નવા ભારતનું નિર્માણ યુવાનોના હાથમાં : મુખ્યમંત્રી

0
100
ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, આજરોજ ટેક્નિકલ શિક્ષણમાં 1 લાખથી વધુ વિદ્યાર્થીઓ પદવી મેળવી રહ્યા છે.
ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, આજરોજ ટેક્નિકલ શિક્ષણમાં 1 લાખથી વધુ વિદ્યાર્થીઓ પદવી મેળવી રહ્યા છે.

જીટીયુનો 10મો પદવીદાન સમારંભ મહાત્મા મંદિર ખાતે યોજાયો

  • શિક્ષણ ક્ષેત્રમાં જીટીયુ ભારતનું ભવિષ્ય છે. ભારતીય અર્થતંત્રનું ભવિષ્ય આઈઓટી, મશીનલર્નિંગ,3d પ્રિન્ટિંગ અને ક્લાઉડ કમ્પ્યુટીંગ સહિતના બિગ ડેટા એનાલિટિક્સ અને એમઆઈ જેવી નવીન ટેક્નોલોજીમાં છે : પદ્મવિભૂષણ ડૉ. ક્રિષ્નાસ્વામી કસ્તુરીરંગન :
    પૂર્વ ચેરમેન , ઈસરો
  • જીટીયુના વિદ્યાર્થીઓને દીક્ષા સાથે શિક્ષા અને શિક્ષા સાથે દીક્ષાના સમનવય થી માનવ કલ્યાણ અર્થે પ્રવૃત થવા મુખ્યમંત્રીની શીખ

અમદાવાદ : ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી(જીટીયુ)નો 10મો પદવીદાન સમારંભ આજરોજ તારીખ 18 જાન્યુઆરીના રોજ મહાત્મા મંદિર , ગાંધીનગર ખાતે યોજાયો. આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત, અતિથિ વિશેષમાં ઈસરોના પૂર્વ ચેરમેન , તાજેતરમાં એનઈપીની ડ્રાફ્ટીંગ કમિટીના ચેરમેન આ ઉપરાંત રાજસ્થાન કેન્દ્રીય વિશ્વવિદ્યાલય અને એનઆઈઆઈટીના કુલાધીપતિ પદ્મવિભૂષણ ડૉ. ક્રિષ્નાસ્વામી કસ્તુરીરંગન , મુખ્ય અતિથિ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી, શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિહ ચૂડાસમા, રાજ્ય શિક્ષણમંત્રી શ્રીમતી વિભાવરીબેન દવે , ટેક્નિકલ શિક્ષણના ડાયરેક્ટર શ્રી જી. ટી. પંડ્યા તથા જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠ અને કુલસચિવ ડૉ. કે. એન. ખેર હાજર રહ્યા હતાં. કાર્યક્રમની શરૂઆતમાં એનસીસી કૅડર દ્વારા રાજ્યપાલશ્રીને ગાર્ડ ઑફ ઓનર આપવામાં આવ્યું હતું. કુલસચિવ ડૉ. કે. એન. ખેર દ્વારા મંચસ્થ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના હસ્તે 10માં પદવીદાન સમારંભને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠ દ્વારા જીટીયુનો વાર્ષીક અહેવાલ રજૂ કરીને પદવી મેળવી રહેલા વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.

