
જર્મનીખાતે મળેલી બીજી આંતરરાષ્ટ્રીય સમાજવાદી
કોંગ્રેસમાં પ્રથમ વાર એમણે ભારતીય સ્વતંત્રતાનો ધ્વજ લહેરાવેલો.
પોતે જ બનાવેલા રાષ્ટ્રધ્વજમાં લાલ, કેસરી અને લીલા એમ ત્રણ પટ્ટા હતાં.
ભલે ભારતમાં ત્રિરંગો ઝંડો લહેરાવાનો પ્રથમ અવસર ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુના ફાળે આવ્યો હતો. પરંતુ વિદેશની ધરતી પર ભારતનો પ્રથમ રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવાનું બહુમાન મેડમ ભિખાઈજી કામાને મળ્યું હતું.
દેશની આઝાદીની લડતમાં મહિલાઓ ઝુકાવવાની શરૂઆત કરે એ પહેલાં જ વિદેશમાં એક મહિલાએ આની શરૂઆત કરી દીધી હતી. આ મહિલા એટલે મેડમ ભીખાઈજી કામા. વિદેશમાં ભારતનો રાષ્ટ્રીય ધ્વજ પ્રથમવાર ફરકાવવાનું બહુમાન મેડમ ભીખાઈજી કામાને મળ્યું હતું.
દેશવટો ભોગવી – દેશરક્ષા કરનારાં ભારતમાતાની મુક્તિ કાજે ૩૫ વર્ષ સુધી
દેશવટો ભોગવનાર પારસી સન્નારી મેડમ ભીખાઈજી કામા મુંબઈના વતની હતાં. જર્મની
ખાતે મળેલી બીજી આંતરરાષ્ટ્રીય સમાજવાદી
કોંગ્રેસમાં પ્રથમ વાર એમણે ભારતીય
સ્વતંત્રતાનો ધ્વજ લહેરાવેલો.
ઘણા એવા ભારતીય સ્વાતંત્ર્ય સેનાનીઓ છે જેમણે ભારતની બહાર રહીને માતૃભૂમિની આઝાદી માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધુ હતું. એમાંના મેડમ ભીખાઈજી કામા વિશે આજે વિગતે જાણીએ.
ઈ. સ. 1907માં જર્મનીના સ્ટુટગાર્ટ શહેરમાં આંતરરાષ્ટ્રીય સોશિયાલિસ્ટ કૉંગ્રેસ અધિવેશનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે મેડમ કામા અને સરદારસિંહ રાણા આગળ આવ્યાં. આ અધિવેશનમાં જતાં તેમને અટકાવવા માટે ભારતની અંગ્રેજ સરકારે ખૂબ જ ધમપછાડા કર્યા, પણ ફાવી નહીં.આ અધિવેશનમાં આવેલ અનેક દેશોનાં પ્રતિનિધિઓની સામે મેડમ કામાએ ભારતમાં અંગ્રેજો દ્વારા થતાં શોષણ, દમન અને ગુલામીનું વર્ણન કર્યું. ઉપરાંત ભારતને સંપૂર્ણ આઝાદી મળે એ માટેનો પણ જોરદાર પ્રસ્તાવ રજુ કર્યો. અને આ અધિવેશનમાં જ તેમણે ભારતનો ધ્વજ ફરકાવ્યો અને ભારતનો ધ્વજ લહેરાવનાર પ્રથમ મહિલા બની ગયાં.
તેમણે પરદેશની ભૂમિ પર ફરકાવેલો રાષ્ટ્રધ્વજ એમણે પોતે જ બનાવ્યો હતો. આમાં લાલ, કેસરી અને લીલા એમ ત્રણ પટ્ટા હતાં. લાલ પટ્ટામાં આઠ અર્ધખીલ્યાં કમળ હતાં, જે ભારતનાં તે સમયનાં આઠ પ્રાંતોનું પ્રતિનિધિત્વ કરતાં હતાં. વચ્ચેનાં પટ્ટા પર દેવનાગરી લિપિમાં ‘વંદે માતરમ’ લખેલું હતું. સૌથી નીચેનાં પટ્ટામાં એક બાજુ સૂર્ય અને બીજી બાજુ ચાંદ તારો હતો, જે ભારતનાં બે મુખ્ય ધર્મો હિંદુ અને મુસ્લિમનાં પ્રતિક હતાં.
મેડમ ભીખાઇજી કામાએ આ રાષ્ટ્રધ્વજની ડિઝાઇન તૈયાર કરી. આ રાષ્ટ્રધ્વજ ભીખાઇજી કામાની સાડીમાંથી તૈયાર કરવામાં આવ્યો હતો. સરદારસિંહ રાણા અને તેમના સાથીઓ પર અંગ્રેજોની નજર હતી જેથી તેમણે ત્રણ રાષ્ટ્રધ્વજ બનાવ્યા હતા અને અલગ અલગ વ્યક્તિઓ પાસે રાખ્યા હતા. ભીખાઇજી કામાએ આ સંમેલનમાં સૌપ્રથમ વખત વિશ્વ ફલક ઉપર ભારતના પ્રતિનિધિ રૂપે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો અને અંગ્રેજોની ભારતમાં શોષણનીતિ સામે ભાષણ કર્યું.
તેમણે વિદેશની ધરતી પર ભારતીય ધ્વજ ફરકાવતા નિડરતાથી ઘોષણા કરતા કહ્યું હતુ કે, ‘આ ભારતીય સ્વતંત્રતાનો ધ્વજ છે. હું તમામ સભાસદોને આહવાહન કરૂ છું કે ઉઠો…હું દુનિયાભરના તમામ સ્વતંત્રતાના ચાહકોને આ ધ્વજ સાથે સહભાગી થવાની અપિલ કરૂ છું. વંદે માતરમ્….વંદે માતરમ્…
આ ઘટના બાદ મેડમ કામા આ ધ્વજની એક નકલ પોતાનાં તમામ ભાષણો દરમિયાન સાથે જ રાખતાં હતાં. તેમણે ચાલુ કરેલ સામયિક ‘તલવાર’નાં પૂઠા પર પણ આ ધ્વજનું ચિત્ર હતું. તેમણે ‘વંદે માતરમ’ નામનું એક અખબાર પણ શરુ કર્યું હતું. આમાં તેમનાં ભાષણો ઉપરાંત અન્ય નેતાઓના ભાષણો પણ પ્રગટ થતાં હતાં.
મેડમ ભિખાજીમાં દેશભક્તિ અને શૂરવીરતાનો અનોખો સંગમ હતો. એમણે યુરોપ અને અમેરિકામાં ભારતની આઝાદીનો નાદ જગાડ્યો હતો. તેમના હાથે ક્રાંતિકારીઓની સંસ્થા ‘અભિનવ ભારત’નો શુભારંભ કરાવાયો હતો. આખરે ઈ.સ. 1936માં 13મી ઑગસ્ટના રોજ પંચોતેર વર્ષની ઉંમરે મુંબઈની એક પારસી હૉસ્પિટલમાં તેમનું અવસાન થયુ હતું. અફસોસની વાત એ હતી કે દેશ માટે આખી જિંદગી આપનાર મેડમ કામાની મૃત્યુની નોંધ કોઈએ લીધી ન્હોતી.વિદેશની ધરતી પર રહી દેશ માટે આખી જિંદગી ન્યોછાવર કરનાર દેશની આ વિરાંગનાને નમન.
