સદગુરુ કૃપા હી કેવલમ.
પરિચય- ફાલ્ગુની વસાવડા.
શીર્ષક- પ્રાસંગિક.
એકમાત્ર સદગુરુ જ અભય પદનું દાન કરનારા છે! સ્વયં ઈશ્વર પણ નિયતિને આગળ ધરે છે!
હિંદુ સંસ્કૃતિ ઋષિ મુનિઓ અને સાધુ સંતોની ભૂમિ છે, એટલે કે સંન્યાસ, વૈરાગ્ય, એવાં શબ્દો આવે એટલે, સહજ આંખ આગળ ભગવો ભેખ ધારણ કરેલો હોય, એવો સન્યાસી દેખાય અને જેના વૈરાગ્યને કારણે તેનું ભાલ તેજથી ઝગારા મારતું હોય, અને તેના જ્ઞાનની કોઈ સીમા હોય નહીં, તથા કોઈપણ વિષયો પ્રત્યે તેની આસક્તિ ન હોય, એવા સંન્યાસીનું એક કલ્પનાચિત્ર દરેકના મનમાં આવી જાય છે, પરંતુ કબીર સાહેબ સંસારી હતાં અને તેનો વ્યવસાય તથા દેખાવ એકદમ સામાન્ય હતો,છતાં એ પરમ જ્ઞાનને પામી ગયા, અને એટલે કબીર સાહેબ એવાં સદગુરુને ચીંધે છે, જે આપણાં જેવાં સંસારી સાધકને વૈરાગી બનાવે છે, જેમાં વેશ મહતવનો હોતો નથી, વૃત્તિમાં વૈવિધ્યનો વૈરાગ્ય જ અધ્યાત્મ તરફ દોરી જાય છે, એ નિતાંત સત્યથી ભરેલ જ્ઞાન અનુભવે સિદ્ધ કરે છે. ગઈકાલે આપણે એમનાં પાંચ દોહા વિશે ચિંતન કર્યું આજે બીજા પાંચ દોહાનું ચિંતન કરીશું.
ગુરુ કીજૈ જાણિ કે, પાણી પીજૈ છાણિ;
બિના વિચારે ગુરુ કરે, પડે ચોરાસી ખાણિ.(૬)
જેમ પાણી પીતા પહેલાં તેને ગાળી લેવું જોઈએ, તેમ સામાન્ય ગુરુ (શિક્ષક) બનાવતા પહેલાં પણ તેના જ્ઞાન, ચારિત્ર્ય અને જીવનને સારી રીતે પરખવું જોઈએ. ઉતાવળમાં ગુરુ બનાવવાથી નુકસાન થઈ શકે. ખોટા ગુરુ જીવને સાચા માર્ગે લઈ જઈ શકતા નથી. જે ગુરુ પોતે જ અજ્ઞાનમાં હોય, તે શિષ્યને પણ ભટકાવે છે. પરિણામે જન્મ-મરણના ચક્રમાંથી મુક્તિ મળતી નથી, માટે વિશ્વાસ કરતાં પહેલાં વિવેક રાખવો.
ગુરુ સમાન દાતા નથી, યાચક શિષ્ય સમાન;
ત્રણ લોકની સંપદા, સો ગુરુ દીન્હી દાન.(૭)
ગુરુ જેવું દાન આપનાર બીજું કોઈ નથી, કારણ કે તે જ્ઞાન આપે છે. અને શિષ્ય જેવો સાચો માંગનાર પણ કોઈ નથી. ગુરુ શિષ્યને આત્મજ્ઞાન આપે છે, જે ત્રણેય લોકની સંપત્તિ કરતાં પણ શ્રેષ્ઠ છે. ભૌતિક સંપત્તિ નાશવંત છે, પરંતુ જ્ઞાન શાશ્વત છે.
ગુરુ પારસ કો અંતરો, જાણત છે સબ સંત;
વહ લોહા કંચન કરે, યહ કરે આપ સમાન.(૮)
પારસ પથ્થર લોખંડને સોનું બનાવી શકે છે, પરંતુ ગુરુ શિષ્યને પોતાના જેવો જ જ્ઞાની બનાવી શકે છે. સાચો ગુરુ માત્ર જીવનમાં સુધારો નથી લાવતો, પરંતુ શિષ્યમાં ચેતનાનું રૂપાંતર કરે છે. તે શિષ્યને આત્મસ્વરૂપનો અનુભવ કરાવે છે. ગુરુનું કાર્ય બહારનો બદલાવ નહીં, અંદરનું રૂપાંતર છે.
