જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા, એક પાકિસ્તાની સહિત 3 આતંકી ઠાર

0
13
જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ વિરુદ્ધ સુરક્ષાદળોનું અભિયાન તેજ થયું છે અને સુરક્ષાદળોને પુલવામામાં મોટી સફળતા મળી
જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ વિરુદ્ધ સુરક્ષાદળોનું અભિયાન તેજ થયું છે અને સુરક્ષાદળોને પુલવામામાં મોટી સફળતા મળી

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ વિરુદ્ધ સુરક્ષાદળોનું અભિયાન તેજ થયું છે અને સુરક્ષાદળોને પુલવામામાં મોટી સફળતા મળી છે. સેનાના જવાનોએ પુલવામા જિલ્લાના ચાંદગામ વિસ્તારમાં જૈશ એ મોહમ્મદના 3 આતંકીઓને ઠાર કર્યા છે. વહેલી સવારે દક્ષિણ કાશ્મીરના પુલવામામાં આતંકવાદીઓ સાથે સુરક્ષાદળોની અથડામણ શરૂ થઈ. જેમાં 3 આતંકીઓ માર્યા ગયા. આ તમામ જૈશ એ મોહમ્મદ ના આતંકી છે. માર્યા ગયેલા આતંકીઓમાંથી એક પાકિસ્તાની નાગરિક છે. કાશ્મીરના આઈજી વિજયકુમારે જણાવ્યું કે પુલવામાના ચાંદગામમાં અથડામણ દરમિયાન જૈશ એ મોહમ્મદના આતંકીઓને ઠાર કર્યા છે. જેમાંથી એક પાકિસ્તાની નાગરિક હતો.સુરક્ષાદળોને ગુપ્ત બાતમી મળી હતી કે પુલવામાના ચાંદગામ વિસ્તારમાં આતંકવાદી છૂપાયેલા છે. ત્યારબાદ અડધી રાતે ઓપરેશન શરૂ કરાયું. સુરક્ષાદળોએ આતંકીઓના શંકાસ્પદ ઠેકાણાને ઘેરી લીધુ અને તેમને બહાર આવવા જણાવ્યું. પરંતુ આતંકીઓએ ફાયરિંગ શરૂ કર્યું. ત્યારબાદ સુરક્ષાદળોએ પણ જવાબી ફાયરિંગ કર્યું અને આતંકીઓને ઠાર કર્યા. પુલવામા જિલ્લાના ચાંદગામ વિસ્તારમાં સેનાનું ઓપરેશન ચાલુ છે અને જવાનો સર્ચ અભિયાન ચલાવી રહ્યા છે. કાર્યવાહી બાદ સુરક્ષાદળોને આતંકીઓ પાસેથી બે M-4 કાર્બાઈન અને એકે સિરીઝની એક રાઈફલ મળી આવી છે. જમ્મુ અને કાશ્મીરમાં નવા વર્ષના પહેલા પાંચ દિવસમાં આ પાંચમુ એન્કાઉન્ટર છે. અત્યાર સુધીમાં 8 આતંકીઓ માર્યા ગયા છે. પહેલા થયેલા ચાર એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓ માર્યા ગયા હતા. 1 જાન્યુઆરીએ કૂપવાડામાં સુરક્ષાદળોએ એક આતંકી ઠાર કર્યો હતો. ત્યારબાદ 3 જાન્યુઆરીના રોજ શ્રીનગરમાં જવાનોએ લશ્કરના કમાન્ડર સલીમ પર્રેને માર્યો હતો. આ ઉપરાંત એક વિદેશી આતંકી પણ માર્યો ગયો હતો. 4 જાન્યુઆરીના રોજ કુલગામ એન્કાઉન્ટરમાં 2 આતંકી માર્યા ગયા. આજે વધુ 3 આતંકીઓ ઠાર થયા.