
માનસ રત્નાવલીનાં અંતિમ દિવસની કથામાં પ્રવેશતાં પૂજ્ય બાપુએ કહ્યું કે, સંપૂર્ણ આયોજનથી પોતે ખુશ છે, અને નિમિત્ત માત્ર યજમાને કથાને પૂર્ણ સહયોગ કર્યો, એ માટે ધન્યવાદ. આજે પહેલાં કથાનો ક્રમ લઈએ! લંકા કાંડમાં ત્રણ પ્રકારની ભક્તિ દેખાય છે, કુંભકરણ તામસી ભક્ત છે, રાવણ રાજસી ભક્ત છે, અને વિભીષણ સત્વગુણી ભક્ત છે, અને આ ત્રણે જેની ભક્તિ કરી રહ્યાં છે, એ ત્રિગુણાતિત સચરાસચર સ્વામી રામ છે. ભગવાને રાવણનાં મહારસનો ભંગ કરવા માટે તીર છોડ્યું, રાવણનો મુગટ, છત્ર, મંદોદરીના કાનનું શ્રવણફૂલ બધું જ પડીને પ્રભુના તરકસમાં આવી ગયું, છતાં પણ રાવણને કંઈ ભાન થતું નથી, કે હવે મારો અંત નજીક છે, એણે અંગદનો પ્રસ્તાવ પણ ઠુકરાવી દીધો, યુદ્ધ અનિવાર્ય બન્યું. ભયંકર યુદ્ધ થયું, કોઈની સાથે લડવાં માટે ક્રોધ જોઈએ, ક્રોધ વગર લડાઈ શક્ય નથી, ભગવાન રામને ત્રણ વાર ક્રોધ આવ્યો! એકવાર કુંભકર્ણ પર ક્રોધ આવ્યો, એકવાર આખી રાક્ષસની સેના એકસાથે વાનરો પર તૂટી પડી, ત્યારે ક્રોધ આવ્યો. ત્રીજી વાર પોતાના સારથિ ને રાવણે માર્યો ત્યારે પ્રભુને ક્રોધ આવ્યો, આ ભગવાનની લીલા છે, એમનો તો ક્રોધ પણ નિર્માણદાયક હોય. ભગવાનને વાલી પર પણ ક્રોધ નથી આવ્યો. સુગ્રીવ બહુ જ મોટો ધોકો કરી ગયો, અને રાજ મળ્યા પછી ભગવાનનું કામ ભૂલી ગયો. છતાં ભગવાનને ક્રોધ નથી આવ્યો. મારિચે છળ કપટ કરીને ભગવાનને છેતરીને સીતા હરણની રાવણની યોજનામાં સુવર્ણ મૃગ બન્યો, છતાં ભગવાનને ક્રોધ નથી આવ્યો, કારણકે રઘુપતિ બધા જ કારણો જાણે છે. બાલકાંડમાં તાડકા આવે છે, ત્યારે એના પર પણ રામજીને ક્રોધ નથી આવ્યો. મૂળમાં રામ બોધ સ્વરૂપ છે, સમસ્ત બોધનો વિગ્રહ છે, ત્યાં ક્રોધ નથી. કુંભકર્ણ સામે ક્રોધ આવ્યો, એ પ્રભુની લલિત નરલીલાનું એક લક્ષણ છે કે, તામસી બુદ્ધિને મિટાવવા માટે ક્રોધ કરવો જરૂરી હતો. પ્રભુની સેનાને જ્યારે રાક્ષસો મારવાં લાગ્યાં ત્યારે પ્રભુને ક્રોધ આવ્યો. રાવણ પર તો ભગવાને ખૂબ જ ઓછો ક્રોધ કર્યો છે, પરંતુ રાવણે જ્યારે ભગવાનની બદલે એના સારથિને માર્યો ત્યારે પ્રભુ કોપિત થઈ ગયાં, કેમકે યુદ્ધમાં સારથિને મારવા એ યુદ્ધ નીતિથી વિરુદ્ધ છે. અંતે વિશ્વમંગલ માટે એકત્રીસ બાણ ચઢાવી, દસ મસ્તક, વીસ ભૂજા, અને એકત્રીસમુ રાવણની, નાભિમાં લાગ્યું, ત્યારે રામને લલકારતો રાવણ ભૂમિ પર ઢળી પડ્યો.
