સદગુરુ કૃપા હી કેવલમ.
પરિચય- ફાલ્ગુની વસાવડા.
શીર્ષક- પ્રાસંગિક.
કબીર સાહેબનાં ગુરુ પરંપરાને પૂરવાર કરતાં દોહા, સદગુરુ તત્વને કંઈ રીતે ઉદ્ઘાટિત કરે છે?
ગઈકાલે શિષ્યનાં અમૂલ્ય અહોભાવને વ્યક્ત કરતું પર્વ ગયું! સૌએ પોતપોતાની શ્રદ્ધા પ્રમાણે ગુરુ વંદના કરી. સૌપ્રથમ તો આપણે જોયું એમ સદગુરૂ એ આપણી પસંદ મુજબ નક્કી થતાં નથી, આ એક અસ્તિત્વની પૂર્ણ ને પરમ વ્યવસ્થા છે. તદુપરાંત સદગુરુ પોતે ક્યારે ગુરુ છે, એવું જતાવતા નથી, તે એક સંપૂર્ણ જ્ઞાની સાધુ તરીકે જીવે છે. તે સંસારી પણ હોઇ શકે, અને સન્યાસી પણ હોઈ શકે. તેની કોઈ પણ અવસ્થા કે કક્ષા એ સાધક માટે બાધ્ય હોવી જોઈએ નહીં, એટલે કે તેનાથી શિષ્ય કે સાધકને ફેર પડવો જોઇએ નહીં. મોટેભાગે સૌથી વધુ અહીં જ સમસ્યા થતી હોય છે, એટલે કે એ સદગુરુ જો સંસારી હોય તો, સાધક તેનાં વ્યવહાર પરથી વારેવારે એમ વિચારે કે, આ શું મને ઈશ્વરનો ભેટો કરાવશે? અને તેનો ભરોસો ડગતો દેખાય. જેટલી જેટલી વાર સાધક કે શિષ્યના મનમાં આ પ્રકારના વિચાર આવે, એટલો તે સદગુરુ તત્વથી હજી દૂર છે, એવું સાબિત થાય. વચનની તો પછી વાત આવે, પહેલા ગુરુની દિનચર્યા અને વ્યવહારોમાં પણ ભરોસો રાખવો પડે. કારણ કે તેનું જાહેરમાં જીવન અલગ હોય છે, અથવા તો એવી કક્ષાએ પહોંચ્યા હોય કે, જ્યાં તેને કોઈપણ પ્રકારનાં ભોગ હલાવી શકે નહીં. ઇશ્વર સાથેનું તેનું અનુસંધાન કોઈ કાળે તૂટે નહીં. આવાં ગુરુ તત્વને નરસિંહ મહેતા, મીરાં, કબીર, અને તુલસી, જેવાં ઘણાં તત્વ ચિતંકો એ લોક પાચ્ય બનાવતાં પદ,ભજન, કીર્તન, અને દોહા આપી લોક સાહિત્યને વૈભવી બનાવ્યું છે. નરસિંહને તો આપણે છેલ્લા બે વર્ષથી દર ગુરૂવારે આત્મસાત કરીએ જ છીએ! પરંતુ સંત કબીર કે કબીર સાહેબના નામે ગુરુ ભક્તિનાં પારાવાર પૂરાવા આપતાં દોહા છે, તો આ બે દિવસ આપણે હજી સદગુરુ તત્વ પર ચિંતન કરીશું.
૧)ગુરુ ગોવિંદ દોઉ ખડે, કાકે લાગું પાય?
બલિહારી ગુરુ આપને, ગોવિંદ દિયો બતાય.
