
18, 19 અને 20 મી સદીનાં શરૂઆતનાં ગાળામાં મહિલાઓ સાથે ઉપેક્ષિત વહેવાર થતો. દીકરીનાં જન્મને અશુભ માનવામાં આવતો, અને એને કારણે દીકરીને દૂધ પીતી કરવી, સાટાપાટા કરવાં, બાળ વિવાહ, કે વિધવા થયા બાદ સતી પ્રથા, અને ઘરમાં પણ દીકરા દીકરીનાં ભેદભાવ નું દૂષણ! કેટલીય કન્યાઓ, કે સ્ત્રીઓએ ત્રાસમાંથી ઉગરવા અગ્નિ સ્નાન કરીને, કે કૂવામાં પડી આત્મહત્યા કરી હશે! પંખે લટકાઈ ગઈ હશે, કેટલીય ઘરેથી ભાગીને કોઈની જાળમાં ફસાઈ કોઠા પર વેંચાઈ ગઈ હશે! પરંતુ મહિલાઓ સાથે આવો ઉપેક્ષિત વ્યવહાર શું કામ?શિક્ષિત થવું અને પછી વ્યવસાય કરવો કે કોઈપણ પ્રકારની નોકરી કરવી, કે પરણી ને ઘર સંસાર વસાવવો, એ મહિલાનો પોતાનો સ્વતંત્ર અધિકાર છે! અને જે રીતે પુરુષ પોતાનાં દરેક નિર્ણયો સ્વતંત્રતાથી લે છે, એ જ રીતે સ્ત્રીઓને પણ પોતાની જિંદગીનાં નિર્ણયો લેવાનાં અધિકારો મળવાં જોઈએ! આજે તો હવે સમય ઘણો બદલાઈ ગયો છે, અને ઘણીવાર સ્વતંત્રતાનાં નશામાં સ્ત્રીઓ લેવા જોઈએ નહીં એવાં નિર્ણયો લેતી જોવાં મળે છે. પરંતુ એક સમય એવો હતો, જ્યાં આપણે જોયું તેમ કન્યા શિક્ષણ પણ પાપ ગણવામાં આવતું, અને એનાં થોડાં જ દાયકા બાદ મહિલાઓનાં અધિકાર માટે અથવા તો પુરુષ અને સ્ત્રીનાં સમાન અધિકાર એટલે કે લિંગ સમાનતા માટેની માંગ ઉઠાવનાર જો કોઈ મહિલા હોય તો એ, ગુજરાતનાં વડોદરામાં જન્મેલા હંસા મહેતા હતાં, અને એમની વાત” યુ એન” એ પણ માનવી પડી હતી. તો આજે આપણે હંસા મહેતાને શબ્દ રુપી શ્રદ્ધા સુમન અર્પણ કરીશું.
વડોદરાનું દિવાન પદ શોભાવનાર મનુભાઈ મહેતા અને હર્ષદ કુમારીને ત્યાં 3 જૂલાઈ 1897 નાં રોજ એક દિકરીનો જન્મ થયો, અને એ દિકરી એટલે હંસા મહેતા. મનુભાઈ મહેતા શ્રીમંત સયાજીરાવ ગાયકવાડનાં વિશ્વાસુ વર્તુળમાં સ્થાન ધરાવતાં હતાં, અને દાદા નંદ શંકર મહેતા એ ગુજરાતી સાહિત્યને પ્રથમ ઐતિહાસિક કરણ ઘેલો નામની નવલકથા આપી, આમ જન્મ પ્રસિદ્ધ પરિવારમાં થયો.
તેઓ અભ્યાસમાં નાનપણથી જ તેજસ્વી હતાં. ગણિત અને ભૂમિતિ એમનાં પ્રિય વિષય હતાં. 1913માં મૅટ્રિકની પરીક્ષામાં કન્યામાં પ્રથમ, આવતા તેમને ‘ચેટફીલ્ડ પ્રાઇઝ’ અને ‘નારાયણ પરમાનંદ ઇનામ’ મળ્યાં. નેતૃત્વ કરવામાં પારંગત હોવાથી ‘બૉમ્બે પ્રેસિડન્સી સ્ટુડન્ટ્સ ફેડરેશન’ની વડોદરા શાખાનાં પ્રમુખ બન્યા. સ્વાતંત્ર્યની ચળવળની ભાવનામાં રંગાયેલાં તેમણે આગળ પડીને વિદ્યાર્થી સમાજની સ્થાપના કરી. 1916માં ‘ગંગાબાઈ ભટ્ટ સ્કૉલરશિપ’ મેળવી ઇન્ટર થયાં. 1918માં ફિલૉસૉફી સાથે બી.એ થયાં. વધુ અભ્યાસ અર્થે 1919માં ઇંગ્લૅન્ડ ગયાં. ત્યાં તેમનો મેળાપ સરોજિની નાયડુ અને રાજકુમારી અમૃતકૌર સાથે થયો. 1920માં જિનીવા ખાતેના આંતરરાષ્ટ્રીય અધિવેશનમાં સરોજિની સાથે હિંદનાં પ્રતિનિધિ તરીકે હાજરી આપી. એમ વૈશ્વિક ભૂમિકાએ સ્ત્રીઓની લડતનાં તેઓ અગ્રણી નેતા બન્યાં, અને વૈશ્વિક સ્તરે આટલી સફર તો એમણે લગ્ન પહેલાં જ ખેડી હતી.
