
માનસ સુંદરકાંડનાં પાંચમાં દિવસની કથામાં પ્રવેશતા જે બાપુએ કહ્યું કે લંકિનીની સાથે જુદી પ્રકારનો સત્સંગ કર્યા પછી, હનુમાનજી લંકામાં પ્રવેશ કરે છે, અને અહીં હનુમાનજી દશાનનનાં મંદિરમાં પ્રવેશી રાવણ દર્શન કરે છે, દશાનનનું દર્શન પણ કરવાં યોગ્ય છે.
દસમુખ થવું કે દશરથ થવું એ આપણાં હાથમાં છે. માનસનાં આ બે મુખ્ય પાત્રોનું રહસ્ય અદભુત છે. દશમુખ રાવણ અને દશરથ અવધ નરેશ. આ સંસારમાં કોઈનું મૂળ ખરાબ નથી, પરંતુ પરિસ્થિતિ, દેશ, કાળ, પ્રકૃતિ, એવમ પ્રવૃત્તિ એ પાંચ એવી દોરી છે કે જે, માણસને ખેંચીને ક્યારેક દશમુખ બનાવી દે છે, તો ક્યારેક દશરથ બનાવી દે. પરિસ્થિતિ એટલે કે સંજોગ, દેશ એટલે કે સ્થાન, કાળ એટલે સમય, ખુદનો સ્વભાવ, અને વ્યક્તિની પ્રવૃત્તિ! આ પાંચેય બાબતને વ્યક્તિની દશાનન કે દશરથ બનવાની ભૂમિકા માનવામાં આવે છે, બાકી બધામાં એ જ સત્વ છે. રાવણનું મૂળ જુવો તો રાજા પ્રતાપભાનુ, કેટલું ઉત્તમ કુળ, પણ આ પાંચેયને કારણે બીજા જન્મમાં રાવણ થયાં. તો દશરથનું મૂળ મનું, એટલે કે આદમ અને ઇવ! જોકે મનુજ એટલે આપણે બધા જ મનુનાં સતાન છીએ. સમગ્ર મનુષ્ય સૃષ્ટિની શરૂઆત મનુ થી થઈ, અને ભારતીય દર્શન મુજબ મનુ અને શતરૂપા એ આપણા આદિ માતાપિતા છે. દશરથ એ મનુનો બીજો જન્મ છે.
વિજ્ઞાન કહે છે પહેલાં બધું જડ હતું, એટલે કે આ જગત જડનો વિસ્તાર છે, પણ તુલસી કહે છે કે ભૌતિક જગતનો વિકાસ જરુર જડ થી થયો હશે, કે આ તોડો, તે તોડો, અણું, પરમાણું ઈલેક્ટ્રોન… પણ સજીવ સૃષ્ટિ તો ચૈતન્યનો ચિદ્ વિલાસ છે, અહીં નિરંતર ચૈતન્ય વિકસિત થતું રહે છે.
મૂળમાં રાવણ સારો છે, અને એટલે રાવણ અવતાર છે! અવતારનું દર્શન પણ થવું જોઈએ. હનુમાનજી લંકામાં પ્રવેશ કર્યો અને રાવણનાં મંદિરમાં આવ્યાં, રાવણ સૂતેલો હતો અને સૂતેલા વ્યક્તિ વિશે અનુમાન બાંધવું એ શું ઉચિત છે? પણ હનુમાનજી વિચારે છે કે, મારી મા જાનકી લંકામાં છે! એટલે કે શક્તિ, શાંતિ, અને ભક્તિ લંકામાં હોવાં છતાં જે માણસ સૂઈ જાય, એ કેવું ! એની પરથી કહ્યું કે રાવણ તમોગુણી છે. તો પાછું એમ પણ વિચારે છે કે, બે ચાર તોલા સોનું હોય એ માણસ સૂઈ ન શકે અને આને તો આજુબાજુ સોનું જ સોનું છે! અને છતાં સૂઈ ગયો, એટલે ડામાડોળ છે.