જો ગુરુ અને ભગવાન બંને સામે ઉભા હોય તો પહેલા ગુરુને પ્રણામ કરવા જોઈએ, કારણ કે ગુરુએ જ આ ભગવાન છે એમ પરિચય કરાવ્યો.આધ્યાત્મિક રીતે કહીએ તો
પરમાત્માની પ્રાપ્તિનો માર્ગ સદગુરુ બતાવે છે. કારણ કે મનુષ્ય ભગવાનને મંદિર અને મૂર્તિ માં જ શોધતો હોય છે,પણ સદગુરુ જ એને એની આસપાસ વસતા સર્વમાં પણ એ જ ઈશ્વર છે એનો અનુભવ કરાવે છે! આમ ગુરુ વિના ઈશ્વરનું સાચું સ્વરૂપ સમજવું અઘરું છે. તેથી ગુરુ ઈશ્વર સુધી પહોંચાડનાર સેતુ છે.
૨)ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મળે ન ભેદ;
ગુરુ બિન સંશય ના મિટે, જય જય શ્રી ગુરુદેવ.
શિક્ષક કે માર્ગદર્શક વિના સાચું જ્ઞાન મળતું નથી અને મનની મૂંઝવણ દૂર થતી નથી.
આધ્યાત્મિક રીતે મૂલવીએ તો, સદગુરુ જ ખુદની અંદર શ્વસતા આત્મા અને પરમાત્મા એક જ છે એ રહસ્યનો ભેદ સમજાવે છે. તેમણે કરાવેલ અનૂભૂતિથી અજ્ઞાન અને સંશયનો અંત આવે છે.
૩)સબ ધરતી કાગદ કરું, લેખની સબ બનરાય;
સાત સમુદ્ર કી મસી કરું, ગુરુ ગુણ લખા ન જાય.
આખી ધરતી કાગળ બની જાય અને સાત સમુદ્ર શાહી બની જાય તો પણ સદગુરુ નાં ગુણ આલેખી શકાય નહીં.આધ્યાત્મિક રીતે મૂલવીએ તો સદગુરુની કૃપા અનંત છે, દસે દિશામાં પ્રકાશ ફેલાવે છે. તેમણે આપેલું જ્ઞાન અને ચેતનાનો પ્રકાશ ક્યારેય શબ્દોમાં પૂર્ણ રીતે વ્યક્ત થઈ શકતો નથી.
૪)ગુરુ કુંભાર શિષ્ય કુંભ છે, ગઢી ગઢી કાઢે ખોટ;
અંદર હાથ સહાર દે, બહાર મારે ચોટ.
ગુરુ શિષ્યના દોષ દૂર કરે છે. ક્યારેક કડક બને છે, પણ અંદરથી પ્રેમ અને સહારો આપે છે.
આધ્યાત્મિક રીતે મૂલવીએ તો સદગુરુ શિષ્યના અહંકાર અને અજ્ઞાનને દૂર કરવા માટે ક્યારેક કુંભાર જેમ બહારથી થપાટ મારે છે એટલે કે એને એવા અનુભવની એરણે ચડાવી તેને આત્મજ્ઞાન માટે તૈયાર કરે છે! અને તૂટી ન જાય એટલે અંદરથી સહારો પણ આપે છે.
૫)જાકા ગુરુ છે આંધળા, ચેલા ખરા નિરંધ;
આંધા આંધા ઠેલિયા, દોઉ કૂપ પડંત.
જો માર્ગદર્શકને જ સાચો માર્ગ ખબર ન હોય તો તે પોતે પણ ભટકે અને બીજાને પણ ભટકાવે.
આધ્યાત્મિક રીતે મૂલવીએ તો અપૂર્ણ ગુરુ પોતે આંધળો હોય એ રીતે અજ્ઞાન ને દોહરાવે છે! મતલબ કે અહંકાર અને અહમ જ જ્ઞાનનો દુશ્મન છે એવું સમજાવવાની બદલે અહંકાર ને પોષણ આપે છે. આવા ગુરુનો આશ્રય લેનાર શિષ્ય પણ આત્મજ્ઞાનથી વંચિત રહે છે.
