સદગુરુ કૃપા હી કેવલમ.
પરિચય- ફાલ્ગુની વસાવડા.
શીર્ષક- સમાજ દર્શન.
વિકાસ ક્ષેત્રે માત્ર એક વર્ષમાં ભારતે આઠમા કર્મમાંથી પાંચમા ક્રમ સુધીની હરણફાળ ભરી!
15/8/2026 આવી રહી છે, અને આ વર્ષે ભારત આઝાદીનાં 80 માં વર્ષની ઉજવણી કરશે! વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પરથી દેશ વાસીઓને આ દિવસનાં અભિનંદન આપશે, અને આ આઝાદી માટે અને પછી સરહદે શહીદ થઈ કેટલુંય બલિદાન આપ્યું છે, એવાં કેટલાંય વીર શહીદોને સન્માનિત કરશે, અને બીજુંય કેટલુંય. પરંતુ ભારતનું નામ આજે સમગ્ર વિશ્વમાં ઈજ્જતથી લેવાં જેટલો તો એણે વિકાસ કર્યો જ છે, એમાં કોઈ બે મત નથી! એ વિકાસ વિશે આપણે આગળ વાત કરીશું! પણ શું એવું નથી લાગતું કે આપણું એક પાસું હજી વધુ મજબૂત હોય, તો આપણે હજી વધુ વિકાસ સાધી શકીએ ? અને એ છે ગંદી રાજનીતિ! કે જેને કારણે ભારત સરકારની નિતીને કારણ વગર પડકારવામાં આવે છે, અને પોતાની સફાઈ દેવામાં જે સમય જાય એનું મૂલ્ય કેટલું છે?; એ વિપક્ષ અને સમાજ ક્યારે સમજશે! અને છોડો એ રાજકીય દાવપેચ! પરંતુ નાગરિકો એ આવાં પોલીટિકલ સ્ટંટ ને બઢાવો દેવો જોઈએ નહીં! એટલું તો નાગરિકોની ફરજમાં આવે જ છે! દાખલા તરીકે છેલ્લાં કેટલાક દિવસોથી નેટનાં પેપર લીક થવા અંગે લીગલી પ્રોસિઝર થઈ ગઈ હોવા છતાં કોઈ ને કોઈ બહાને આ મુદ્દો સળગતો રાખવાનું કારણ શુ છે? આમ ત્રણ મહિને કોઈ ને કોઈ મુદ્દે વિપક્ષ સમાજમાં અને સંસદમાં હોબાળો કરી અંતે તો આપણે આપેલા ટેક્સના રુપિયા જ વાપરે છે! એટલી સમજ તો દરેક નાગરિકને હોવી જ જોઈએ!
વિકાસ વાત કરીએ તો છેલ્લાં કેટલાક વર્ષોમાં ભારતે વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે.
**ભારત આજે વિશ્વની ટોચની 5 સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાં સામેલ છે,આર્થિક રીતે એ બહુ મોટી સફળતા કહેવાય.
**પહેલાં ગામડાઓમાં પાણી અને વીજળી પણ પહોંચી નહોતી, અને આજે દેશનાં ગામડાઓ સુધી ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ સફળતાપૂર્વક પહોંચી છે, અને ઈન્ટરનેટ સુવિધા પણ ઉપલબ્ધ છે.
**નાનાં માં નાનાં ગામડા સુધી પાકાં રસ્તા અને બસ સુવિધા પહોંચે એવું દેશમાં હાઈવે નેટવર્ક તૈયાર થયું છે. વંદે ભારત જેવી લેટેસ્ટ ટેકનોલોજી વાળી ટ્રેનો અને ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ એરપોર્ટની સંખ્યામાં પણ મોટો વધારો થયો છે, અને ખાસકરીને આપણાં અયોધ્યા, કાશી, બૌદ્ધગયા, મદૂરાઈ, શિરડી, તિરુપતિ, અમૃતસર જેવા તીર્થોની સંસ્કૃતિને વધુ લોકપ્રિય બનાવ્યું, આ પહેલ બીરદાવવાં લાયક છે.