વિભિષણની મદદથી હનુમાનજી અશોકવાટિકા પહોંચી ગયા, મા જાનકી રુપી ભક્તિનું દર્શન કર્યું, પણ હજી પોતાનો પરિચય આપે એ પહેલાં જ રાવણ આવ્યો. હનુમાનજીએ જોયું કે આ તો એ જ છે, જેને મેં સૂતેલો જોયો હતો, આટલી જલ્દી જાગી ગયો? હનુમાનજીનું રાવણ દર્શન બદલી ગયું, કે ભલે સૂતેલો હતો, પણ સમયસર જાગી પણ જાય છે, અને સાચું જાગરણ જ એ છે, જેમાં જાનકી દર્શનની ઈચ્છા થાય, બાકી ભક્તિની કામના એમનેમ થોડી થાય ! રાવણ એકલો નથી આવ્યો! મંદોદરી આદી રાણીઓને લઈને આવ્યો છે, એટલે કે જાનકીને પોતાનાં વશમાં નથી સમજતો, અને કોઈની પત્નીને મળવાં એકલાં જવાય નહીં, એ મર્યાદા એ જાણે છે. ઠાઠમાઠથી આવ્યો છે, ભક્તિનાં દર્શન કરવાં જઈએ ત્યારે મોઢાં પર એક રોનક હોવી જોઈએ. હનુમાનજી કહે છે કે અશોકવાટિકામાં બેઠેલી સીતા એકદમ કૃશકાય થઈ ગઈ છે, એમનાં ગાલ સુકાઈ ગયાં છે. જ્યારે રાવણ કહે છે હે સુમુખી! એટલે આટલો બુદ્ધિશાળી અને વીસ આંખ હોવા છતાં શું રાવણ ભૂલ કરી રહ્યો છે? પણ સાવધાન રાવણ કહે છે કે હું રુપનો દિવાનો નથી! અહીં કોઈ સુંદર સુમુખી નથી! પણ દુનિયાને કહેવા માંગુ છું કે, એ જ સુમુખી છે જેનાં મુખમાં નિરંતર હરિનામ છે. સીતાને સયાની કહી છે, એટલે કે સીતા સમજદાર, હું વીસ પગે દોડતો રહ્યો, વીસ હાથે લૂંટતો રહ્યો, વીસ આંખે જોતો રહ્યો! પરંતુ તું ધન્ય છે કે તારા પગમાંથી દ્રષ્ટિ હટતી જ નથી. પૂજાપાઠ સમયે બધાં સામગ્રી લઈને જાય છે, પણ હું તને શું આપું એટલે આ મંદોદરી આદી રાણીઓને તમારી દાસી બનાવી દઉં. પહેલી નજરે તો એવું લાગે કે આ એક પ્રલોભન આપે છે, એક ડિલ કરે છે. એવું લાગે કે રાવણ બહુ કામી છે, પણ એ પ્રતિજ્ઞા કરે છે કે હું આ જન્મમાં ભજન કરી શકીશ નહીં, પણ રામને હાથે મરીશ તો મારી તો મુક્તિ થઈ જશે, પરંતુ મારું કર્તવ્ય છે કે મારી સાથે જેનું પ્રારબ્ધ જોડાયેલું છે, એ બધાને તું દાસી બનાવી લે, જેથી મારાં ગયાં પછી તું એની પર કૃપા કરતી રહે. પણ હે જગદંબા અત્યારે તું મને કૃપા દ્રષ્ટિથી જો.
હવે જાનકી જવાબ આપે, એનું ચિંતન કરીએ તો સૌ પ્રથમ તો ખાનદાન કુળની પુત્રવધૂ છે એટલે તણખલું આડું કર્યું, અને તુલસીદાસજી અહીં જાનકી કે સીતા શબ્દ વાપર્યો નથી, પણ વૈદેહી, એટલે કે હે રાવણ હું વિદેહી છું! આ દેહમાં સીતા નથી, આ તો છાંયા છે. બીજું જાણે રાવણને કહેતી હોય તું વૈભવી છો, પણ તારાં વૈભવની કિંમત મારી માટે આ તણખલાં જેટલી જ છે. મને ખબર છે કે રાવણ હું તારી વાત નહીં માનું તો તું મને મારી નાખીશ, પણ રામનાં વિરહમાં હવે મને મારો પ્રાણ તણખલાં જેટલો પણ પ્રિય નથી. મારી કૃપા દ્રષ્ટિ માટે તું લાયક નથી, કમળના ખીલવા માટે સૂર્યોદય જરૂરી છે, આગિયાનાં પ્રકાશથી કમળ ખીલતાં નથી, તું અંધકારવાદી છે, તું નિશિચર છો. રાવણ ગુસ્સે થઈ તલવાર કાઢી પણ મંદોદરી રોકે છે, અને કહ્યું સ્વામી નારી પર આ રીતે વાર કરી શકાય નહીં, અને રાવણ જતો રહે છે.
વ્યથિત થયેલાં મા જાનકીનું દર્શન હવે હનુમાનજી કરે છે. રાવણ ગયાં પછી જાનકી પોતાની જાતને બાળી નાખવા અંગાર માંગે છે. હનુમાનજીને થયું કે રામની શરણાગતિ મુકીને મા આમ કેમ કરે છે! એણે મુદ્રિકા નાખી, રામનામ નીચે પડતું નથી, એને ભક્તિ ઉઠાવી લે છે, પણ વિચારે છે કે આવી ક્યાંથી! અને લંકામાં રામ પારાયણ બેઠી, વક્તા છે હનુમાનજી અને શ્રોતા છે મા જાનકી. હનુમાનજી ત્યાં બેસીને રામ ગુણ ગાવા લાગ્યા, એ સાંભળીને જાનકી ના દુખ વાગવા લાગ્યાં કથાથી મોટું કોઈ સમાધાન નથી. જાનકીને આ વક્તાનાં દર્શનની ઈચ્છા થઈ કથાનું અમૃત ઘોળનાર તું કોણ છે? પ્રગટ થા! હનુમાનજી ગોધરા વાનરનાં રૂપમાં જોઈને જાનકી મુખ ફેરવી ગઈ! એને થયું સુવર્ણ મૃગ થઈને આવ્યો હતો, કે જે સન્યાસી થઈને આવ્યો હતો, એ માણસ ફરી પાછો વાનરરૂપમાં કોઈને મોકલી રહ્યો છે! વક્તાનું આ બહુ મોટું અપમાન કહેવાય, પરંતુ હનુમાનજીએ વિચાર્યું કે મા તમે મોં ફેરવી લીધું એ સારું કર્યું, કારણ કે કથાકારની કથા જ સાંભળવાં યોગ્ય હોય છે, એનું મો જોવાનું નથી હોતું. વક્તાને નહીં વક્તવ્યને પકડો! જાનકીને થયું કે કથા અટકી ગઈ, અને કથા જ મારું દુઃખ દૂર કરતી હતી, એટલે જાનકી એ પરિચય પૂછ્યો, હનુમાનજીએ કહ્યું “રામદૂત મેં માતુ જાનકી”, પરંતુ જાનકીની શંકાનું સમાધાન નથી થતું, ત્યારે હનુમાનજી કરુણાનિધિ શબ્દનો પ્રયોગ કરે છે, અને કહે છે મા તું વિશ્વાસ કર હું રામનો જ દૂત છું. કરુણાનિધિ શબ્દ માત્ર જાનકીજીનું ભગવાન રામ માટેનું સંબોધન હતું, જાનકીજી હનુમાનજી સાથે વાતચીત કરે છે, રામનો સંદેશ આપે છે, અને પછી જાનકી હનુમાનજીને અજર અમરનાં આશીર્વાદ આપે છે, આમ પાંચમાં દિવસની કથાને વિરામ આપ્યો.
સંકલન ફાલ્ગુની વસાવડા (ભાવનગર)