વિદેશથી પરત આવીને સમાજની પરવા કર્યા વગર ડૉ. જીવરાજ મહેતા સાથે પ્રેમ લગ્ન કરીને 1925માં તેઓ મુંબઈ ગયાં. જીવરાજ મહેતા પાછળથી ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતાં તેમને સ્ત્રીઓની સામાજિક સ્થિતિ માટે હજી કંઈક વધુ કરવું હતું. સ્ત્રીવિકાસ અને કેળવણી એ બે તેમનાં મુખ્ય કાર્યક્ષેત્રો બન્યાં. તેઓ અનેક સંસ્થાઓમાં સભ્યપદે કે પ્રમુખપદે રહી જવાબદારી સાથે સંકળાયેલાં રહ્યાં. કેળવણીનાં ક્ષેત્રે તો પ્રાથમિકથી માંડી ઉચ્ચ કેળવણી સુધીનાં વિવિધ તબક્કામાં તેમણે બહુ નોંધપાત્ર યોગદાન કર્યું છે. 1946થી 1948 દરમિયાન એસ. એન. ડી. ટી. યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સેલર; જ્યારે 1949થી 1958 સુધી વડોદરાની એમ એસ યુનિવર્સિટીનાં ઉપકુલપતિ બન્યાં. કોઈ મહિલા ઉપકુલપતિ બને તેવી આ પ્રથમ ઘટના હતી. વડોદરા તેમજ દિલ્હીમાં ગૃહવિજ્ઞાનનાં અભ્યાસક્રમની શરૂઆત તેમણે કરાવી.
નીડરતા અને કર્મશીલતા જેવાં ગુણોને કારણે અસહકારની ચળવળ વખતે, દારૂ, તાડી અને વિદેશી કાપડના પિકેજીંગની ગાંધીજીએ સોંપેલી જવાબદારી તેમણે પૂરી નિષ્ઠા અને જુસ્સાથી સંભાળી હતી. 1947ની મધ્યરાત્રિએ સત્તાના હસ્તાંતરની ઘટના વખતે, સરોજિની નાયડુની અનુપસ્થિતિને લીધે, ભારતનો રાષ્ટ્રધ્વજ પણ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના એક સક્રિય સભ્ય તરીકે તેમનાં જ હાથે નહેરુને અપાયેલો. સ્વાતંત્ર્ય બાદ પણ તેમણે અનેક જવાબદારી ભરેલાં કાર્યો કરેલાં. તેઓ માનવ અધિકારનાં પ્રખર હિમાયતી હતાં. યુનેસ્કોમાં એ સંદર્ભે કેટલીક નોંધપાત્ર સક્રિયતા એમણે દાખવેલી, અને પાછળથી એનો સ્વીકાર પણ કરાયો હતો.
