
ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને નિકોલ વિધાનસભાના ધારાસભ્યશ્રી જગદીશભાઈ વિશ્વકર્માના અધ્યક્ષ સ્થાને અને માર્ગદર્શનથી ઓઢવ વિસ્તારમાં આવેલ ઓઢવ ગુજરાતી શાળા નં. ૩ ખાતે મ્યુનિસિપલ શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે “બાળકોના વ્યક્તિત્વ વિકાસ” કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો. આ કાર્યક્રમ પોઇસીસ એચીવમેન્ટ ફાઉન્ડેશન અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે આયોજિત કરવામાં આવ્યો છે.
માન.પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઇ વિશ્વકર્માજીએ પોતાના ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે, માન.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ દ્વારા અમલમાં મુકવામાં આવેલ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ (NEP) મુજબ વિદ્યાર્થીઓનો સર્વાગીણ વિકાસ થાય તે માટે વિદ્યાર્થીને શાળાકક્ષાએ શીખવાની વધુમાં વધુ તકો આપવી આવશ્યક છે. પ્રાથમિક શિક્ષણ કક્ષાએ વિદ્યાર્થીઓનો માનસિક વિકાસ થાય તેવા અનુભવો વિદ્યાર્થીઓને આપવાથી વિદ્યાર્થીઓની શક્તિનું ઉર્વીકરણ થાય છે. વિદ્યાર્થીઓના માનસિક વિકાસ માટે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ તેમજ અલગ અલગ એકસ્પોઝર આપવાથી વિદ્યાર્થીઓનો માનસિક વિકાસ શક્ય બને છે.નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ અને પોઇસીસ એચિવમેન્ટ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે નિકોલ વિધાનસભા વિસ્તારની મ્યુનિ. શાળાઓના વિદ્યાર્થીઓ માટે વ્યક્તિત્વ વિકાસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેનો શુભારંભઆજરોજ ઓઢવ ગુજરાત શાળા નં.૩ ખાતેથી કરવામાં આવ્યો. તબકકાવાર ૧૮-૧૮ વિદ્યાર્થીઓની બેચમાં સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.
નિકોલ વિધાનસભા વિસ્તારની મ્યુનિ. શાળાઓમાં “બાળકોના વ્યક્તિત્વ વિકાસ” કાર્યક્રમનું ઉદ્દઘાટન કરતાં પ્રદેશ અધ્યક્ષ અને ધારાસભ્યશ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ ગાંધીજીના જીવનનો પ્રસંગ ટાંકીને જણાવ્યું હતું કે, જે વાત આપણે પોતે ન અનુસરતા હોઈએ તે બીજાને ન કહેવાય. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે,વિકસિત ભારત બનાવવા માટે વાલીઓ અને શિક્ષકોએ પહેલા પોતાનું ઘડતર કરવું પડશે. આ ઉપરાંત, તેમણે બાળકોને સંકોચ વિના પ્રશ્નો પૂછવા, ડાયરી લખવા, ભૂલો સુધારે તેવા ‘રબર’ જેવા સચોટ મિત્રો બનાવવા અને 15 દિવસમાં શીખેલું અન્ય બાળકોને શીખવવાનું આહૃવાન કર્યું હતું.
માન.જગદીશભાઇ વિશ્વકર્માજીએ પોતાની આગવી શૈલીમાં બાળકો સાથે સંવાદ કરતાં વિદ્યાર્થીઓને પ્રતિજ્ઞા લેવડાવી હતી કે,….
• એક પણ દિવસ હું ગેરહાજર રહીશ નહીં.
• હું આ વર્ગ હશે ત્યારે સમયસર પહોંચવાનો પ્રયત્ન કરીશ.
• આ વર્ગમાં જેટલું શીખવવામાં આવશે તે તમામ વસ્તુ ડાયરીમાં લખીશ.
• બિલકુલ સંકોચ વિના ન આવડે તો હાથ ઊંચો કરી મનમાં ઉદભવેલા પ્રશ્નો વર્ગ પૂરો થયા પછી પૂછીશ.
• જેટલા દિવસ વર્ગ ચાલે તેટલા દિવસ હું શિસ્તથી જઈશ, પરત આવીશ, સાદી સરળ ભાષામાં મારી આજુબાજુ, મારા ઘરના, બીજા ભાઈ બહેનો, મારી આજુબાજુના મિત્રોને હું શીખવાડીશ.
