સદગુરુ કૃપા હી કેવલમ.
પરિચય- ફાલ્ગુની વસાવડા.
શીર્ષક- સમાજ દર્શન.
ધ તાજ સ્ટોરી! એમાં જે “સનાતન એક સોચ” એટલે કે સનાતનનાં વિચારને કંઈ રીતે મૂલવીશું?
આજે રવિવાર એટલે સમાજ દર્શન અથવા વાંચન વિશેષ કે જેમાં હપ્તા ભરનાં સમચાર કે કોઈ સ્પેશ્યલ દિવસ પરનો સંદર્ભ લઈને લેખ લખાય છે. એ રીતે જોઈએ તો આ તા 23 જૂલાઇ બાળ ગંગાધર તિલક જયંતી, તા 26 જૂલાઈ કારગિલ વિજય દિવસ આવે છે!; બાજપાઈજી વડાપ્રધાન હતાં ત્યારે કારગિલથી નિરાશ્રિતો અને આતંકવાદીઓને અટકાવવા આ યુદ્ધ થયું હતું, જે 1999 5 મેં થી 26 જૂલાઈ સુધી ચાલ્યું હતું, અને ઓપરેશન કોડ નેમ “સફેદ સાગર” ના નામે થયેલ, આ યુદ્ધમાં આપણો વિજય થયો હતો. જીત વિશે લખવું કોને ન ગમે! પણ યુદ્ધ એટલે યુદ્ધ! એમાં બંને પક્ષની સચ્ચાઈ મુકવી પડે, અને હિંસાત્મક ભાવ તો ખરો જ! તા 28 હિપેટાઇટિસ દિવસ એ એક ચેપી બિમારી તરફ જાગૃતિ માટે છે, તા 29 વાઘ દિવસ છે, જેમાં વાઘ સિંહ જેવા લુપ્ત થતાં જતાં વન્ય પ્રાણીઓને આરક્ષણ આપવાનો હેતુ સમાયો છે. પણ શુક્રવારે રાત્રે ઓટીટી પર” ધ તાજ સ્ટોરી” ફિલ્મ જોઈ! ફિલ્મ જોયા પછી તાજમહેલ નજરે જોયાંનો એક અહોભાવ હતો, એ ખત્મ થઈ ગયો! કારણકે તાજમહેલને દુનિયાનાં આઠ અજુબામાં સામેલ કરવામાં આવે છે! પણ હકીકતમાં શું એ તાજમહેલ શાહજહાંની દેન છે? કે પછી આપણી સંસ્કૃતિ અને ઔદાર્યનું કારણ, જે એક રહસ્ય છે ! અને જેની અમુક સચ્ચાઈમાં ઘણું હાર્દ સમાયું છે, તો થયું કે આ વખતે એની પર જ લેખ લખું.
‘ધ તાજ સ્ટોરી’ એ 2025 ની એક વિવાદાસ્પદ ભારતીય હિન્દી ભાષાની કોર્ટરૂમ ડ્રામા ફિલ્મ છે.
દિગ્દર્શક અને નિર્માતા: તુષાર અમરીશ ગોયલ દ્વારા લિખિત અને દિગ્દર્શિત છે, અને સીએ સુરેશ ઝા દ્વારા નિર્મિત છે. જે ફિલ્મમાં પીઢ અભિનેતા પરેશ રાવલ મુખ્ય ભૂમિકામાં જોવા મળે છે. આ ઉપરાંત ફિલ્મમાં ઝાકીર હુસૈન, અમૃતા ખાનવિલકર, નમિત દાસ અને સ્નેહા વાઘ જેવા જાણીતા કલાકારોએ કામ કર્યું છે.
ઈતિહાસની દ્રષ્ટીએ જોઈએ તો વાર્તાનો વિષય ઘણો રસપ્રદ છે! કે આ ફિલ્મ તાજમહેલનાં ઈતિહાસ અને તે મંદિરની જગ્યાએ બનાવવામાં આવ્યો હોવાના દાવાઓ પર આધારિત છે. આ વિષયને લઈને ફિલ્મ ભારે વિવાદોમાં સપડાઈ હતી અને તેની રિલીઝ પહેલા કાનૂની વિવાદો પણ થયા હતા. ‘ધ તાજ સ્ટોરી’ ફિલ્મ થિયેટરોમાં 31ઓક્ટોબર 2025 ના રોજ રિલીઝ થઈ હતી.થિયેટર બાદ, આ ફિલ્મ OTT પ્લેટફોર્મ પર 13 માર્ચ 2026 ના રોજ રિલીઝ કરવામાં આવી હતી. ફિલ્મનો સમયગાળો આશરે ૨ કલાક અને ૪૫ મિનિટ એટલે કે 165 મિનિટ લાંબી છે.