ઈશ્વર તત્વને ને સ્વીકારવું કે ન સ્વીકારવું! એ કદાચ મનુષ્યનો અંગત પ્રશ્ન હોય, પણ જો એને અધ્યાત્મ માર્ગે સફર ખેડવી હોય અને જીવ શિવનાં અસ્તિત્વને જીવતાં જ જોવું, જાણવું, અને માણવું, હોય તો એની પાસે સદગુરુ કૃપા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી, આ માર્ગ એવો છે, જ્યાં માત્રને માત્ર કોઈની આંગળી પકડીને જ પહોંચી શકાય છે! કારણ કે માહિતીને આધારે સફર તો આપણે તય કરીએ! પરંતુ આ એ જ છે જેને તું શોધે છે, એવું પ્રમાણપત્ર મળે નહીં ત્યાં સુધી ઈશ્વર પણ ઓળખાતો નથી! સદગુરુ ઈશ્વર વિશેની આપણી તમામ કલ્પના અને ધારણાને જડ મૂળથી દૂર કરી નાંખે છે, અને છતાં જેનું દર્શન કરાવે છે, એને શરીરનું એક એક રુંવાડુ ઈશ્વર તરીકે સ્વીકારે છે. માટે જ આવાં સદગુરુનો મહિમા ગાવા માટે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ મનાવવામાં આવે છે. ભારતીય વૈદિક શાસ્ત્રોમાં સંન્યાસી માટેની ખૂબ અર્થ પૂર્ણ માહિતી ભરી પડી છે! પરંતુ સંન્યાસ હોય કે સંસાર શિખર સુધી દોરનાર તો સદગુરુ જ છે! અને સંસારીને તો પોતાનાં શરીરનાં નવ દ્વારમાં આસપાસનાં દૂષિત સમાજમાંથી કોઈ વિકાર ઘૂસી જાય નહીં એનું ધ્યાન રાખવાનું છે! અને ક્યારેક ક્યારેક તો સુખ નામે ભોગવાતા પદાર્થો જ અંદર જઈ ઝેર ફેલાવે છે! એટલે કે વિકાર વધારે છે! અધ્યાત્મ ને વિજ્ઞાન કહેવામાં આવ્યું છે, અને એટલે જ આ વિકારો વિકાસ માટે બાધારૂપ બને છે, અને જ્યાં સુધી એની આડઅસર માંથી બહાર આવીએ નહીં, ત્યાં સુધી આગળ વધવું મુશ્કેલ છે! સદગુરુ અહીં દરેક દ્વાર પર શિસ્ત, સંયમ, નિયમ, ધીરજ, અને જાગૃતિનું સુક્ષ્મ તાળું મારે છે, અને જો શિષ્ય સફળ થાય તો વિદ્યા આપી વિદ્વાન બનાવે છે, અને આ વિદ્યા પણ દિપક જેમ સ્વયંને પ્રકાશિત કરી શકે છે, એવું જ્ઞાન આપે છે. સદગુરુ આકાશગંગાનો એવો ગ્રહ છે, જે ક્યારેય શિષ્યને નડતો નથી, અને બીજા ગ્રહ નડે નહીં એ માટે એ ક્યારેક અવકાશી ગ્રહને અનૂકૂળ કરે, અને ક્યારેક શિષ્યનું સ્થાન બદલી એને અનૂકૂળ કરે છે. ટૂંકમાં સદગુરુની કૃપા વગર આપણે આપણા ખુદનાં અસતિત્વને ઓળખી શકતા નથી, અને માટે મનુષ્ય તરીકે જન્મ પામ્યા છતાં મુક્તિ, મોક્ષ, કે નિર્વાણથી દૂર રહી! સતત ભોગમાં રત રહીને લૌકિક મૃત્યુ કે જે અત્યંત કષ્ટ દાયક છે, એનું વરણ કરીએ છીએ.જય સીયારામ.
લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)
