સદગુરુ કૃપા હી કેવલમ.
સંકલન- ફાલ્ગુની વસાવડા.
શીર્ષક- માનસ કબંધ (ભાગ ૮)
જીવનયાત્રામાં બાધક બનતી વૃત્તિનું નામ કબંધ છે! અને હરિ દર્શન વગર જેનાથી મુક્તિ શક્ય નથી.
માનસ કબંધનાં આઠમા દિવસની કથામાં પ્રવેશતાં પૂજ્ય બાપુએ કહ્યું કે, માનસ કબંધની સાત્વિક તાત્વિક ચર્ચા થઈ રહી છે, એમાં થોડાં આગળ વધીએ. આપણે યાત્રા કરીને ક્યાંક જઈ રહ્યા હોઈએ, અને આ યાત્રામાં કોઈ આડ બનીને આવી જાય, અથવા તો અવરોધ આવે તો એ અવરોધોનું વૈચારિક નામ કબંધ છે, એ વૃત્તિનું નામ કબંધ છે, અને એટલે જ તુલસીદાસજી કહે છે “આવત પંથ કબંધ નિપાતા”
ભગવાન રામની સીતા શોધની, યાત્રામાં બાધા બની કબંધ આવ્યો, જેવી રીતે રામ લક્ષ્મણની વિશ્વામિત્ર સાથેની યાત્રામાં વચ્ચે તાડકા આવી હતી. પરંતુ રામ અને લક્ષ્મણ હતાં, એટલાં માટે એ બંનેએ બાધાઓને નષ્ટ કરી દીધી, અને ભગવાન અવરોધ પાર કરી ગયાં. રામ એટલે સત્ય અને સત્ય એટલે બ્રહ્મ, લક્ષ્મણ એટલે જાગૃતિ અથવા સાવધાની! એટલે કબંધ વૃત્તિને દૂર કરવા માટે સત્યવ્રતી માણસ, અથવા તો કોઈ જાગૃત માણસ હોય તો યાત્રાનું વિધ્ન દૂર થાય, પરંતુ આપણા જેવા લોકોની યાત્રા કબંધ રોકી લે છે. પરંતુ રામ તો બ્રહ્મ! અને બ્રહ્મને તો કોઈ બાધા નડી શકે નહીં, અથવા તો બાધા હોતી નથી, આપણા જેવાં જીવની યાત્રા કબંધ રોકી લે છે. પરંતુ જીવ જો બ્રહ્મની પાછળ પાછળ ચાલે તો એ, રસ્તાનાં કબંધ રુપી અવરોધ પાર કરી જશે! આપણે જીવ છીએ એટલે ચોવીસ કલાક જાગૃત રહી શકતાં નથી, પણ જેટલી ઘડી જાગૃત રહી શકીએ એ ઘડીનો ઉત્સવ મનાવી લેવો, જેમ કે આ નવ દિવસ સુધી આપણે સૌ કબંધ વૃત્તિથી દૂર રહ્યાં. જેટલો વખત મનમાંથી કામના દૂર થાય, એટલો વખત આપણે સ્થિતપ્રજ્ઞ છીએ! જે ક્ષણ કોઈ સાધુ સાથે વિતી શકે એ ધન્ય છે! પછી કોઈ કામના આવે તો આવે, પરંતુ આત્મા આત્મામાં સંતુષ્ઠ થઈ જાય સ્થિર થઈ જાય, એનું નામ સ્થિતપ્રજ્ઞ છે! રામકથા સાંભળતા સાંભળતા, રામનામ લેતા લેતા, રામનામ જપતા જપતા, એની પાછળ જેટલી ક્ષણો આપણે ચાલી શકીએ, એટલી ક્ષણ કબંધ આપણી બાધા નથી બની શકતો, આપણે એનાથી મુક્ત રહી શકીએ છીએ. રામ તો મુક્ત છે જ, પરંતુ આપણી જીવનયાત્રાની બાધક વૃત્તિનું નામ કબંંધ છે.
