
બોલિવૂડના સ્ટાર કોમેડિયન રાજપાલ યાદવ હાલમાં ચેક બાઉન્સ કેસને કારણે કાયદાકીય મુશ્કેલીમાં સપડાયા છે. આ કેસ 15 વર્ષ જૂનો છે. 2010માં રાજપાલ યાદવે પોતાની ફિલ્મ ‘અતા પતા લાપતા’ બનાવવા માટે દિલ્હીના એક બિઝનેસમેન (મુરાલી પ્રોજેક્ટ્સ) પાસેથી 5 કરોડ રૂપિયાની લોન લીધી હતી. આ લોલ ચૂકવવામાં અસમર્થ હોવાના કારણે રાજપાલ યાદવે 5 ફેબ્રુઆરી, 2026ના રોજ દિલ્હીની તિહાર જેલમાં અધિકારીઓ સામે આત્મસમર્પણ કરવું પડ્યું હતું. આજે તેમની જામીન અરજી પર સુનાવણી ચાલી રહી છે. જ્યાં લોન ન ચૂકવવાના કારણે હાઈકોર્ટે રાજપાલ યાદવને ફિટકાર લગાવી છે. દિલ્હી હાઈકોર્ટે રાજપાલ યાદવને પૂછ્યું કે, તમે પોતાની સજા રદ કરવાની માગ શા માટે કરી રહ્યા છો? જ્યારે તમે ખુદ એ વાત સ્વીકાર કરી ચૂક્યા છો કે, તમે પૈસા ઉધાર લીધા હતા. તમે ગુનો કબૂલ કર્યો હતો અને ચૂકવણી કરવાનું વચન આપ્યું હતું. હવે જ્યારે તમને સજા ફટકારવામાં આવી છે, તો તમે સજા રોકવાની વાત કરી રહ્યા છો. રાજપાલ યાદવના વકીલે કહ્યું કે, અમે એ જ તારીખે કહ્યું હતું કે, અમે મામલો સેટલ કરવા માગીએ છીએ. રાજપાલે કોર્ટમાં કહેલા પોતાના શબ્દોનું માન રાખવા માટે આત્મસમર્પણ કર્યું છે. ફિલ્મમાં જે 5 કરોડની રકમ ઈન્વેસ્ટ કરી હતી, તે ચૂકવવા માગીએ છીએ. 3 કરોડથી વધુની રકમ ચૂકવી દેવામાં આવી છે. હાઈકોર્ટે કહ્યું કે, ‘મને એ નથી સમજાતું કે આ ચર્ચા શા માટે થઈ રહી છે? તમે અરજી દાખલ કરી હતી. જજે કહ્યું હતું કે, તેઓ હસ્તક્ષેપ નહીં કરશે. તમે કહ્યું હતું કે, તમે પૈસા ચૂકવશો. પછી વર્ષો સુધી તમે પૈસા ન ચૂકવ્યા. આદેશની અવગણનાના કારણે તમારે આત્મસમર્પણ કરવું પડ્યું. તમે છેલ્લો ઓર્ડર જોઈ લો. તમે કહ્યું હતું કે, એક ખરેખર ટ્રાન્જેક્શન થયુ હતું. જ્યાં ફિલ્મના પ્રોડક્શન માટે નાણાં પૂરા પાડવામાં આવ્યા હતા. કોર્ટે નોટિસ કર્યું કે તમે સેટલમેન્ટની શક્યતાઓ શોધી રહ્યા છો. મને આ મામલે હસ્તક્ષેપ કરવાનું કોઈ કારણ નજર નથી આવી રહ્યું. તમે મીડિએશન સેન્ટર ગયા અને ત્યાં ચૂકવણી કરવાનું વચન આપ્યું. તમને 25-30 તકો આપવામાં આવી હતી. હવે શું તમે આ કેસને રી-ઓપન કરવા માગો છો? તમે ચૂકવણી કરવામાં વિલંબ કેમ કર્યો, તેની જાણકારી આપવી પડશે. હું તમારી સાથે સહાનુભૂતિ વ્યક્ત કરી શકું છું, પરંતુ કાયદો કાયદો છે.’