માન.પ્રદેશ અધ્યક્ષશ્રીએ યુવાનો અને શિક્ષકોના રજીસ્ટ્રેશન માટે ઓનલાઇન રજીસ્ટ્રેશનની સુવિધા ઉભી કરીને રજીસ્ટર થયેલા યુવાનો અને શિક્ષકો પૈકી ૧૦૦ યુવાનો, ૧૦૦ શિક્ષકોને AMA (Ahmedabad Management Association)ના માધ્યમથી તાલીમ આપવાનું આહૃવાન કરેલ છે તેમજ પોઇસીસ એચિવમેન્ટ ફાઉન્ડેશનના ફાઉન્ડર શ્રીમતી બીનાબેન હાન્ડા દ્વારા તમામ ૪૬૦ મ્યુનિ. શાળાઓમાં વિદ્યાર્થીઓના વ્યક્તિત્વ વિકાસના કાર્યક્રમો કરવા જણાવેલ હતું.
સ્કૂલબોર્ડના ચેરમેનશ્રી ડૉ. સુજયભાઈ મહેતાએ પ્રાસંગિક ઉદ્દબોધનમાં માન.પ્રદેશ અધ્યક્ષશ્રીની પ્રેરણા અને પ્રોત્સાહનથી સ્કૂલ બોર્ડના વિદ્યાર્થીઓ માટે સમર વેકેશન કેમ્પ, AMA દ્વારા વિદ્યાર્થીઓ માટે તાલીમનું આયોજન, છેલ્લા ૧૫ વર્ષથી દર વર્ષે માં ફાઉન્ડેશનના સહયોગથી નિકોલ વિધાનસભામાં સમાવિષ્ટ તમામ મ્યુનિ. શાળાના ૧૮૦૦૦ વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ચોપડા વિતરણ કરવામાં આવે છે તેમજ આજ રોજ વિદ્યાર્થીઓના વ્યક્તિત્વ વિકાસ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવી રહ્યો છે, માન.પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ સ્કૂલ બોર્ડ ખાતે ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે હેલિકોપ્ટર મુસાફરી (જોય રાઈડ), AMA ખાતે તાલીમ અને ૧.૫૧ લાખ વિદ્યાર્થીઓ દ્વારા વડાપ્રધાનશ્રીના જન્મદિવસ નિમિત્તે કરાયેલા પત્ર લેખન જેવા કાર્યક્રમો બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
પોઇસીસ એચિવમેન્ટ ફાઉન્ડેશનના ફાઉન્ડર શ્રીમતી બીનાબેન હાન્ડાએ કાર્યક્રમની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે, આ વ્યક્તિત્વ વિકાસનો કાર્યક્રમ ૧૫ સેશન દરમિયાન અલગ-અલગ વિષયના નિષ્ણાંતોના માર્ગદર્શન હેઠળ યોજાશે, જેનાથી વિદ્યાર્થીઓમાં સારી ટેવોનું નિર્માણ થશે અને તેઓ એક આદર્શ નાગરિક બનવામાં મદદરૂપ થશે.
પ્રદેશ અધ્યક્ષ અને નિકોલના ધારાસભ્યશ્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં સંસદસભ્યશ્રી હસમુખભાઈ પટેલ,અમદાવાદ શહેર અધ્યક્ષશ્રી પ્રેરકભાઈ શાહ, ડે.મેયરશ્રી અંજુબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી કમલેશભાઈ પટેલ, શાસક પક્ષના નેતાશ્રી જશુભાઈ ઠાકોર, દંડકશ્રી અતુલ મિશ્રા, મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના ચેરમેનશ્રી ડૉ. સુજય મહેતા, ન.પ્રા.શિક્ષણ સમિતિના વાઈસ ચેરમેન શ્રી વિપુલ સેવક, સ્કૂલ બોર્ડના પદાધિકારી શ્રી પ્રજ્ઞેશભાઇ પટેલ, શ્રી અંકિતભાઇ રાઠોડ, અ.મ્યુ.કો,ની રેવન્યુ કમિટીના ચેરમેનશ્રી મુકેશભાઇ પટેલ, રીક્રીએશન કમિટીના ચેરમેનશ્રી જીતેન્દ્રભાઇ ખરચરિયા, ડે.મ્યુનિ.કમિશનરશ્રી આર.પી. જોષી, શાસનાધિકારીશ્રી ડૉ.એલ.ડી.દેસાઇ, ક્લેરિસ ગ્રુપના ફાઉન્ડર શ્રી સુશીલભાઈ હાંડા તેમજ પોઈસિસ એચિવમેન્ટ ફાઉન્ડેશનના ફાઉન્ડર શ્રીમતી બીનાબેન હાંડા, મ્યુનિ.કાઉન્સીલરશ્રીઓ, સ્કૂલ બોર્ડ સભ્યો અને મોટી સંખ્યામાં વાલીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
