ત્રણ વર્ષે ટોટલ ધમાલથી ગરબે ઘૂમવા ખેલૈયાઓએ તૈયારીઓ કરી, પણ 26 સપ્ટે.થી 5 ઓક્ટો. નોરતાંમાં ફુલ વરસાદની આગાહી

0
8
અધિક અષાઢમાં નવરાત્રિ વહેલી આવી ગઈ
GMDC ગ્રાઉન્ડમાં મહેમાનો માટેની ખુરસીઓ ભરાયેલા ઘૂંટણસમા પાણીમાં તરવા લાગી હતી. આ કારણથી આયોજકોને ગરબા જ પડતા મૂકવા પડ્યા હતા.

અમદાવાદ : 2019માં ભારે વરસાદે ત્રીજા નોરતે જ અમદાવાદના ખેલૈયાઓને ઘરમાં બેસાડી દીધા હતા. ત્યાર બાદ સળંગ બે વર્ષ- 2020 અને 2021માં કોરોનાએ રંગમાં ભંગ પાડ્યો. હવે માંડ 3 વર્ષે ગરબાની મજા માણવાનો રૂડો અવસર આવ્યો છે, ત્યારે ફરી વરસાદ વિલન બનીને ત્રાટકી શકે છે. હવામાન વિભાગના વરતારા અનુસાર, ગુજરાતમાં ચોમાસું હજી પૂરું થયું નથી અને મોન્સૂન વિડ્રોઅલ, એટલે કે ચોમાસું પૂર્ણ થવાની તારીખો લંબાઈને હવે 11-13 ઓક્ટોબર થઈ શકે છે. આ સ્થિતિમાં વરસાદ આ વખતે પણ ખેલૈયાઓના રંગમાં ભંગ પાડી શકે છે. આ વર્ષે અષાઢ મહિનો અધિક હતો અને એને કારણે નવરાત્રિ વહેલી આવી ગયાનું મનાય છે. સામાન્ય રીતે નવરાત્રિ ઓક્ટોબર મહિનામાં હોય છે, પરંતુ આ વખતે સપ્ટેમ્બરના અંત ભાગમાં જ નવરાત્રિ બેસી જાય છે. બીજી તરફ, આ વર્ષે ચોમાસું 15 દિવસ મોડું હતું અને ચોમાસાનો પ્રારંભ જ 1 જુલાઈ પછી થયો હતો. આ કારણથી પાછોતરો વરસાદ પણ 15 દિવસ લંબાઈ શકે છે. આ કારણથી નવરાત્રિમાં આ વર્ષે પણ વરસાદ જોવા મળી શકે છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદીઓના ભાગે છેલ્લી વ્યવસ્થિત નવરાત્રિ 2019માં આવી હતી, પરંતુ તેમાંય વરસાદ વિલન બન્યો હતો. એ વખતે વાઈબ્રન્ટ ગુજરાતના ટૂરિઝમ વિભાગના ગરબાનું GMDC ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ બીજા અને ત્રીજા નોરતે જ એવો વરસાદ ખાબક્યો કે GMDC ગ્રાઉન્ડમાં મહેમાનો માટેની ખુરસીઓ ભરાયેલા ઘૂંટણસમા પાણીમાં તરવા લાગી હતી. આ કારણથી આયોજકોને ગરબા જ પડતા મૂકવા પડ્યા હતા.આગામી નવરાત્રિમાં વરસાદ પડશે કે કેમ એ અંગે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં હવામાન વિભાગના ગુજરાત ખાતેના ઈન્ચાર્જ ડાયરેક્ટર ડો. મનોરમા મોહન્તીએ જણાવ્યું હતું કે આનો પાક્કો ખ્યાલ અઠવાડિયા પછી આવી શકે. અત્યારે ગુજરાતમાં મોન્સૂન એક્ટિવ છે એ સિસ્ટમ પૂર્ણ થતાં ચાર-પાંચ દિવસ લાગી શકે. ત્યાર બાદ કોઈ નવી સિસ્ટમ ડેવલપ થાય છે કે કેમ અને સપ્ટેમ્બરના અંત તથા ઓક્ટોબરના આરંભમાં વરસાદ પડી શકે કે કેમ એનો ખ્યાલ અઠવાડિયા પછી જ આવી શકે.