઢ) અને વરિષ્ઠ સહાયક લોકો પાયલટ શ્રી રઠોર કેતન (મુખ્યાલય-જૂનાગઢ) દ્વારા સાસણ ગીર – કાંસિયાનેશ સેક્શનમાં કિ.મી. સં. 114/4-114/3 વચ્ચે રેલવે ટ્રેક પર 01 સિંહને ચાલતા જોતા ટ્રેન નંબર 52951 દેલવાડા-જૂનાગઢ પેસેન્જર ટ્રેનને તરતજ ઇમરજન્સી બ્રેક લગાવીને અટકાવવામાં આવી હતી. લોકો પાયલટ દ્વારા ટ્રેન મેનેજર (ગાર્ડ)ને જાણ કરવામાં આવી હતી. ફોરેસ્ટ ટ્રેકર શ્રી રાજેશ રાઠૌર દ્વારા ટ્રેક ક્લિયર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ, જ્યારે તમામ સ્થિતિ સામાન્ય જોવા મળી, ત્યારે લોકો પાઇલટને ફોરેસ્ટ ગાર્ડ/ટ્રેકર દ્વારા પ્રસ્થાન કરવાનું કહેવામાં આવ્યું. ત્યારપછી ટ્રેનને લોકો પાયલટ દ્વારા કાળજીપૂર્વક ગંતવ્ય સ્થાન તરફ લઈ જવામાં આવી હતી.માહિતી પ્રાપ્ત થતાં, ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી રવીશ કુમાર, એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી હિમાઁશુ શર્મા અને અન્ય અધિકારીઓ દ્વારા લોકો પાઇલોટ્સના પ્રશંસનીય કાર્યની પ્રશંસા કરવામાં આવી હતી.