**ગરીબી રેખા અને કલ્યાણ યોજનાઓ અંતર્ગત આયુષ્માન ભારત અને પીએમ આવાસ યોજના જેવી યોજનાઓથી કરોડો પરિવારોને પાકા ઘર અને મોટી મોટી હોસ્પિટલમાં મફત સારવાર મળે છે.
**ટેકનોલોજી અને સ્પેસ ની વાત કરીએ તો સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં ભારત ત્રીજા ક્રમે છે, તેમજ ઇસરો ના સ્પેસ મિશન દ્વારા કેટલાંય પડકારો સામે રક્ષણની તૈયારીથી ભારતે વૈશ્વિક સ્તરે ડંકો વગાડ્યો છે.
** ગત વર્ષોમાં રાષ્ટ્રીય સુરક્ષા, રિન્યુએબલ એનર્જી એટલે કે ગ્રીન એનર્જી કે જેની ખરેખર આજે જરુર છે એની પર કામ થઈ રહ્યું છે. દિવસે દિવસે બેકારી વધતી જાય છે એ સંદર્ભે ભારતના યુવા રોજગાર માટે પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના જેવી મોટી નીતિઓ અમલમાં મૂકવામાં આવી છે, કે જેના દ્વારા દેશના લાખો લોકોને રોજગાર મળશે.
**વિકાસની સાથે સાથે દેશ સામે કેટલાક ચાવીરૂપ પડકારો પણ છે, જેમ કે દિવસે દિવસે વધતી વસ્તી, અને મોંઘવારી! જેના પર સરકાર સતત કામ કરી રહી છે. યુવાઓ માટે ગુણવત્તાયુક્ત મફત શિક્ષણ અને નવા નવા ક્ષેત્રમાં રોજગારીનું તેમજ સ્ટાર્ટ અપ બીઝનેસ માટેની તકોનું સર્જન, કરી મોંઘવારી પર નિયંત્રણ કરવું એવા ઠોસ પગલાં લીધા છે.
આ બધી વાતો તો થઈ વર્તમાનની પણ 20 મી સદીના ઉત્તરાર્ધમાં જન્મેલા તેમજ 21મી સદીમાં જન્મેલા ભારતીય નવયુવાનોએ ભારતની એ પરિસ્થિતિને જોઈ ન્હોય તો, આઝાદીનું મૂલ્યાંકન કઈ રીતે કરી શકાય? એની ખબર ન્હોય, માટે 2021 માં સરકારે અમૃત મહોત્સવ દ્વારા એમનામાં એવો દેશ પ્રેમ જગાવવાની આ પ્રક્રિયા હતી, જે આવકાર દાયક પગલું કહી શકાય! બીજું હજી વધુ વિકાસ માટે ભારતના યુવાનો એ ભારત માં જ પોતાની બૌદ્ધિકતા નો ઉપયોગ કરવો! કારણ કે આજનાં યુવાનો ને વિદેશ તરફનું આકર્ષણ છે! પરંતુ યુવાનો માત્ર રુપિયા માટે જ ત્યાં જતાં નથી હાં એ એનું સૌથી મોટું કારણ તો છે જ! પરંતુ ત્યાંનું વર્ક કલ્ચર પણ બેસ્ટ છે! અને સ્પર્ધા કે પ્રમોશન માટેની કોઈ ખેંચાખેંચી નહીં! માટે કંપનીઓ એ એમ્પ્લોયરનું શોષણ કરવાનું બંધ કરવું પડે, અને તો આપણું અર્થતંત્ર પણ હજી વધુ મજબૂત થાય એટલે કે રુપિયાનો ભાવ વધે.
