સદગુરુ કૃપા હી કેવલમ.
પરિચય- ફાલ્ગુની વસાવડા.
શીર્ષક- ચિંતનની ક્ષણે.
મિત્રો- શુભ સવાર.
પરા અને અપરા પ્રકૃતિ આધીન જીવાત્મા નાં જીવનનો મુખ્ય ઉદ્દેશ રસ પ્રાપ્તિનો જ છે!
હે ઈશ્વર.
આપનાં શ્રીચરણોમાં મારાં સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. નિત્ય પ્રભાતે વ્હેતી ચિંતનની ધારા માટે ખૂબ બધાં પ્રતિભાવો આવે છે,ખાસ કરીને અહોભાવ હોય. મુખ્યત્વે બહેન તમે બહુ સરસ લખો છો! અમે નિયમિત વાંચીએ છીએ, ખૂબ આનંદ આવે છે. હવે પ્રતિકાત્મક રીતે આ વાતને વિચારીએ! તો ચિંતન શું ખાલી આટલાં માટે જ લખાય છે? ચિંતન સમાજમાં પડઘાતી હિંસાત્મક અશાંતિ બંધ કરવા માટે પ્રત્યેક વ્યક્તિનાં જાગરણનાં હેતુંથી લખાય છે! એટલે કે સદગુરુ આપણી સામે દર્પણ રાખે છે, અને આપણાં વિકૃત થતાં માનસને સમયસર સુધારવા માટેની આ જ યોગ્ય તક છે, એવું સૂચવે છે. કહેવાનું તાત્પર્ય એટલું જ કે લખાણ માત્ર વખાણવા માટે નથી, કંઈક બોધ ગ્રહણ કરવા માટે છે.બીજું પ્રશ્નો પણ ખૂબ આવે છે, કે શાસ્ત્રો આમ કહે છે! કે તેમ કહે છે! એટલે કે મનુષ્ય નિમિત્ત માત્ર છે, છતાં આપણે કર્મ બંધનની જાળમાં શું કામ ફસાઈએ છીએ! સર્વ પ્રથમ આ લેખ કેવળ સદગુરુ કૃપાના બળનું કારણ છે! એમાં લેખિકા પોતે વિદ્વાન છે, એવો કોઈ દાવો નથી! છતાં ક્યારેક સમજાય એવું ઉદાહરણ આપી સમજાવ્યું હોય, એનો મતલબ એવો નથી કે બહેનને બધી જ ખબર હોય! આજે મંગળવાર એટલે કે ગીતા જ્ઞાનનો દિવસે ભગવત્ ગીતાનાં સાતમા અધ્યાયનો ચોથા અને પાંચમા શ્લોકનું ચિંતન કરીશું. ગીતાનાં જ્ઞાન પર આજે સદગુરુ કૃપા જુદી રીતે પ્રકાશ પાથરશે!
ભૂમિરાપોઽનલો વાયુઃ ખં મનો બુદ્ધિરેવ ચ।
અહંકાર ઇતીયં મે ભિન્ના પ્રકૃતિરષ્ટધા॥ ૪॥
અપરેયમિતસ્ત્વન્યાં પ્રકૃતિં વિદ્ધિ મે પરામ્।
જીવભૂતાં મહાબાહો યયેદં ધાર્યતે જગત્॥ ૫॥
પૃથ્વી, જળ, અગ્નિ વાયુ, આકાશ, મન, બુદ્ધિ, અને અહંકાર, આ પ્રમાણે આ આઠ પ્રકારે વિભાગ પામેલી મારી પ્રકૃતિ છે, આ આઠ પ્રકારનો ભેદ તો અપરા એટલે કે મારી જડ પ્રકૃતિ છે, અને હે મહાબાહો આના સિવાયની જે છે, કે જેનાથી આ આખું જગત ધારણ કરાય છે, એને મારી જીવરૂપાપરા એટલે કે ચેતન પ્રકૃતિ તરીકે તું ઓળખ.
ભગવાન શ્રી કૃષ્ણ એ આ રીતે પરમ તત્વનાં ગુણ ભેદનુ વિશ્લેષણ કર્યું અને કહ્યું કે પ્રત્યેક જીવ વ્યક્તિગત કે સામુહિક રીતે અકર્તા છે! હવે એનાથી પણ સુક્ષ્મ સ્તરે એટલે પ્રત્યેક જીવમાં આત્મા રુપે અવિનાશી તત્વ છે! તો શું એ પણ આ આઠ જડ પ્રકૃતિ મુજબ જીવન જીવવા સ્વતંત્ર છે? કે પછી એની માટે સ્વતંત્રતા અને પરતંત્રતા નો શું અર્થ કરીશું?
આ આઠેય પ્રકૃતિ મળીને સમગ્ર ભૌતિક જગતનું નિર્માણ કરે છે. શરીર અને દુનિયામાં જે કંઈ દેખાય છે તે, આ અષ્ટધા પ્રકૃતિમાંથી બનેલું છે. હજી વધુ સૂક્ષ્મ રીતે સમજાવે છે કે શરીર, મન, બુદ્ધિ અને અહંકાર પણ આત્મા નથી; તે ભગવાનની જડ એટલે કે અપરા શક્તિના ભાગરૂપ છે.સાધક જ્યારે સમજે છે કે “હું શરીર નથી, મન નથી, બુદ્ધિ નથી કે અહંકાર નથી, હું તો ચૈતન્ય સ્વરૂપ આત્મા છું,” ત્યારે આધ્યાત્મિક યાત્રાની શરૂઆત થાય છે. પાંચમા શ્લોકમાં કહે છે, હે મહાબાહુ અર્જુન! આ આઠ જડ પ્રકૃતિ ઉપરાંત મારી બીજી પરા એટલે ચેતન પ્રકૃતિ છે, જે જીવાત્મા છે. આ જીવાત્માના કારણે જ સમગ્ર જગત ટકી રહ્યું છે અને કાર્ય કરે છે! આમ જડ અને ચેતન વચ્ચેનો સ્પષ્ટ ભેદ સમજાવે છે.
પરંતુ જીવ હજી પરા અને અપરા શકિતનો ભેદ સમજી શકતો નથી, માટે એને પ્રશ્ન થાય છે કે, પ્રત્યેક જીવમાં પરા અને અપરા પ્રકૃતિથી બનેલ અવિનાશી આત્મ તત્વ છે, તો શું જીવ ની એ અષ્ઠ પ્રકૃતિ સ્વતંત્ર છે કે પછી પરતંત્ર?
અવિનાશી આત્મા અષ્ટપ્રકૃતિથી બનેલો નથી. અષ્ટપ્રકૃતિ તો જડ છે, જ્યારે આત્મા ચેતન છે. જીવાત્મા અપરા પ્રકૃતિનો ઉપયોગ કરીને એટલે કે પંચ પ્રાણનો ઉપયોગ કરીને શરીર અને મન દ્વારા કાર્ય કરે છે. ગીતા અનુસાર અપરા પ્રકૃતિ સંપૂર્ણપણે પરતંત્ર છે. તે પોતાની મેળે કાર્ય કરતી નથી. તેને ચલાવનાર બે તત્ત્વ છે:
જીવાત્મા એટલે કે પરા પ્રકૃતિ રુપે શરીરને ચેતના આપે છે. પરમાત્મા જ સમગ્ર પ્રકૃતિનાં સર્વોચ્ચ નિયંતા છે. પરંતુ આપણો પ્રશ્ન જીવાત્મા સ્વતંત્ર છે કે પરતંત્ર? જીવાત્મા પૂર્ણ સ્વતંત્ર નથી, કે
સંપૂર્ણ પરાધીન પણ નથી.એટલે કે જીવ કર્મનો નિર્ણય લઈ શકે છે,પરંતુ કર્મનું ફળ, પ્રકૃતિનાં નિયમો, જન્મ-મરણ વગેરે તેનાં સંપૂર્ણ નિયંત્રણમાં નથી. આ બધું ઈશ્વરના નિયમ હેઠળ ચાલે છે.
દરેક જીવ વેદ સમજી શકે નહીં, એટલે વેદાંત એની જગ્યાએ છે, એટલે કે વાસ્તવિકતા ગમે તે હોય એનો વ્યવહારિક દ્રષ્ટિકોણ શું છે? સદગુરુ આપણને કંઈક જુદી રીતે સમજાવે છે, દાખલા તરીકે બીજને માટીમાં દાટવું એટલું જીવાત્મા કરી શકે, પણ એને અંકુરિત કરવું કે નહીં એ પરમાત્માનો નિર્ણય છે! હજી વધુ સૂક્ષ્મ જઈએ તો પ્રાથમિક અનૂકૂલન મળતાં અંકુરિત થવું, એ માત્ર જૈવિક વૃદ્ધિ છે, અને જે ફળ ફૂલ સુધી સિમિત છે. પરંતુ રસની વૃદ્ધિનો મામલો પરમાત્માનો છે! સદગુરુના બોધ
રુપેનો આ વિચાર ભારતીય દર્શનની મૂળ પરંપરાઓમાં ની એક છે, કે જીવનો પ્રયત્ન એટલે કે શ્રમ પછી તે વ્યવહારિક હોય કે આધ્યાત્મિક યાત્રાનું પરિણામ, પરમાત્માની કૃપા શક્તિ પર આધારિત છે. આ દ્રષ્ટિએ જોવામાં આવે તો કર્મ જીવ કરે છે, પરંતુ કર્મની સિદ્ધિ અનેક પરિબળો પર આધારિત છે, જેમાં ઈશ્વરીય વ્યવસ્થા પણ આવે છે. ભગવદ્ ગીતા મુજબ મનુષ્ય એકમાત્ર કર્તા નથી; કાર્યની સિદ્ધિ માટે અનેક કારણો કાર્યરત હોય છે.