રાજ્યના શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિહ ચૂડાસમા દ્વારા ડિગ્રી મેળવી રહેલા વિદ્યાર્થીઓને અભિનંદન આપતાં જણાવાયું હતું કે, કોરોનાકાળમાં પણ જીટીયુના 8865 વિદ્યાર્થીઓને વિવિધ કંપનીઓ દ્વારા વાર્ષિક 1.80 થી 10 લાખ સુધીના જોબ પેકેજ પૂરાં પાડવામાં આવ્યા છે. રિસર્ચ અને ઈનોવેશનમાં જીટીયુ ઈનોવેશન કાઉન્સિલને વિવિધ એવોર્ડ પ્રાપ્ત થયા છે. જેમાં ચાલુ શૈક્ષણિક વર્ષ દરમ્યાન ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ. વૈકેયા નાયડુના હસ્તે “અટલ રેન્કિંગ ઑફ ઈન્સ્ટિટ્યૂશનલ ઓન ઇનોવેશન એચિવમેન્ટ , નેશનલ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ મીટ દરમિયાન કેન્દ્રીય મંત્રી શ્રી પ્રકાશ જાવડેકરના હસ્તે રાજ્યની શ્રેષ્ઠ યુનિવર્સિટી તરીકે એસએસઆઇપી પ્રસંશા એવોર્ડ પ્રાપ્ત થયેલ છે. સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઈનોવેશન (એસએસઆઈપી) પોલીસી લાવનાર ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ રાજ્ય છે. એસએસઆઈપી અંતર્ગત ગુજરાત સરકારની 62કરોડની સહાય વડે આગામી સમયમાં શિક્ષણ મંત્રાલય દ્વારા રાજ્યની તમામ 77 યુનિવર્સિટીમાં આઈ-હબ સેન્ટર ખોલાશે. જેમાંથી 30 યુનિવર્સિટીમાં આ સેન્ટર કાર્યરત થઈ ચૂક્યા છે. એપ્રિલ-2021માં રાજ્ય સ્તરની હેકાથોન સ્પર્ધાનું પણ આયોજન કરીને ટેક્નોલોજી થકી આત્મનિર્ભર ભારતના નિર્માણમાં સહભાગી થશે.ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, આજરોજ ટેક્નિકલ શિક્ષણમાં 1 લાખથી વધુ વિદ્યાર્થીઓ પદવી મેળવી રહ્યા છે. તે જીટીયુ તેમજ સમગ્ર રાજ્ય માટે પણ ગૌરવની વાત છે. ઈનોવેશનના આઈડિયાથી લઈને પ્રોડક્ટ્સની પેટર્ન સુધીની તમામ પ્રકારની સહાય અને માર્ગદર્શન જીટીયુ દ્વારા આપવામાં આવે છે. જીટીયુ દ્વારા અત્યાર સુધી કુલ 315 ઈનોવેટર્સને તેમની પ્રોડક્ટ્સની પેટર્ન ફાઈલ કરવા માટે મદદ કરવામાં આવેલી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, લોકડાઉન સમયે પણ ટેક્નિકલ શિક્ષણની સાથે-સાથે સ્ટાર્ટઅપ અને ઈનોવેશન થકી જીટીયુએ સમાજસેવા શ્રેષ્ઠ ઉદાહરણ પૂરૂં પાડ્યું છે. 35 વર્ષ અગાઉ રાજ્યમાં માત્ર 7 યુનિવર્સિટી હતી, જેની સંખ્યા હાલના સમયે 77 થયેલ છે. ટેક્નિકલ કૉલેજો માત્ર 20 હતી તે વધીને 242 થઈ છે. જ્યારે ડિગ્રી અને ડિપ્લોમાં એન્જિનિયરીંગ સીટો વધીને અનુક્રમે 2295 માંથી 81000 અને 6020 માંથી 75000 થઈ છે. જે દર્શાવે છે કે, ગુજરાત શિક્ષણક્ષેત્રે પણ આજના સમયમાં હબ તરીકે ઉભરી આવ્યું છે.

નાલંદા અને તક્ષશિલા જેવી વિશ્વવિખ્યાત યુનિવર્સિટીઓમાં વિદેશમાંથી અનેક વિદ્યાર્થીઓ શિક્ષણ પ્રાપ્ત કરવા માટે ભારત આવતાં હતાં. એ પરંપરા હાલના સમયમાં જીટીયુમાં જોવા મળી રહી છે. રાજ્યમાં સૌથી વધુ વિદેશી વિદ્યાર્થીઓ ધરાવતી એકમાત્ર ટેક્નોલોજીકલ યુનિવર્સિટી જીટીયુ છે. જેમાં વિશ્વના 48 દેશના 827 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી ચૂક્યા છે. સ્કીલ્ડ અને નોલેજ એ આજની સદીની જરૂરીયાત છે.પદવી મેળવી રહેલાં વિદ્યાર્થીઓ નોકરીકર્તાની જગ્યાએ નોકરીદાતા બનીને રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી થઈને નવાભારતના નિર્માણમાં સહભાગી થાય તે બાબતે ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.

