ઉદયપુર ઘટના,દેશભરની અશાંતિ માટે નુપુર શર્મા જવાબદાર, TV પર આવીને માફી માંગે: SC

0
3
મહોમ્મદ પયગંબર પરની ટિપ્પણીને લઈને સુપ્રિમ કોર્ટે નુપુર શર્મા સામે કડક વલણ અપનાવ્યું છે.
દિલ્હી પોલીસને પણ ફટકાર :

નવી દિલ્હી : ભારતમાં અશાંતિ અને અરાજકતાનો માહોલ ઉભી કરનાર મહોમ્મદ પયગંબર પરની ટિપ્પણીને લઈને સુપ્રિમ કોર્ટે નુપુર શર્મા સામે કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે કડક શબ્દોમાં ઝાટકણી કરતા કહ્યું કે બીજેપીની પૂર્વ પ્રવકત્તા નુપુર શર્માએ કરેલ વિવાદિત ટિપ્પણીને કારણે સમગ્ર દેશનું સામાજિક સૌહાર્દ્ય ખરડાયું છે. સર્વોચ્ચ અદાલતે આજે નુપુર શર્મા અને નવીન જિંદાલ સામે થયેલ દેશભરના તમામ કેસોને સુપ્રિમ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે તેવી અરજીની સુનાવણીમાં કહ્યું કે નુપુર શર્માએ પયગંબર સામે કરેલ વિવાદિત ટિપ્પણી માટે સમગ્ર દેશની માફી માંગવી જોઇએ. શર્માએ ઓનસ્ક્રિન TV પર આવીને જાહેરમાં માફી માંગવી જોઈએ. નુપુરને ખતરો છે કે નુપુર શર્મા દેશની શાંતિ અને સુરક્ષા માટે ખતરો બની ગઈ છે? જે રીતે તેણીએ દેશભરમાં લાગણીઓ પ્રજ્વલિત કરી છે. દેશમાં જે થઈ રહ્યું છે તેના માટે આ મહિલા એકલા હાથે જવાબદાર છે. અમે ટીવી ડીબેટ જોઈ છે…..નુપુર શર્મીએ દેશની માફી માગવી જોઈએ, સુપ્રિમકોર્ટે કહ્યું. કડક શબ્દોમાં દાખલો બેસાડતા સુપ્રિમ કોર્ટના જજે કહ્યું કે દેશભરમાં હાલ ફેલાયેલ અશાંતિ અને અરાજકતાના માહોલ માટે તેમનું નિવેદન જવાબદાર છે. આ સિવાય તાજેતરમાં રાજસ્થાનના ઉદયપુરમાં બનેલ ઝઘન્ય ઘટના બની તેના માટે પણ નુપુર શર્માને જવાબદાર ઠેરવી શકાય.દેશની વર્તમાન સ્થિતિ જોઈને ગુસ્સે થયેલ જસ્ટિસ કાંતે કહ્યું કે જો તે પાર્ટીના પ્રવક્તા હોય તો શું  ભાજપના આ સસ્પેન્ડેડ નેતા નુપુર શર્મા માને છે કે તેમની પાસે સત્તાનું સમર્થન છે તો ગમે તેમ બફાટ કરી શકે ? Law and Orderને માન આપ્યા વિના કોઈપણ નિવેદન આપી શકે છે ? જોકે આ અંગે દલીલ કરતા શર્માના વકીલે કહ્યું કે શર્મા દ્વારા કરવામાં આવેલ આ નિવેદન તેમના મંતવ્ય નથી. એન્કર દ્વારા પૂછવામાં આવેલ એક પ્રશ્નના જવાબમાં તેમણે આ નિવેદન આપ્યું હતુ. સામે પક્ષે જસ્ટિસ કાંતે આ પાયાવિહોણી દલીલ અંગે કહ્યું કે જો સવાલ જ પૂછવામાં આવ્યો છે તો પછી એ શોના હોસ્ટ સામે કેસ થવો જોઈતો હતો.સુપ્રિમ કોર્ટના કડક વલણ બાદ નુપુર શર્માના વકીલે સુપ્રિમ કોર્ટમાં તમામ કેસ એકત્ર કરવા માટેની અરજી પણ પરત ખેંચી છે. આટલા બધા કેસ છતા કોઈ કાર્યવાહી કેમ નથી થઈ તેમ સવાલ પૂછીને સુપ્રિમે પોલીસનો પણ ઉઘડો લીધો છે. બીજા સામે FIR થાય તો એને તરત પકડી લેવામાં આવે છે પણ તમારી ધરપકડ થતી નથી. આ દેખાડે છે કે તમારો પ્રભાવ કેટલો છે.તમને જણાવી દઈએ કે, નુપુર શર્મા ભાજપના પ્રવક્તા રહી ચુક્યા છે. તેમણે તાજેતરમાં એક ટીવી ડિબેટમાં પયગંબર મોહમ્મદ વિરુદ્ધ ટિપ્પણી કરી હતી. આ કારણે તેમના વિરૂદ્ધ અનેક રમખાણો અને ભારે વિરોધ ફાટી નિકળ્યો હતો. કુવૈત, યુએઈ, કતાર સહિતના તમામ મુસ્લિમ દેશોએ પણ તેમના નિવેદનની ટીકા કરી હતી. ત્યારબાદ ભાજપે નુપુર શર્માને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા.