પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળના મંડળ રેલ પ્રબંધક (ડીઆરએમ) શ્રી દિનેશ વર્માએ 11 જુલાઈના રોજ ધોળા–પોરબંદર રેલખંડનું વિસ્તૃત સંરક્ષા નિરીક્ષણ કર્યું. નિરીક્ષણ દરમિયાન રેલખંડમાં સંરક્ષા વ્યવસ્થા, સંરક્ષા સંબંધિત કાર્યોની પ્રગતિ, યાત્રી સુવિધાઓ, ટ્રેક, સિગ્નલ તથા દૂરસંચાર પ્રણાલી સહિત વિવિધ રેલવે સંપત્તિઓનું સઘન નિરીક્ષણ કરવામાં આવ્યું અને સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.
વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું કે નિરીક્ષણ બાદ મંડળ રેલ પ્રબંધકે પોરબંદર રેલવે સ્ટેશનનું પણ વિસ્તૃત નિરીક્ષણ કર્યું. આ દરમિયાન સ્ટેશન પર તાજેતરમાં પૂર્ણ થયેલા યાર્ડ રીમોડેલિંગના કાર્યોનું સૂક્ષ્મ પરીક્ષણ કરવામાં આવ્યું. તેમણે નવી યાર્ડ વ્યવસ્થા, સંચાલન ક્ષમતામાં થયેલા સુધારા, સંરક્ષા ધોરણોના પાલન તેમજ કાર્યની ગુણવત્તાનું અવલોકન કરીને સંબંધિત અધિકારીઓને આ સંપત્તિઓનું અસરકારક જાળવણી તથા સુરક્ષિત સંચાલન સુનિશ્ચિત કરવા માટે સૂચનાઓ આપી.
મંડળ રેલ પ્રબંધકે અમૃત સ્ટેશન યોજના હેઠળ પુનર્વિકસિત પોરબંદર રેલવે સ્ટેશનમાં પૂર્ણ થયેલા વિકાસ કાર્યોની પણ સમીક્ષા કરી. તેમણે યાત્રી સુવિધાઓ, સ્વચ્છતા, સંરક્ષા, સલામતી તથા વિવિધ વિભાગો વચ્ચેના સમન્વય સંબંધિત મુદ્દાઓનું નિરીક્ષણ કર્યું.
નિરીક્ષણ દરમિયાન મંડળ રેલ પ્રબંધકે અધિકારીઓને સૂચના આપી કે યાત્રિયોને સુરક્ષિત, સુગમ અને ગુણવત્તાસભર રેલ સેવાઓ ઉપલબ્ધ કરાવવી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે સંરક્ષા સંબંધિત તમામ વિકાસ તથા જાળવણીના કાર્યો નિર્ધારિત ધોરણો મુજબ સમયબદ્ધ રીતે પૂર્ણ કરવામાં આવે તેમજ રેલવે સંપત્તિઓના જાળવણી અને સુરક્ષિત સંચાલનમાં કોઈપણ પ્રકારની બેદરકારી ન રાખવામાં આવે.
આ પ્રસંગે મંડળના વિવિધ શાખા અધિકારીઓ તેમજ સંબંધિત વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા.