ફિલ્મ જોતાં જ એવું લાગ્યું કે, જો આ સ્ટોરીમાં સચ્ચાઈ હોય તો એની પર ચોક્કસ વિરોધ થયો હશે, અને ફિલ્મના અંતમાં એ બધું દર્શાવામાં આવ્યું છે. ધ તાજ સ્ટોરી’ ફિલ્મ તેની રિલીઝ પહેલા અને પછી ભારે કાનૂની વિવાદો અને કોર્ટ કેસમાં સપડાઈ હતી.
દિલ્હી હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી PIL થઈ હતી, અને અરજીકર્તા વકીલ શકીલ અબ્બાસનો દાવો હતો કે ફિલ્મમાં ઇતિહાસને ખોટી રીતે રજૂ કરાયો છે અને તે ‘કોમી પ્રચાર’ ફેલાવે છે.
એક અરજીમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનનાં સર્ટિફિકેટને પડકારવામાં આવ્યું હતું, અને ફિલ્મની રિલીઝ પર સ્ટે લગાવવાની માંગ થઈ હતી. પરંતુ ઓક્ટોબર 2025 માં, મુખ્ય ન્યાયાધીશ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાયની બેન્ચે આ અરજીને ફગાવી દીધી હતી અને ફિલ્મની રિલીઝ પર રોક લગાવવાનો ઇનકાર કર્યો હતો.
અન્ય એક કાનૂની નોટિસ દ્વારા પ્રતિબંધની માંગ થઈ જેમાં અયોધ્યાના ભાજપ નેતા રજનીશ સિંહની ફરિયાદ હતી કે આ ફિલ્મ 2022 માં તાજમહેલના 22 બંધ રૂમો ખોલવા માટે તેમણે અલ્હાબાદ હાઈકોર્ટમાં દાખલ કરેલી અરજી અને તેમના સંશોધન પર આધારિત છે. નિર્માતાઓએ તેમની પરવાનગી લીધા વિના અથવા ક્રેડિટ આપ્યા વિના આ વિષયનો ઉપયોગ કર્યો છે, એટલે કે કોપીરાઇટ ભંગ થયો છે. આ તમામ કાનૂની અવરોધો છતાં, કોર્ટે ફિલ્મ પર પ્રતિબંધ મૂકાયો નહીં અને નિર્ધારિત સમયે જ રિલીઝ થઈ શકી હતી.
ફિલ્મની શરૂઆતમાં પરેશ રાવલ કે જે વિષ્ણુ દાસ છે, તે તાજમહેલ સામે બેઠેલ છે. ફિલ્મનું પોસ્ટર ઘણુ ચર્ચાસ્પદ રહ્યું! કારણકે વિષ્ણુ દાસ તાજમહેલના ગુંબજને ખોલે છે, અને અંદરથી શંકરની મૂર્તિ દેખાય છે. ફિલ્મ તાજમહેલ જોવાં આવેલાં ટુરિસ્ટો અને ગાઈડનાં સંવાદથી થાય છે. ડોક્યુમેન્ટરી ફિલ્મ માટે આવેલી હર્ષા પટેલ, વિષ્ણુ દાસની સંવેદનાને જગાડે છે, અને એ દારુનાં નશામાં સત્ય બોલી જાય છે કે, આપણે જૂઠને ક્યાં સુધી પ્રમોટ કરીશું? તાજમહેલ શાહજહાં એ એની બેગમ મુમતાઝની યાદમાં બનાવ્યો છે એ સત્ય નથી! અને દુનિયાને આ સત્યની ખબર હોવી જોઈએ! અને એ વિડિયો વાયરલ થઇ જાય છે! અને પછી વિષ્ણુ દાસ કે જેના પિતા મહેન્દ્ર દાસનો પણ આ જ વ્યવસાય હતો! અને એની પર ઈતિહાસ સાથે છેડખાની કરવાનો ખોટો આરોપ થયો, અને એમણે આત્મહત્યા કરી! વિષ્ણુ દાસ અને એનાં દિકરાને પણ સસ્પેન્ડ કરવામાં આવે છે. વિષ્ણુ દાસ PIL એટલે આમ પબ્લિક દ્વારા ઈતિહાસની સત્યતા અંગે તપાસની માંગ! કરે છે, અને પછી રિસર્ચ દ્વારા મળેલા ડોક્યુમેન્ટનાં પૂરાવા પર આખી ફિલ્મ બની છે.