પત્ની પતિને પૂરેપૂરો ઓળખતી હોય છે, મંદોદરી કહે છે પતિદેવ આપનો આખો જન્મ પરદ્રોહમાં ગયો, પાપકૃત્યમાં ગયો, છતાં પણ પરમાત્માએ આપને નિજધામ આપ્યું, એ બ્રહ્મને હું પ્રણામ કરું છું. રાવણનાં અગ્નિસંસ્કાર થયાં, અને વિભીષણને રાજતિલક થયું. સીતાની અગ્નિ પરીક્ષા માટે લક્ષ્મણજીને ધર્મના દૂત બનાવ્યાં. લક્ષ્મણ સામે એક બાજુ ધર્મ હતો, કે રામસીતામાં તરીકે સીતા એની માતા છે, એને અગ્નિ માંથી પસાર થતી જોવી એ અઘરું, તો બીજી બાજુ, શેષનાગનાં મસ્તક પર પૃથ્વી ટકી છે, અને આ પૃથ્વીની પુત્રી એટલે જાનકી, એ રીતે એ મોટા છે, અને સ્નેહ કરે છે, એ રીતે પણ અઘરું! પણ તે અગ્નિ ચંદન જેવો શિતલ થયો, ને જાનકી સ્મિત સાથે અગ્નિમાંથી બહાર નીકળે છે.
રામકથા આપણને શીખવે છે કે, સત્ય એટલે ધર્મ અને ધર્મનો જય જરૂરી છે, અને એટલે જ “સત્યમેવ જયતે” અથવા “ધર્મનો જય હો” એમ બોલીએ છીએ, અહીં કોઈ સંપ્રદાયની વાત નથી. | ધરમ ન દૂસર સત્ય સમાના | મારી વાત કરું તો સત્યને જય પરાજય સાથે શું લેવા દેવા? પરંતુ પ્રેમમેવ પરાજયતે, એટલે કે પ્રેમમાં હારવાનું જ હોય, અને કરુણા અજેય છે! એને કોઈ જીતી શક્તું નથી, અને કોઈ હરાવી શકતું નથી. ભજન એટલે પ્રેમ, ભજન ઓછું થાય ત્યારે પ્રાણબળ કમજોર થઈ જાય છે, અને પ્રાણબળ કમજોર થાય, ત્યારે ચેતના નબળી પડે છે, અને ચેતના નબળી પડે ત્યારે આત્મબળ ઓછું થાય છે. સંસારમાં સારું નરસું થતું રહે, પરંતુ ભજન ઘટવું જોઈએ નહીં.
જાનકીજી અગ્નિમાંથી પસાર થઈને રામજી પાસે બિરાજીત થયાં, ઇન્દ્ર આવે છે અને પ્રભુને કહે છે મને કંઈક સેવા સોંપો. પ્રભુએ કહ્યું મારા વાનર રીંછને જીવિત કરો, એ જાનકીના દર્શનથી વંચિત છે. ઇન્દ્ર ઉપરથી અમૃત વર્ષા કરી, રીંછ વાનરને જીવિત કરે છે, પણ રાક્ષસો જીવિત ન થયાં. તુલસી પોતાનો મત રાખતા કહે છે કે, સદગુણ ફરી પાંગરવા જોઈએ, પરંતુ દુર્ગુણનું નિર્વાણ જરૂરી છે.
14 વર્ષની અવધી પૂરી થવા આવી છે, અને ભગવાન વિભીષણને પુષ્પક વિમાન તૈયાર કરવાં કહે છે. ભગવાન રામ સાથીગણ સાથે પુષ્પકમાં બિરાજીત થયાં. જાનકીજીએ રામેશ્વરનાં દર્શન કર્યા, હનુમાનજીને ભરતને સમાચાર આપવા અયોધ્યા મોકલ્યાં, સમયસર હનુમાનજી પહોંચે છે, અને ભરતનાં પ્રાણ બચાવે છે. ભગવાન નિષાદોને મળે છે, પ્રભુ કેવટને પૂછે છે કે શું આપું! કેવટ કહે છે, પ્રભુ કંઈ જ જોઈતું નથી, પરંતુ છતાં આપવાં જ માગતા હો તો, મેં તમને નૌકામાં બેસાડ્યાં, આપ મને પુષ્પક વિમાનમાં બેસાડીને અયોધ્યા લઈ જાઓ.
