ગોવામાં હનીમુન બાદ સુરતમાં મળ્યું મોત: લક્ઝરી બસના ACનું કોમ્પ્રેશર ફાટતા લાગી હતી બિહામણી આગ

0
12
લગ્ન બાદ સુરતથી ગોવા ફ્લાઇટ બુક કરાવી હતી અને ગોવા ફરીને પરત સુરત આવ્યા બાદ લક્ઝરીમાં ભાવનગર પોતાને ઘરે જવા નીકળ્યા હતા.
લગ્ન બાદ સુરતથી ગોવા ફ્લાઇટ બુક કરાવી હતી અને ગોવા ફરીને પરત સુરત આવ્યા બાદ લક્ઝરીમાં ભાવનગર પોતાને ઘરે જવા નીકળ્યા હતા.

સુરત : ગઈકાલે રાતે સુરતના હીરાબાગ સર્કલ પાસે અચાનક બસના ACનું કમ્પ્રેસર ફાટતા બસમાં ભીષણ આગ લાગી હતી  આગ લાગવાની સાથે જ બસમાં અફરાતફરી સર્જાઇ હતી. લાગેલી આગે સેકન્ડોમાં જ બસને પોતાની ચપેટમાં લઈ લીધી હતી. આ ઘટનામાં એક મહિલાનું મોત થયું હતું અને અન્ય બે વ્યક્તિઓ ઘાયલ થયા હતા. આ ઘટનામાં જે મહિલાનું મોત નીપજયું હતું તે મહિલા અને તેનો પતિ હનીમૂન માટે  ફ્લાઇટથી ગોવા ગયા હતા અને પાછા સુરત આવીને રાજધાની ટ્રાવેલ્સમાં ભાવનગર જઇ રહ્યા હતા. ત્યારે આ ગોઝારી ઘટના બની હતી.ભાવનગરના રતાલ કોમ્પલેક્ષમાં રહેતા વિશાલ નવલાનીના લગ્ન થોડા સમય પહેલા જ તાનીયા નામની યુવતી સાથે થયા હતા. જે બાદ તેઓ બંને જણા ગોવા હનીમૂન મનાવવા ગયા હતા. તેઓએ સુરતથી ગોવા આવવા જવાની ફ્લાઇટ બુક કરી હતી. ભાવનગરથી તેઓ સુરતમાં આવ્યા અને બાદમાં સુરતથી તેઓ ફ્લાઈટમાં ગોવા ગયા હતા. મંગળવારે રાત્રે તેઓ ગોવાથી સુરત આવ્યા અને રાત્રે રાજધાની નામની લક્ઝરી બસમાં બેસી ભાવનગર પરત જવા માટે નીકળ્યા હતા. લક્ઝરી બસ વરાછાના હીરાબાગ પાસે હતી. ત્યારે અચાનક જ ACના કમ્પ્રેસરમાં બ્લાસ્ટ થતાં બસમાં ભીષણ આગ લાગી હતી  અને બસમાં બેસેલા મુસાફરોમાં નાસભાગ મચી ગઇ હતી.આ દરમિયાન વિશાલ સળગતી હાલતમાં બસની બારીમાંથી કુદી ગયો અને તેની પત્ની તાનિયા બસમાં ફસાઈ ગઈ હતી. જેના કારણે આ ભીષણ આગમાં તાનિયાનું મોત નીપજ્યું હતુ. જે બાદ વિશાલને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તે હાલમાં સારવાર હેઠળ છે.

આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે જેમાં જોઇ શકાય છે કે નવ વાગ્યે 35 મિનિટે બસ વરાછા મેઇન રોડ થી પસાર થાય છે અને નવ વાગ્યે 37 મિનિટે બસ વરાછા હીરાબાગ સર્કલ પાસે પહોંચે છે બસ હીરાબાગ પહોંચે ત્યાર જ તેની AC માં બ્લાસ્ટ થાય છે અને બસ ત્યાં ઝટકા ખાઈને બંધ થઈ જાય છે બસ માંથી ધુમાડા નીકળતા દેખાતા આજુબાજુના લોકો તરત જ બસમાં ફસાયેલા લોકોને બચાવવા માટે દુકાનોમાંથી દોડી જાય છે.

આ ઘટનામાં હાલ કાપોદ્રા પોલીસ તપાસ કરી રહી છે. બસમાં આગ કઈ રીતે લાગી તેના માટે ફોરેન્સિક ટીમની પણ મદદ લેવામાં આવશે. બસમાં રહેલા અન્ય મુસાફરો અને ડ્રાઇવરના નિવેદન લઈને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.