સતગુરુ મળ્યા તો જાણીએ, મિટે મોહ તન તાપ;
હરખ શોક વ્યાપે નહીં, ગુરુ રાખે આપ.(૯)
સાચા ગુરુ મળ્યાનું લક્ષણ એ છે કે મનની ચિંતા, મોહ અને દુઃખ ઓછાં થવા લાગે છે. જ્યારે સદગુરુનો ઉપદેશ હૃદયમાં ઉતરે છે, ત્યારે સુખ દુઃખ બંનેમાં સમતા આવે છે, મન સ્થિર બને છે, અને આત્મશાંતિ પ્રાપ્ત થાય છે.સદગુરુના આવવાથી જીવનમાં શાંતિ આવે છે.
પૂરા ગુરુની કરણીથી, પૂરું થાય સબ કામ;
કબીરા પૂરા ગુરુ મળ્યા, જપું નિરંતર નામ.(૧૦)
પૂર્ણ જ્ઞાની ગુરુનાં માર્ગદર્શનથી જીવનનાં મહત્વના કાર્યો સફળ થાય છે. સદગુરુ જીવને નામસ્મરણ, ભક્તિ અને આત્મજ્ઞાનનો માર્ગ બતાવે છે. તેથી જીવનનું પરમ લક્ષ્ય મોક્ષ પ્રાપ્ત થાય છે. ગુરુના માર્ગે ચાલવાથી જીવન સફળ બને છે.
નરસિંહ મહેતા મીરાં કબીર તુલસી જેવાં તત્વ ચિંતકોનાં જીવન વિશે આપણે જાણીએ જ છીએ! કે એમની જીવન યાત્રા કેટલી કઠિન રહી! આજે આપણે એમને આટલું માન આપીએ છીએ, પણ ત્યારે તો એમની પરીક્ષા જ થતી હતી! અને છતાં એમણે એમનું લક્ષ્ય સિદ્ધ કર્યું, અને એટલે જ કહેવાયું છે કે, સત્ય નો માર્ગ શૂરાનો! શૂરવીર હોય એ જ અધ્યાત્મમાં છેક સુધી હિમ્મત હારતાં નથી! અને આપણાં જેવાં માટે માર્ગ તરાશી જાય છે. એક સદગુરુ જ એવું તત્વ છે, જે શિષ્યને પોતાની તમામ વિદ્યા એવમ જ્ઞાન અને શક્તિ પ્રદાન કરી પોતાનાં જેવા જ બનાવે છે.
સદગુરૂ જીવનને આધ્યાત્મિક યાત્રા તરફ દોરનાર, એટલે કે સત્ ચિત્ આનંદ સ્વરૂપ તરફ લઈ જનાર તત્વ છે. સંતોષ, શાંતિ, અને આનંદ માટે કોઈપણ શારીરિક અવસ્થામાં લક્ષ્ય સુધી લઈ જનાર માત્ર સદગુરુ છે. શરણાગતનું અસ્તિત્વ જ સદગુરુ હોય છે, તેને તેના ચરણો સિવાય ક્યાંય રહેવું હોતું નથી. દેહમાં દેહી તરીકે જે આત્મા પડ્યો છે, તે તત્વને ઉજાગર કરી આત્મદીપ પ્રગટાવીને ખુદનું અજવાળું એટલું વધારવાનું છે, કે તે જ્યોતિથી આકર્ષાઈને પરમાત્મા ત્યાં આવશે, એ સત્ય સમજાવે છે. સાકાર બ્રહ્મ તરીકે સ્વીકાર્યું હતું તે રુપ કે સ્વરૂપની પણ ત્યાં તમા રહેતી નથી, એટલે કે આગ્રહ રહેતો નથી કે આ જ સ્વરૂપે ઈશ્વર મળે. હૃદયમાં સત્ય પ્રેમ અને કરુણાનાં ભાવની પરાકાષ્ઠાએ જગતનાં કણકણમાં તેના દર્શન કરી, દિવ્ય અનુભૂતિ કરે છે. મૃત્યુનો સીધો સાદો અર્થ કરીએ તો મોહ, માયા, મમતા માંથી મુક્તિ, એટલે કે દેહ પ્રત્યેની મમતા, પરિવાર તરફની મમતા, રૂપિયા-પૈસાની