ફિલ્મની સચ્ચાઈ જે હોય તે, એમાં આપણે જવું નથી! એટલે કે એ મહેલ હિન્દુ રાજા માનસિંહ અને એનાં પુત્ર જયસિંહ પાસેથી લીધેલ હતો કે નહીં! અહીં પહેલાં શિવજીનું તેજોમય મંદિર હતું કે નહીં? કે પછી બંધ 22 ઓરડામાં શું છે? એ એકેયમાં આપણે જવું નથી! પરંતુ ફિલ્મની માવજત ખૂબ સુંદર રીતે કરવામાં આવી છે, અને કોર્ટમાં પણ પોઈન્ટ ટુ પોઈન્ટ! કોઈ એક્સ્ટ્રા ડ્રામા નહીં! કેસ હારી જવાની બીકે ! કે પછી ઈતિહાસનાં પાનાંમાંથી મુગલ સમ્રાટની બાદબાકી થશે! એ ભયથી થોડુંક કંઈક થયું! પણ એ પણ એક્સટ્રીમ નહીં! અને પરેશ રાવલનો અભિનય તો જોરદાર છે જ, પણ અન્ય વકીલ અને જજ પણ કાબિલે તારીફ!
પરંતુ આપણે વાત કરવાની છે ફિલ્મમાં બોલાયેલ બે ડાયલોગની! જે બંને ડાયલોગ વિષ્ણુ દાસ જ બોલે છે કે, વાત અહીં સનાતનની છે! સનાતન કોઈ ધર્મ નથી, એક સોચ એટલે કે વિચાર છે! એમાં આગળ નથી! પરંતુ ક્યો વિચાર? તો સનાતન એટલે જીવ એ જ શિવ અને એ રીતે માનવતા એ જ પરમ ધર્મ! સનાતન એટલે સત્ય એ જ ઈશ્વર! પણ કયું સત્ય? રાજા પ્રજા ના ભેદ વગર સૌનો સ્વીકાર કરે એ જ ઈશ્વર! સનાતન એટલે વસુધૈવ કુટુંબનો વિચાર! સનાતન એટલે પંચમહાભૂત રુપે પંચદેવની પૂજા! સનાતન એટલે જ્ઞાનનું ઔદાર્ય, શોર્ય, વૈશ્ય, અને સેવકાઈનો મહિમા, સનાતન એટલે વેદોની વાણી!; અને ગંગાનાં પાણીની નિર્મળતા, સનાતન એટલે હિમાલય જેટલી ઉંચી સિદ્ધિ પણ છતાં શિષ્યની સહજતા આવું તો કેટલુંય… બીજો ડાયલોગ છે કે એજ્યુકેશન માફિયા દ્વારા પાઠ્યપુસ્તકો તૈયાર કરવામાં આવે છે, એમાં આપણી સનાતનતાનો ઉલ્લેખ જ નથી! અને જે ખરેખર વિચારવા જેવો મુદ્દો છે! કે ક્યાં સુધી વિદ્યાર્થીઓને યુદ્ધનો જ ઈતિહાસ ભણાવીશું! અને એ પણ એવા નવાબો કે સમ્રાટો નો કે જેને માત્ર આપણી સંસ્કૃતિના વિનાશમાં જ રસ હતો! અંગ્રેજોએ આપણી પર 200 વર્ષ રાજ કર્યું! પરંતુ એમણે એકપણ મંદિર તોડીને ગિરજાઘર બનાવ્યું નથી! તો આ મુદ્દે જરુર વિચાર થવો જોઈએ કારણકે અન્ય દેશોમાં હવે રામાયણ મહાભારતના પાઠો ભણાવવા આવે છે, અને આપણે હજી…. જય હિન્દ.
લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)