સમારંભના અતિથી વિશેષ એવા ઈસરોના પૂર્વ ચેરમેન, તાજેતરમાં એનઈપીની ડ્રાફ્ટીંગ કમિટીના ચેરમેન અને રાજસ્થાન કેન્દ્રીય વિશ્વવિદ્યાલય અને એનઆઈઆઈટીના કુલાધીપતિ પદ્મવિભૂષણ ડૉ. ક્રિષ્નાસ્વામી કસ્તુરીરંગન દિક્ષાંત પ્રવચન આપતાં જણાવ્યું હતું કે, જીટીયુના 10મા દીક્ષાંતરણ સમારંભમાં આમંત્રીત કરવા બદલ હું જીટીયુ પરિવારનો આભારી છું. આજ થી 13 વર્ષ પેહલા વડાપ્રધાનશ્રી નરેન્દ્રમોદીજી દ્વારા રોપવામાં આવેલ શિક્ષણરૂપી બિજ આજે વિશાળ વટવૃક્ષ બનીને વિકસ્યું છે. શિક્ષણ, પર્યાવરણીય અખંડિતતા, સમરસતા જેવા વિવિધ ક્ષેત્રે રાષ્ટ્રીય સ્તરે મહત્વ પૂર્ણ યોગદાન આપનાર એવા પોતાની અલગ ઓળખ ઉભી કરનાર એવા માનનીય શ્રી આચાર્ય દેવવર્તજી દ્વારા સૂચારૂ રીતે જીટીયુનું સંચાલન કરવામાં આવે છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં ગુજરાત વિકાસના પંથે સતત આગળ વધી રહ્યું છે. કુશળ વહીવટકર્તા અને શિક્ષણશાસ્ત્રી એવા જીટીયુના કુલપતિ પ્રો.ડૉ. નવીન શેઠના માર્ગદર્શન હેઠળ યુનિવર્સિટીએ બૌદ્ધિક સંપદા, પ્રતિબદ્ધતા અને નવીન અભિગમના ક્ષેત્રમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવી છે. ડિગ્રી મેળવી રહેલાં વિદ્યાર્થીઓને અભિનંદન આપતાં જણાવવું છે આપ આ રાષ્ટ્રની આવતીકાલ છો. જ્યારે જ્ઞાન અને શિક્ષણ ક્ષેત્રમાં જીટીયુ ભારતનું ભવિષ્ય છે. કારણકે જીટીયુ દ્વારા તમામ સ્તર પર એનઈપી ૨૦૨૦ના અમલીકરણ માટે અલાયદો વિભાગ , બહુવિધ પ્રવેશ અને નિકાસ , ક્રેડિટ ટ્રાન્સફર , સંશોધન અને ડિઝાઇન થીંકીંગ, વગેરે મુદ્દાઓને આવરી લઈને વિદ્યાર્થી હિતમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે કરી છે.

ડિગ્રી મેળવી રહેલાં વિદ્યાર્થીઓને સંબોધતાં તેમણે જણાવ્યું હતું કે, ભારતીય અર્થતંત્રનું ભવિષ્ય આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ , મશીન લર્નિંગ, 3-ડી પ્રિન્ટિંગ અને ક્લાઉડ કમ્પ્યુટિંગ સહિતના બિગ ડેટા એનાલિટિક્સ અને મશીન ઇન્ટેલિજન્સ (એમઆઈ) જેવી નવીન ટેક્નોલોજીમાં વિશેષ છે. બિગ ડેટા એનાલિટિક્સ એ સૌથી ઝડપથી વિકસતી ટેક્નોલોજી છે. વધુમાં જણાવ્યું હતું કે ન્યૂ એજ્યુકેશન પોલિસીને અનુરૂપ જીટીયુ આગામી સમયમાં સેન્ટર ઓફ એક્સલેન્સ અંતર્ગત શિક્ષકો માટે બી .એડ અને એમ.એડ.ના અભ્યાસક્રમો પણ શરૂ કરવા જોઈએ. ન્યૂ એજ્યુકેશન પોલિસી અંતર્ગત સંશોધન અને ઉદ્યોગોની જરૂરિયાતોને ધ્યાનમાં લઈને નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન (એનઆરએફ) દ્વારા સંશોધનનું નિરીક્ષણ કરવામાં આવશે, જેમાં પર્યાપ્ત ભંડોળ, માર્ગદર્શન અને રિસર્ચ ઇકોસિસ્ટમ બાબતે મદદરૂપ થશે. એનઇપી 2020માં એકેડેમિક બેંક ક્રેડિટ્સ એ શિક્ષણ માટે ગેમ ચેન્જર છે. આ ઉપરાંત મલ્ટીપલ એન્ટ્રી અને એક્ઝીટના સિદ્ધાંત પર કોઈ પણ સમયે શીખવા માટે મદદરૂપ રહશે.