યુડીએચઆર નાં એટલે યુનિવર્સલ ડિકલેરેશન ઓફ હ્યુમન રાઇટ્સ નાં જાહેરનામાની કલમ 1ની શરૂઆતના શબ્દો હતા કે ‘બધા પુરુષો સ્વતંત્ર અને સમાન હક લઈને જન્મે છે’. જે સંદર્ભે સ્ત્રી-સમાનતાના હિમાયતી એવાં હંસા મહેતાએ એવી દલીલ કરી હતી કે શું ‘માનવ’નો પર્યાય માત્ર ‘પુરુષો’ છે, અને પુરુષ શબ્દ ક્યારેય ન હોવો જોઈએ. “મેન એન્ડ વીમેન આર હેવ ઈક્વલી રાઇટ્સ” એમના સૂચનને અનુસરીને ઉપરોક્ત વાક્યમાં ફેરફાર કરીને અને ‘બધા મનુષ્ય સ્વતંત્ર અને સમાન હક લઈને જન્મે છે’ કરવામાં આવ્યું હતું. આમ સદીઓથી ચાલતી લિંગ ભેદની નીતિ સમાપ્ત થઈ! અને લિંગ સમાનતાના સંદર્ભે આ મહત્ત્વપૂર્ણ બદલાવ હતો. યુ એન જી એ નાં પ્રમુખ ડેનિસ ફ્રાન્સિસે એમની પ્રસંશા કરતાં કહ્યું હતું કે‘જો હંસા મહેતાએ યુડીએચઆર નાં જાહેરનામાની શરૂઆતનાં શબ્દો બદલવાનો આગ્રહ રાખ્યો ન્હોત તો, આજે માનવ અધિકારની વૈશ્વિક ઘોષણા મુજબ સ્ત્રીઓની સામાજિક સ્થિતિ શું હોત? એ વિચારવું અઘરું પડે છે. 1950માં તેઓ યુ.એન.ની માનવ હક્ક સમિતિના વાઇસ ચેરમેન બન્યાં હતાં. એમણે યુનેસ્કોનાં એક્ઝિક્યુટિવ બોર્ડનું સભ્યપદ પણ સંભાળ્યું હતું.
સામાન્યપણે ડિપ્લોમસી એટલે કે મુત્સદ્દીગીરી, અને એ પુરુષોનું પ્રભુત્વ ધરાવતું ક્ષેત્ર ગણાય છે, મુત્સદ્દીગીરી એ નાગરનો મુખ્ય ગુણ છે, અને નાગર હોવાને નાતે એટલું અવશ્ય કહીશ કે મોટાભાગના રજવાડાના દિવાનો એટલે જ નાગરો હતાં! પરંતુ કન્યા હોય કે કુંવર બંન્નેને આ ગુણ વારસામાં મળે છે, એટલે એ સમયે મોકો મળ્યો હોત તો મહિલા પણ દિવાન પદ શોભાવી શકી હોત, પણ છતાં આ ક્ષેત્રે ઘણી મહિલાઓએ પણ પ્રસંશનીય કામગીરી બજાવી છે. એવી પ્રતિભાવાન મહિલાઓના કામની સરાહના કરવાં માટે દર વર્ષે 24 જૂનનો દિવસ ‘ઈન્ટરનેશનલ ડે ઓફ વિમેન ઈન ડિપ્લોમસી’ તરીકે ઉજવવામાં આવે છે. યુનાઇટેડ નેશન્સની જનરલ એસેમ્બલી દ્વારા વર્ષ 2022થી આ દિવસ ઉજવવાની શરૂઆત કરવામાં આવી હતી. વિશેષ કરીને ‘માનવ અધિકારની વૈશ્વિક ઘોષણા’ બાબતે એમના પ્રદાનને ધ્યાનમાં રાખીને દર વર્ષે એમને યુએનજીએ દ્વારા યાદ કરવામાં આવશે.
પરંતુ હંસા મહેતાની કારકિર્દીનો પડાવ હજી ઘણો લાંબો રહ્યો. પત્રકારત્વનાં અભ્યાસને કારણે તેઓ ‘હિન્દુસ્તાન’ સાપ્તાહિકનાં સહતંત્રી, અને પછી મુંબઈની ‘ભગિની સમાજ’ની પત્રિકાનાં માનદ મંત્રી થયેલાં, સંભવત તેઓ પ્રથમ ગુજરાતી સ્ત્રી પત્રકાર હતાં. લેખન તેમનાં રસનું ક્ષેત્ર હતું એટલે બાલકિશોર સાહિત્ય અને અનુવાદક્ષેત્રના ઉલ્લેખનીય કાર્ય તરીકે ‘બાલવાર્તાવલિ’ ના બે ભાગ 1926 માં ‘બાવલાનાં પરાક્રમો’ 1929 માં, ગોળીબારની મુસાફરી’ 1931 માં ‘અરુણનું અદભુત સ્વપ્ન’ 1934 માં. આ ઉપરાંત અંગ્રેજી તેમજ સંસ્કૃતમાંથી કેટલાક અનુવાદો ઉપરાંત અંગ્રેજીમાં ત્રણેક કૃતિઓ આપી છે. 1959માં એમને પદ્મભૂષણ પુરસ્કાર એનાયત થયો હતો. 4 એપ્રિલ 1995ના રોજ 97 વર્ષે એમનું નિધન થયું, અને આમ હંસ જેવી પ્રખર અને છતાં નિર્મળ વિવેક બુદ્ધિએ જાણે રાષ્ટ્ર માંથી વિદાય લીધી. જય ભવાની.
લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)