જો “રસ”નો અર્થ વનસ્પતિનો જીવન રસ છે, તો વિજ્ઞાન વૃદ્ધિ સાબિત કરશે, આધ્યાત્મિક દૃષ્ટિએ પ્રશ્ન થાય છે કે આ જૈવિક નિયમોને ચલાવતું મૂળ ચૈતન્ય અને વ્યવસ્થા ક્યાંથી આવી?ત્યાં ઈશ્વરનું તત્ત્વ આવે છે. પણ “રસ”નો અર્થ જીવનની ચેતના, સૌંદર્ય, આનંદ અથવા દૈવી પ્રાણશક્તિ લઈએ, તો આ વાત ઉપનિષદોમાં પણ કહી છે. માત્ર રસાયણોથી જીવનનો અનુભવ સમજાવી શકાતો નથી; તેમાં ચૈતન્ય કાર્યરત છે, અને ગીતા પણ સતત એવો સંદેશ આપે છે કે, જીવ પ્રયત્ન કરી શકે છે, પરંતુ પ્રયત્નને ફળદાયી બનાવતી સર્વવ્યાપી શક્તિ પરમાત્માની છે. તેથી જ મનુષ્યને કર્મ કરવાનો અધિકાર છે, પરંતુ પરિણામ પર અધિકાર નથી. સદગુરુ કહે છે કે “રસ” એટલે, દૈવી આનંદ અને શાંતિ પ્રાપ્ત કરતી પૂર્ણતાને સિદ્ધ કરતું ચૈતન્ય. જીવ પુરુષાર્થ કરી શકે છે, પરંતુ દૈવી આનંદ ઉત્પન્ન કરી શકતો નથી. તે સાધના કરી શકે, અહંકાર ઓગાળી મનને શુદ્ધ કરી શકે, ભક્તિ થકી આત્મજ્ઞાન પ્રાપ્ત કરે. પરંતુ પરમ પૂર્ણતા શાંતિ, અને આનંદનાં અનુભવનું મૂળ પરમાત્મા છે. ભારતીય શાસ્ત્રોમાં પણ “રસ” એટલે સ્વાદ નહીં, પણ ઉપનિષદોમાં પરમ તત્ત્વને “રસો વૈ સઃ” તે પરમાત્મા જ રસ છે, એમ કહેવામાં આવ્યું છે. એટલે કે પરમાત્મા જ આનંદનું મૂળ સ્વરૂપ છે. દૈવી આનંદ માત્ર મનનાં પ્રયત્નથી ઉત્પન્ન થતો પદાર્થ નથી. તે મન શાંત થાય, અહંકાર ઓગળે અને પરમાત્મા સાથેનો સંબંધ પ્રગટ થાય ત્યારે અનુભવાય છે. જેમ કે સૂર્ય હંમેશાં પ્રકાશ આપે છે, પરંતુ જો બારી બંધ હોય, તો પ્રકાશ ઘરમાં પ્રવેશતો નથી. સૂર્યએ પ્રકાશ રોક્યો નથી; બારી ખોલવી કે ન ખોલવી એટલી સ્વતંત્રતા જીવને છે, અને એ રીતે પરમાત્માનો આનંદ સર્વત્ર છે. પરંતુ તેને અનુભવવા માટેની શુદ્ધ અંતઃકરણ રુપે બારી ખોલવી અવશ્ય છે. રસનું મૂળ પરમાત્મા છે, પરંતુ રસનો અનુભવ જીવની આંતરિક તૈયારીથી પ્રગટ થાય છે. તો પરા અને અપરા પ્રકૃતિ આધીન જીવાત્માના જીવનનો મુખ્ય ઉદ્દેશ રસ પ્રાપ્તિનો જ છે, પણ આપણે ભોગને રસ સમજી લીધો છે, અને એટલે મૂળ રસથી દૂર છીએ ! આ સત્યને અનુસરીને મૂળ રસ પ્રાપ્ત કરી શકીએ એવી એક અનન્ય પ્રાર્થના ઈશ્વર ચરણે રાખી હું મારાં શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું ફરી મળીશું નવાં ચિંતન મનન સાથે તો સૌને મારા આજનાં દિવસનાં સ્નેહ વંદન અને જય સીયારામ.
લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)
