
સુરત: અમેરિકા દ્વારા આજથી ભારતીય નિકાસ પર ટેરિફ લાગુ કરવામાં આવ્યો છે. જેના કારણે ભારતના અલગ અલગ સેક્ટરને તેની માઠી અસર પહોંચવાની છે. જેમાં સૌથી વધુ ડાયમંડ ઉદ્યોગ પ્રભાવિત થવાની શક્યતા રહેલી છે. ડાયમંડ ઉદ્યોગની કમર પડી ભાંગે તેવી ભીતિ ઉદ્યોગ સાથે સંકળાયેલા અગ્રણીઓએ વ્યક્ત કરી છે. આ વચ્ચે સુરતમાં એક ડાયમંડ કંપની દ્વારા કંપનીમાં કામ કરતાં સો જેટલા રત્ન કલાકારોને એકાએક છૂટા કરી દેવાયા હોવાની વાત સામે આવી છે. સુરત ડાયમંડ વર્કર યુનિયન અને છૂટા કરાયેલા રત્ન કલાકારોએ દાવો કરતાં જણાવ્યું છે કે કંપની પાસે કોઈ કામ ન હોવાના કારણે તેઓને નોટિસ આપ્યા વિના જ છૂટા કરી દેવામાં આવ્યા છે. જોકે ગ્રેજ્યુટી અને બોનસ આપવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા કલેક્ટરથી લઈને સંબંધિત વિભાગને રજૂઆત કરવામાં આવનાર છે.
અમેરિકાના ટેરિફ વોરને લઈ સુરતનો હીરા ઉદ્યોગ ચિંતિત બન્યો છે. વેપારીઓમાં પણ ચિંતાનો માહોલ છવાયો છે. આ વચ્ચે સુરતની એક ડાયમંડ કંપની દ્વારા રાતોરાત 100 જેટલા રત્ન કલાકારોને છૂટા કરી દેવાયા છે. કતારગામ ખાતે આવેલી કાસાનગર સ્થિત ક્રિશ દિયામ નામની ડાયમંડ કંપની સામે આ ગંભીર આરોપ થયા છે. કંપનીમાંથી છૂટા કરાયેલા રત્ન કલાકારોએ જણાવ્યું છે કે કંપનીમાં અંદાજિત 250 થી 300 જેટલા રત્ન કલાકારો કામ કરે છે. છેલ્લા 15 – 15 વર્ષથી કામ કરતા રત્ન કલાકારોને નોટિસ આપ્યા વિના જ છુટા કરી દેવાયા છે. જેના કારણે ઘરખર્ચ, બાળકોના અભ્યાસનો ખર્ચ, ઘરના ભાડા સહિત મકાનના હપ્તા ભરવા જેવી ચિંતા સતાવી રહી છે. ઉપરાંત કંપની દ્વારા ગ્રેજ્યુટી અને બોનસ આપવામાં આવ્યું નથી. એક તરફ સામી દિવાળી છે અને બીજી તરફ રત્ન કલાકારોને આવા સંજોગોમાં છૂટા કરી દેવાતા મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે.


