પીએનસી ઈન્ફ્રાટેક લિમિટેડે એક્સચેન્જને આપેલી માહિતીમાં જણાવ્યું છે કે, કંપની તેના દરેક પ્રોજેક્ટ્સના નિર્માણ, સંચાલન તથા જાળવણીમાં હંમેશા સલામતી અને શ્રેષ્ઠ ગુણવત્તાને કેન્દ્રમાં રાખીને જ કામ કરે છે.
કંપનીએ વધુમાં જણાવ્યું છે કે, તે આ વિષય સાથે જોડાયેલી કોઈપણ બાબતને ખૂબ જ ગંભીરતાથી ધ્યાનમાં લે છે. કંપનીના જણાવ્યાં અનુસાર, “અમે વર્ષોથી દેશભરમાં હાઇવે અને અન્ય માળખાકીય સુવિધાઓનું નિર્માણ તથા સંચાલન કરી રહ્યાં છીએ અને નિર્ધારિત ધોરણો મુજબ ડિલિવરી આપવાનો અમારો સફળ ટ્રેક રેકોર્ડ રહ્યો છે.”
પીએનસી ઈન્ફ્રાટેકે સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે, નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) દ્વારા કંપનીને ‘બ્લેકલિસ્ટ’ કરવામાં આવી નથી કે ‘નોન-પરફોર્મર’ જાહેર કરાઈ નથી.
કાનપુર-લખનૌ એક્સપ્રેસવે પ્રોજેક્ટ સંદર્ભે એનએચએઆઈના પત્ર અને મીડિયામાં વહેતા થયેલાં કેટલાંક અહેવાલો પગલે કંપનીએ આ સ્પષ્ટતા કરી છે.
પીએનસી ઈન્ફ્રાટેક લિમિટેડની પેટાકંપની ‘અવધ એક્સપ્રેસવે પ્રાઇવેટ લિમિટેડ’ (જે આ પ્રોજેક્ટનો પરવાનો ધરાવે છે) ને ઉત્તર પ્રદેશમાં હાઇબ્રિડ એન્યુઇટી મોડ પર આધારિત ‘કાનપુર-લખનૌ એક્સપ્રેસવે પ્રોજેક્ટ – પેકેજ 2’ના બાંધકામ માટે ફાઇનલ કમ્પ્લીશન સર્ટિફિકેટ મળી ગયું છે. આ પ્રોજેક્ટ 6-લેનનો છે, જેને ભવિષ્યમાં 8-લેન સુધી લંબાવી શકાય છે.
કંપનીના જણાવ્યા મુજબ, તાજેતરમાં થયેલા સતત અને મુશળધાર વરસાદને કારણે પ્રોજેક્ટના કેટલાક ચોક્કસ ભાગોની સ્થિતિ પર અસર પડી છે. વરસાદને લીધે રસ્તાના અમુક મર્યાદિત અને છૂટાછવાયા વિસ્તારોમાં નુકસાન જોવા મળ્યું છે.
કંપનીએ વધુમાં ઉમેર્યું હતું કે, નિયમિત જાળવણીની જવાબદારીના ભાગરૂપે પરવાનેદારે તાત્કાલિક પગલાં લીધાં છે અને નુકસાન પામેલા મોટાભાગના વિસ્તારોનું સમારકામ પૂરું કરી દીધું છે. જ્યારે બાકીના થોડાક ભાગોમાં પણ રિપેરિંગનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે.”
સ્ટોક એક્સચેન્જને આપેલી માહિતી મુજબ, નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદના 15 વર્ષ સુધી રસ્તાઓની જાળવણી કરવાની જવાબદારી હેઠળ પરવાનેદારે હાલમાં ચાલી રહેલા તમામ સમારકામ ખર્ચનું બજેટ પહેલેથી જ ફાળવી દીધું છે.
આ બાબતથી કંપનીની કામગીરી અથવા તેના અન્ય પ્રોજેક્ટ્સના અમલીકરણ પર કોઈ નકારાત્મક અસર પડી નથી. કંપની નવા પ્રોજેક્ટ્સની બોલીઓમાં અગાઉની જેમ જ ભાગ લઈ શકશે તેમ કંપનીએ સ્પષ્ટ કર્યું છે.