માયા, અને રૂપ સ્વરૂપનો મોહ, આ બધું જ દેહ સાથે સમાપ્ત થાય છે. પરંતુ સદગુરૂ આપણાં જીવતાં જ આ બધામાંથી મુક્ત કરી જીવન મોક્ષ તરફ દોરી જનાર છે. સમાધિ એટલે શું? માત્ર ઇન્દ્રિયોની સુષુપ્ત અવસ્થા? કે ફક્ત બેઠા રહેવું એ? એક જગ્યાએ બેઠા રહેવું એમ નહીં, પણ ઈન્દ્રિયો અસ્તિત્વ સંચાલિત બને, તેને પણ સમાધિ કહેવામાં આવે છે. શિષ્ય જયારે ત્રણે ગુણ અને ત્રણે કાળને સદગુરુ ચરણે મૂકીને નિર્ભાર થાય છે, ત્યારે અસ્તિત્વ તેને નિમિત્ત બનાવીને કાર્ય કરે, એને પણ સમાધિ કહે છે. ટૂંકમાં સદગુરુની કોઈ પણ વ્યાખ્યા આપણે કરી શકીએ નહીં, આ તત્વને સમજવા મથીએ, એમ એનું રહસ્ય ગુઢ થતું જાય, અને એટલે જ નરહરિ રૂપ તારીકે તેને લોકમાનસે સ્વીકાર્યા છે. સદગુરૂ એ કોઈ વ્યક્તિ નથી, સકળ અસ્તિત્વ છે, જે અસ્તિત્વના બધાં રહસ્ય જાણતાં હોવા છતાં, પોતાની એક પણ સિદ્ધિનો ઉપયોગ કરતાં નથી. સદગુરૂ વિરલ વ્યક્તિત્વની ખાણ છે. તેના મસ્તકથી શરૂ કરી અને ચરણનાં નખ સુધી બધાં જ અંગ શુભ તરફ ગતિ કરનાર, અને તેની સાથે જોડાયેલા તમામને શુભ મંગલ તરફ દોરનાર છે. જ્યાં આગળ ભલભલાનાં શબ્દ નિધિ ખૂટી જાય, એટલી કૃપાથી ભરેલ કૃપા સિંધુ છે. શિષ્યનો પડછાયો બની સતત તેની સાથે ચાલે છે, પણ શરુંમાં સદગુરુ શિષ્યને એટલા બધા પરાજય અપાવે છે, કે પછી તેને પાસે હારવા માટે કંઇ રહેતું જ નથી, અને ત્યાંથી જ સાચી જીતની શરૂઆત થાય છે. ત્રણ ગુણ અને ત્રણ કાળ તો, પહેલેથી જ તેણે સદગુરુ ચરણે મૂકી દીધા છે. હવે તેની પાસે રમવા, જમવા, કે સુવા માટે કોઈ જ ગુણ બાકી રહેતો નથી, એટલે કે ભોગ કે વિષયનો એક પણ ગુણ ના રહેતા તે, ત્રિગુણાતીત તરફ ગતિ કરે છે. સદગુરૂ અસ્તિત્વની એકમાત્ર એવી વ્યવસ્થા છે, જે શિષ્યને અભય પદ દાન કરે છે! સ્વયં ઈશ્વર પણ આ દાન આપી શકતાં નથી. અભય પદ એટલે એવું પદ કે જે શિષ્યને પાપ પુણ્ય માંથી મુક્તિ આપે, અને આ અભયપદ જન્મો જન્મ તેની સાથે આવે છે. શિષ્યના વાણી વિચાર અને વ્યવહાર પર સંયમનું આચરણ કરાવીને એની બુદ્ધિને સ્થિતપ્રજ્ઞ કરાવનાર સદગુરુની વાણી જ અગમવાણી છે. સદગુરુ વિશે તો લખવામાં શબ્દો પણ ખૂટી જાય, છતાં જીવ તેનો મહિમા ગાન કરી શકે નહીં, એટલી ઉપલબ્ધિ પામેલાં મારા સમર્થ સદગુરુનાં ચરણોમાં ફરીથી કોટી કોટી વંદન. જય સીયારામ.
લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)