દક્ષય યજ્ઞનાં પ્રસંગમાં બે પક્ષ છે સતી બળી ગયાં શિવનું અપમાન થયું, અને પછી યજ્ઞનો વિધ્વંશ થઈ ગયો, મહાદેવ કોપ કરીને વીરભદ્રને મોકલ્યો, તો એક પક્ષમાં યજ્ઞ અધૂરો રહી ગયો એવી વાત છે. બીજો પક્ષ યજ્ઞનો વિધવંશ થયો ન્હતો, દક્ષનું મસ્તક કાપીને યજ્ઞમાં હોમી દેવામાં આવ્યું હતું, એટલે કે છેલ્લે જ્યારે બલિદાનનું શ્રીફળ યજ્ઞમાં હોમી દેવામાં આવે છે, એ રીતે યજ્ઞમાં દક્ષનું મસ્તક નાખી દીધું હતું, એટલે કે યજ્ઞ એ રીતે પૂરો થયો. ગોસ્વામીજી દક્ષને વિચારનું પ્રતીક કહે છે. બુદ્ધિમાન છે, બૌદ્ધિક છે, જગતની બૌદ્ધિકતા ખત્મ થઈ જાય એ સારું નહીં, પરંતુ બૌદ્ધિકતાનું અભિમાન ખતમ થવું જોઈએ, અથવા તો અભિમાનનું બલિદાન આપી દેવું જોઈએ. આપણે વિચાર કરીએ એ જરૂરી છે, પરંતુ આપણે જ આવું ઉંચુ વિચારી શકીએ છીએ, એ અભિમાન છે! તથાકથિત ધર્મોએ વિચાર કરતા બંધ કરી દીધાં, જે શબ્દ લખ્યા હોય એની બહાર જઈ શકાય નહીં! એવું થોડું હોય! જ્યારે સનાતન ધર્મની એ વિશાળતા છે કે, આપણે એના વિશે વિચારી શકીએ છીએ, અને આપણો અભિપ્રાય પણ આપી શકીએ છીએ. એટલા માટે સંતોએ કહ્યું કે દક્ષનું મસ્તક કાપ્યા પછી એને પશુનું મસ્ત કાપી દીધું! એક તો વિચારનાં અભિમાનનું કે બૌદ્ધિકતાનું બલિદાન આપી દીધું! અને બીજું બકરાનું મસ્તક! એટલે બૌદ્ધિકતાનાં અહંકારને કારણે દક્ષ પ્રજાપતિને બકરાનું મસ્તક મળ્યું. માનસની ચાર પીઠમાં કૈલાસની પીઠ વિશ્વાસની છે, અને પ્રયાગની યાજ્ઞવલ્ક્ય વાળી પીઠ વિચારની છે, એવું મને લાગે છે. નિલગીરી પર્વતની કાગ ભુશુંડિજી વાળી પીઠ વિવેકની, અને તુલસીદાસજીની મનને બોધ કરનારી પીઠ વર્તનની છે. વિશ્વાસ વિચાર વિવેક અને વર્તન આ બધું ભોજન જેમ ઈનસન્ટ નથી થતું, ભજનને પાકતા વાર લાગે છે! મને વિશ્વાસ છે! એવું કહી શકાય, લખી શકાય! પણ એમ ભરોસો થતો નથી, એકવાર વિશ્વાસ ભરોસાનાં સ્ટેજે પહોંચે, પછી ભરોસો જ ભજન છે! પછી આશ્રિતે કંઈ જ કરવાનું નથી. આપણાં સદગુરુ કે બુદ્ધપુરુષ જેવા વિશ્વમાં બીજા કોઈ હમસફર નથી, ઈશ્વર પણ નહીં, સદગુરુ નિરંતર પડછાયો બનીને આપણી સાથે ચાલે છે. મારા ગણીને ત્રિભુવન દાદાની વાત કરતાં કહ્યું કે એનું નિર્માણ મેં આ આંખોથી જોયું છે. હું મારા પિતાજી નાનાં ભાઈ ઈશ્વરકાકાની દુકાન પર બેઠો હતો, અને દાદાની તબિયત છેલ્લા ત્રણ ચાર દિવસથી નાદુરસ્ત હતી, અચાનક મારાથી મોટી બહેન દોડતી આવી અને કહ્યું દાદા બોલાવે છે. હું પહોંચ્યો, જે ત્રણ દિવસથી સાવ પથારી વર્ષ હતાં, એ બેસી ગયાં. અમારા સાધુઓમાં મૃત્યુ બાદ સમાધિ આપવામાં આવે છે, અને દાદા ખુદ બેસી ગયાં. જમણા હાથનો બેરખો સતત ચાલુ હતો! એમણે કેટલી સ્વસ્થતાથી સ્વીકારી લીધું! એને જ નિર્વાણ કહેવાય.