વિમાને ફરી ઉડાન ભરી, અને અયોધ્યા પહોંચ્યું! ભગવાન સૌને વ્યક્તિગત રીતે મળ્યાં. સૌથી પહેલા મા કૈકેયી પાસે ગયા, ત્યારબાદ મા કૌશલ્યા, મા સુમિત્રાને મળ્યાં. વશિષ્ઠજીએ નિર્ણય કરી લીધો કે આજે જ રાજતિલક કરી દઈએ, કારણકે મમતાની રાત્રીએ રામરાજ્યને 14 વર્ષ દૂર ધકેલી દીધું હતું. ત્રણેય ભાઈઓએ સ્નાન કર્યું અને જટા ખોલવામાં આવી, વસ્ત્ર અલંકાર ધારણ કર્યા, દિવ્ય સિંહાસન મંગાવ્યું. પૃથ્વીને સૂર્યને દિશાઓને માતાઓને ગુરુ વશિષ્ઠજીને, બ્રાહ્મણોને ,તથા અયોધ્યાની જનતાને પ્રણામ કરીને, પ્રભુ સિંહાસન પર બિરાજીત થયાં. વશિષ્ઠજીએ રામના ભાલમાં તિલક કર્યું, અને ગોસ્વામીજી એ લખ્યું.
પ્રથમ તિલક બશિષ્ઠ મુની કીન્હા,
પુનિ સબ બિપ્રન્હ આયસુ દિન્હા.
રાજારામનો અભિષેક થયો, અને બધી માતાઓ આરતી કરવાં લાગી, બ્રહ્મભુવનમાંથી ચારેવેદ રાજ દરબારમાં પધાર્યા, અને સ્તુતિ કરી ત્યારબાદ ભગવાન મહાદેવ રામરાજ્યમાં રામની છબીનું દર્શન કરવા માટે મૂળ રૂપમાં પધાર્યા.
ઉપનિષદનો આ મંત્ર રામને લાગુ પડે છે “એકો દેવ સર્વભૂતેષુ ગુરુઃ સર્વવ્યાપી, સર્વભૂતાન્તરાત્મા કર્માધ્યક્ષઃ સર્વભૂતાધિવાસ સાક્ષી ચેતા કેવલો નિર્ગુણશ્વ”
શિવજી ભગવાનની સ્તુતિ કરી રહ્યા છે, પરંતુ ભગવાન વ્યવસ્થા કરવાં લાગ્યા. આ મારા સખા છે, એને અહીં બેસાડો અને ત્યાં બેસાડો! અને ભગવાન શંકરની સ્તુતિ કરી રહ્યા છે કે, હું આપની સામે દિનહીન ઉભો છું. છતાં મને જોતા નથી! મહિપાલ બિલોજિત દિનજન! અંતમા શિવજી કહે છે “બાર બાર બર માગઉં હરષિ દેહુ શ્રીરંગ” ભગવાન શિવ કહે છે, મને પદ નથી જોઈતું, આપના ચરણ કમલની ભક્તિ મને આપો. ભક્તિની સાથે મને સદા સત્સંગ આપો! અને ત્યારબાદ “બરનિ ઉમાપતિ રામ ગુન હરષિ ગયે કૈલાશ” રામ ગુણ ગાયને કૈલાસ ગયાં. રામ રાજ્યની સ્થાપના થઈ! છ મહિના પછી બધાં મિત્રોને વિદાય આપી, પરંતુ હનુમાનજી એ અવધ છોડ્યું નહીં, રામ રાજ્યનું વર્ણન કર્યું, અને ઉત્તરકાંડનો ટૂંકમાં સાર કહી, નવમા દિવસની કથાને વિરામ આપ્યો.
લી. ફાલ્ગુની વસાવડા (ભાવનગર)