વધુમાં તેઓએ અમદાવાદ શહેર અને ડૉ. વિક્રમ સારાભાઇ સાથેના સંસ્મરણો યાદ કર્યા હતાં. તેમણે જણાવ્યું કે પીઆરએલમાં હતો ત્યારે, ગુજરાતના લોકોની હૂંફ ન મળી હોત તો મને કાર્ય કરવામાં ખૂબ જ મુશ્કેલી પડતી. પ્રોફેસર વિક્રમ સારાભાઇને યાદ કરતાં જણાવ્યું હતું કે, તેઓ અતિશય પ્રભાવશાળી વ્યક્તિત્વ હોવા છતાં, સેવક અને પ્રાધ્યાપકો વચ્ચે તેઓ “વિક્રમભાઈ” તરીકે જ ઓળખાતા હતા. પીઆરએલમાં મારા 8 વર્ષોએ મારી વિચારસરણી અને વ્યક્તિત્વને ઘણી રીતે પરિવર્તિત કરી છે. તે બદલ જીવનભર તેનો આભારી છું. ભારતના રિમોટ સેન્સિંગ સેટેલાઇટ પ્રોગ્રામના વિકાસમાં અમદાવાદ શહેરનું યોગદાન પણ બહુમૂલ્ય છે. તે સમયે આપણા માટે તકનીકી ક્ષમતાના સ્તરને ધ્યાનમાં રાખીને એક વાસ્તવિક પડકાર હતો . તેમ છતાં, આપણા એન્જિનિયરો દ્વારા સફળતાપૂર્વક એ કાર્ય કરવામાં આવ્યું હતું. હું આશા રાખુ કે , જીટીયુના યુવા ઈજનેર પણ આગામી સમયમાં અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે પણ કાર્યરત રહીને દેશ વિકાસમાં સહભાગી થાય. વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે તેઓએ શુભકામનાઓ પાઠવી હતી.
દરમ્યાન ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રી અને જીટીયુના કુલાધીપતિ આચાર્ય દેવવ્રતજીએ વિદ્યાર્થીઓને સંબોધતાં જણાવ્યું હતું કે, ભારતને વિશ્વગુરૂ બનાવવા માટે આજની યુવાપેઢીનું યોગદાન બહુમૂલ્ય છે. આપણે આપણી પ્રાચીન સંસ્કૃતિને ભૂલવી ના જોઈએ તથા અર્વાચીન પરંપરાને પણ અપનાવવી જોઈએ. સદાય માટે વિદ્યાર્થી બનીને નવીનત્તમ જ્ઞાનને ગ્રહણ કરીને વિશ્વના દરેક ક્ષેત્રમાં જ્ઞાનનો પ્રચાર અને પ્રસાર કરતાં રહેવા માટે વિદ્યાર્થીઓને જણાવ્યું હતું.
જીટીયુના 10માં પદવીદાન સમારંભમાં જુદા-જુદા કોર્સના 106511 જેટલા વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. જેમાંથી 132 વિદ્યાર્થીઓને ગૉલ્ડ મેડલ તથા 51 વિદ્યાર્થીઓને પી.એચ.ડીની ડિગ્રી એનાયત કરાઈ હતી. જીટીયુની પરંપરા મુજબ નવીન સાહસને પ્રોત્સાહન આપવા બાબતે બ્રુક એન્ડ બ્લૂમ્સ સ્ટાર્ટઅપના યશ ભટ્ટને શ્રેષ્ઠ સ્ટાર્ટઅપ કર્તા માટેનો આ વર્ષેનો ગૉલ્ડ મેડલ આપીને સન્માનવામાં આવ્યા છે. જેમણે મંદિરમાં ચઢાવેલાં ફૂલો અને પૂજાપામાંથી હાઈક્વૉલિટીનું ખાતર , ગુલાબજળ, અગરબત્તી અને અન્ય ગીફ્ટ બાઉલ બનાવીને વેસ્ટ મેનેજમેન્ટ અને એમ્પલોઈમેન્ટ માટેનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ઓનલાઈન અને ઓફલાઈન બન્ને રીતે પદવીદાન સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં પી.એચડી અને ગોલ્ડ મેડલ મેળવનારા વિદ્યાર્થીઓને રૂબરૂમાં અને અન્ય વિદ્યાર્થીઓને સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા પદવી એનાયત કરાઈ હતી.