
ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા “રાષ્ટ્રીય શિક્ષક દિન” નિમિત્તે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી (અમદાવાદ શહેર પૂર્વ, પશ્ચિમ અને ગ્રામ્ય) ના સંયુક્ત ઉપક્રમે જિલ્લાકક્ષાનો ‘શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ’ ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી ઓડીટોરીયમ, વસ્ત્રાલ ખાતે ભવ્યતાપૂર્વક યોજાઈ ગયો. આ કાર્યક્રમ અમદાવાદ શહેરના માનનીય મેયરશ્રી હિતેશભાઈ બારોટના અધ્યક્ષ સ્થાને તથા અમદાવાદ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સુરજીતસિંહ ગોહિલના મુખ્ય મહેમાન પદે યોજાયો હતો.
ગુજરાત સરકારની પ્રેરણાથી પ્રતિવર્ષ યોજાતા આ કાર્યક્રમ અંતર્ગત શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ અને નિષ્ઠાવાન કામગીરી કરનારા શિક્ષકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં મ્યુનિ. સ્કૂલ બોર્ડના ૩૦ શિક્ષકો અને જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ૪ શિક્ષકો મળીને કુલ ૩૪ શિક્ષકો અને આચાર્યોને મેયરશ્રી તથા અન્ય મહાનુભાવોના હસ્તે શાલ, સન્માનપત્ર, પ્રશસ્તિપત્ર અને ધનરાશિ અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. અમરદીપ હાઇસ્કૂલના પ્રિન્સીપાલ અને લેખક ડૉ. હેમંત ઓઝા દ્વારા લિખિત ‘ભારતીય શિક્ષણનો ઇતિહાસ’ પુસ્તકનું વિમોચન માન.મેયરશ્રી હિતેશભાઈ બારોટ અને અન્ય મહાનુભાવોના વરદ્ હસ્તે કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, રાષ્ટ્રીય કક્ષાએ NIEPA (ન્યુ દિલ્હી) દ્વારા નેશનલ એવાર્ડ મેળવવા બદલ સ્કૂલ બોર્ડના ત્રણ અધિકારીઓ ડૉ.પરિમલ પટેલ, ડૉ. દિનેશ દેસાઈ અને ડૉ. નિમિષાબેન ચૌહાણનું પણ વિશેષ બહુમાન કરાયું હતું.
અતિથિ વિશેષ પદેથી અમદાવાદ પૂર્વના સંસદસભ્ય શ્રી દિનેશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, “શિક્ષક એ સાચા અર્થમાં રાષ્ટ્ર નિર્માતા છે.” પરંતુ શિક્ષણની ગુણવત્તાએ આપણા સૌની સહિયારી જવાબદારી છે તેના પર ભાર મૂક્યો હતો અને મ્યુનિસિપલ શાળાઓમાં અપાતા ગુણવત્તા અને ટેકનોલોજી યુકત શિક્ષણને કારણે ખાનગી શાળાઓમાંથી મ્યુનિ. શાળાઓમાં વધી રહેલા વિદ્યાર્થીઓના પ્રવાહ બદલ સ્કૂલ બોર્ડની કામગીરીને બિરદાવી હતી.
કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી બોલતા મેયરશ્રી હિતેશભાઈ બારોટે જણાવ્યું હતું કે, “શિક્ષકની સકારાત્મકતા સમાજને યોગ્ય દિશા આપે છે અને શિક્ષક જ ભવિષ્યના ભારતનું નિર્માણ કરનાર છે.” તેઓએ વડાપ્રધાનના ગુરુ પૂજન કાર્યક્રમના પ્રસંગને યાદ કરતા ચાણક્યના વાક્યને ચરિતાર્થ કરતા ગુરુઓ વિષે સન્માન ભાવ વ્યક્ત કર્યો હતો. શિક્ષક વિદ્યાર્થીઓને દિશાદર્શન કરનાર અને પથદર્શક હોય છે. ખાસ કરીને મેયરશ્રીએ પોતાના મનનીય પ્રવચનમાં મ્યુનિ. સ્કૂલ બોર્ડ દ્વારા ડ્રોપઆઉટ બાળકો માટે વિશિષ્ટ કામગીરી કરનાર, શિક્ષણક્ષેત્રે ઉત્કૃષ્ઠ કામગીરી કરનાર અને શાળાઓમાં એલ્યુમની કનેક્ટ સ્કીમ અંતર્ગત સૌથી વધુ લોક સહકાર મેળવનાર ૩૦ શિક્ષકોને સન્માનિત કરી શુભકામનાઓ પાઠવી હતી. વધુમાં આગામી સમયમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલબોર્ડની શાળાઓને વધુ અદ્યતન કરવાની તથા શાળાઓમાં માધ્યમિક સુધીનું શિક્ષણ મળે તે દિશામાં વિચારણા હાથ ધરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા બેક-ટુ-સ્કૂલ અભિયાન સમગ્ર રાજ્યમાં ચલાવવામાં આવ્યું હતું તેમાં માન.મ્યુનિ. કમિશનરશ્રી બંછાનીધી પાનીના ઉમદા માર્ગદર્શનથી ૯૦% કરતાં વધુ બાળકોને શાળા સુધી પરત લાવવામાં સફળતા મળી છે. બાકીના અનટ્રેક બાળકોને પણ શાળા સુધી લાવવા માટે પ્રયત્નશીલ શિક્ષકો પૈકી બેક-ટુ-સ્કૂલ અભિયાનમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર શિક્ષકોનું બહુમાન આજ રોજ કરવામાં આવ્યું હતું.
આ ગૌરવશાળી સમારોહમાં મેયરશ્રી હિતેશભાઇ બારોટ, પ્રમુખ અમદાવાદ જિલ્લા પંચાયત શ્રી સુરજીતસિંહ ગોહિલ, અમદાવાદ પૂર્વના સંસદસભ્યશ્રી દિનેશભાઈ મકવાણા, ધારાસભ્યશ્રી બાબુભાઇ પટેલ, ધારાસભ્યશ્રી અમિતભાઈ શાહ, ધારાસભ્યશ્રી ડો. હસમુખભાઈ પટેલ, ધારાસભ્ય શ્રીમતી કંચનબેન રાદડિયા, શાસકપક્ષ નેતાશ્રી જશુભાઈ ઠાકોર, ચેરમેન ડો. સુજયભાઈ મહેતા, વાઇસ ચેરમેન શ્રી વિપુલભાઇ સેવક, ચેરમેન જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી સાગરભાઇ સોલંકી, અ.મ્યુ.કો.ની વિવિધ કમિટીઓના ચેરમેન શ્રી ભાગ્યેશભાઇ પટેલ, શ્રી વિપુલભાઈ પટેલ, શ્રી હિતેન્દ્રભાઈ પરમાર, શ્રીમતી ડિમ્પલબેન પરિંન્દાની, શ્રી અંકિતભાઈ રાઠોડ સ્કૂલ બોર્ડ, શાસનાધિકારી ડૉ.એલ ડી. દેસાઈ, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી રોહિતભાઇ ચૌધરી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી જે.કે.પટેલ તેમજ મોટી સંખ્યામાં મ્યુનિ. કોર્પોરેટરશ્રીઓ, શિક્ષકો અને તેમના પરિવાર તથા બહોળી સંખ્યામાં શિક્ષણક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો ઉપસ્થિત રહ્યા હતા.