આજે તો ભારત મજબૂત અર્થતંત્ર ધરાવતો પાંચમાં ક્રમે આવતો દેશ છે. પ્રથમ અમેરિકા, બીજું ચીન, ત્રીજું જર્મની, ચોથું જાપાન, અને પાંચમું ભારત ગયાં વર્ષે લેખ લખ્યો ત્યારે ભારતનું આઠમું સ્થાન હતું! આમ વિચારોની ગતિથી વૈજ્ઞાનિક અભિગમ રાખી તે વિકાસ તરફ હરણફાળ ભરી રહ્યો છે. એટલે જેમાં આપણે કંઈ જ કરી શકતા ન હોઈએ એ વાત સરકાર પર છોડીને આપણે આપણી રીતે દેશપ્રેમ સિદ્ધ કરવાનો છે? તો એની માટે શું કરીશું? માત્ર સોશિયલ મીડિયા પર રાષ્ટ્રધ્વજ સાથે ફોટો અપલોડ કરવો, એટલું દેશપ્રેમ માટે પર્યાપ્ત નથી,એ વાત દરેક ભારતીયે યાદ રાખવાની છે. તો આપણને પ્રશ્ન થાય કે આપણે એવું શું કરી શકીએ, કે જેનાં કારણે આપણે આપણો દેશ પ્રેમ સિદ્ધ કરી શકીએ! શું દરેકે સરહદ પર યુદ્ધ કરવા જવું જોઈએ! તો જ આપણો દેશ પ્રેમ સિદ્ધ થાય? ના ! દેશ પ્રેમ દેખાડવા માટે દરેકે સરહદે યુદ્ધ કરવું અનિવાર્ય નથી, પરંતુ એ શહીદની કુરબાની ભૂલી જવી, અથવા એ સૈનિકને ઘર પરિવાર છોડીને ત્યાં દેશની રક્ષા માટે 24 કલાક ખડે પગે ઊભાં રહેવાનાં બલિદાનને એળે જવાં દેવાનું નથી. આપણા સાંસ્કૃતિક મૂલ્યો, અને સંસ્કારોને ભૂલીને આપણે દેશને અંદરથી ખોખલો કરી રહ્યા છીએ, એ વાત દરેક ભારતીયે સમજવાની જરૂર છે. તેથી આપણી સંસ્કૃતિનું મૂલ્ય વધે તેવી પ્રવૃત્તિ કરવી કે વર્તણૂક કરવી, એ પણ દેશપ્રેમ જ છે. આ ઉપરાંત દરેક દેશવાસી માટે આપણાં મનમાં પ્રેમનો ભાવ હોવો પણ એટલો જ જરૂરી છે. ભારતમાં રહીને પણ ભારત દેશ સાથે દ્રોહ કરનારાં સાથે આપણાં સ્વાર્થ માટે રહેવું એ દેશદ્રોહ છે. દેશ જ્યારે આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહ્યો હોય, ત્યારે દેશનાં અર્થતંત્રને મજબૂત બનાવવા માટે ટેક્સ ચોરી કરવી, ભ્રષ્ટાચાર કરવો, લાંચ લેવી, રુશ્વત દઈને આપણું કામ કરાવવું, કે સત્તાનો ઉપયોગ કરી કોઈપણ ને અન્યાય કરવો, સંવિધાન પર વગર કારણે સવાલો ઉઠાવવા, અને આંતર રાજ્કીય વેર વધે એવું કરવું, એ બધું વ્યાજબી નથી, એ બધાં દેશદ્રોહ છે. આ ઉપરાંત એક પરિવારને આર્થિક સામાજિક અને સ્વાસ્થની રીતે વ્યવસ્થિત ચલાવવો કેટલો મુશ્કેલ છે! એ દરેક જાણે છે, ત્યારે કોઈ પણ સરકાર પર આક્ષેપો કરી, અને તેનું કાર્ય વિચલિત કરવું એ પણ દેશદ્રોહ છે. આવું તો કેટલુંયે નાનું મોટું છે, કે જે કરીને આપણે આપણો દેશપ્રેમ સિદ્ધ કરી શકીએ, અને મા ભારતીની શાન વધારી શકીએ. જય હિન્દ.
લી. ફાલ્ગુની વસાવડા (ભાવનગર)