તલગાજરડા કબંધને કઈ રીતે જોવે છે, જે વિચાર આપણી જીવનયાત્રામાં બાધા બને એવા વિચારને કબંધ કહે છે. કબંધ વિશાળ ભુજાઓનું પ્રતીક છે, હું આ પણ કરી શકું છું, હું આ પણ કરી શકું છું, અને હું ત્યાં પણ પહોંચી શકું છું, આ ‘હું’ જ વિશાળ ભુજાઓ છે, અને એ આપણને ઘેરી રહી છે, કબંધની જોજન લાંબી ફેલાતી ભૂજાઓ ખુદને જોવા દેતી નથી. આપણે કબંધની બાહોમાં નથી આવવું, કોઈ ગુરુ શિષ્ય નો સંબંધમાં જવું છે. માણસ સ્થિતપ્રજ્ઞ તો થઈ શકે, પણ દરેક સ્થિતપ્રજ્ઞ સંત ન્હોય એવું બને. સ્થિત પ્રજ્ઞને દુઃખ સુખ નથી હોતું, મોહ માયા નથી હોતા, પરંતુ જીવની સ્થિતપ્રજ્ઞતા બહું લાંબુ ચાલે નહીં! જ્યારે સાધુ કે સંત સ્થિતપ્રજ્ઞ હોય શકે. ભગવાન રામને ઉત્તર કાંડમાં જ્યારે સંતના લક્ષણો પૂછવામાં આવ્યાં, ત્યારે રામ કહે છે સાધુ એ છે જે બીજાનાં દુખે દુઃખી થાય, અને બીજાનાં સુખે સુખી થાય. સાધુ સ્થિતપ્રજ્ઞ કરતા ઘણાં બધાં આગળ છે, વિચાર ના રૂપમાં, વૃત્તિનાં રૂપમાં આપણે કબંધનું દર્શન કર્યું. કબંધે પોતાનાં શ્રાપની વાત કહી, એને ઘણા શ્રાપ લાગ્યા હતાં, પરંતુ હરી ચરણારવિંદના દર્શન થતાં તુરંત મુક્ત થઈ ગયો. પાપ કરવામાં વાર લાગે, પરંતુ મુક્ત થવામાં એક ક્ષણ લાગે. પાપ કરવામાં શ્રમ છે, પણ કોઈની કૃપા કૃપાદ્રષ્ટિ પ્રાપ્ત થાય તો પાપ માંથી મુક્તિ ક્ષણમાં થઈ જાય છે. ચરણારવિંદના દર્શન પછી કબંધ કહે છે, પ્રભુ હવે હું આપની સાથે જોડાઈ ગયો, પ્રભુ કહે છે બ્રહ્મકુળનાં દ્રોહી મને પસંદ નથી. અહીં બ્રહ્મકુળ એટલે બ્રાહ્મણ નથી, ભગવાન રામના વચનને સમજવા માટે, ભારતના આંસુ જોઈએ, લક્ષ્મણની જાગૃતિ જોઈએ, શત્રુઘ્નાનું મૌન જોઈએ! ક્યારેય ભગવાન રામની શબ્દાવલી સમજાશે! કથાનાં ક્રમમાં ભગવાન રામ જાનકી સાથે લગ્ન કરી અયોધ્યા આવ્યાં, અને અયોધ્યાની સુખ સમૃદ્ધિ વધવા લાગી, ત્યાં સુધીની કથા કઈ આઠમાં દિવસની કથાને વિરામ આપ્યો.
સંકલન ફાલ્ગુની વસાવડા. ( ભાવનગર)
