24 જાન્યુઆરીએ પુત્રદા એકાદશી, હિંદુ કેલેન્ડર પ્રમાણે વર્ષમાં 2 વાર આ વ્રત કરવામાં આવે છે

0
56

પોષ મહિનાના સુદ પક્ષની એકાદશીએ પુત્રદા એકાદશી વ્રત કરવામાં આવે છે. આ એકાદશીનું મહત્ત્વ પુરાણોમાં પણ ઉલ્લેખવામાં આવ્યું છે. આ વખતે આ એકાદશી વ્રત 24 જાન્યુઆરીના રોજ કરવામાં આવશે. પુત્રદા એકાદશીનું મહત્ત્વ સ્વયં ભગવાન શ્રીકૃષ્ણએ ધર્મરાજ યુધિષ્ઠિરને જણાવ્યું હતું. ધર્મગ્રંથો પ્રમાણે, આ વર્તથી યોગ્ય સંતાનની પ્રાપ્તિ થાય છે.

પુત્રદા એકાદશીએ સવારે જલ્દી જાગીને સ્નાન પછી સાફ જગ્યાએ ભગવાન વિષ્ણુની પ્રતિમા સ્થાપિત કરો. શંખમાં પાણી લઇને પ્રતિમાનો અભિષેક કરો. ભગવાન વિષ્ણુને ચંદનનું તિલક લગાવો. ચોખા, ફૂલ, અબીર, ગુલાલ, અત્તર વગેરેથી પૂજા કરો. તે પછી દીવો પ્રગટાવો. પીળા વસ્ત્ર અર્પણ કરો. સિઝનલ ફળ સાથે આંબળા, લવિંગ, લીંબુ, સોપારી પણ ચઢાવો. તે પછી ગાયના દૂધથી બનેલી ખીરનો ભોગ ધરાવો. રાતે મૂર્તિ પાસે જ જાગરણ કરો. ભગવાનના ભજન ગાવા. બીજા દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવો. તે પછી જ ઉપવાસ ખોલવો.

પુત્રદા એકાદશીની કથાઃ-
પહેલાં એક સમયે ભદ્રાવતીપુરીમાં રાજા સુકેતુમાન રાજ્ય કરતાં હતાં. તેમની રાણીનું નામ ચંપા હતું. તેમને ત્યાં કોઇ બાળક હતું નહીં, એટલે બંને પતિ-પત્ની હંમેશાં ચિંતામાં રહેતાં હતાં. આ ચિંતામાં એક દિવસ રાજા સુકેતુમાન વનમાં જતાં રહ્યાં. ત્યાં અનેક મુનિઓ વેદપાઠ કરી રહ્યા હતાં. રાજાએ તે બધા જ મુનિઓને વંદના કરી. પ્રસન્ન થઇને મુનિઓએ રાજા પાસે વરદાન માંગવા માટે કહ્યું. મુનિ બોલ્યા કે પોષ મહિનાના સુદ પક્ષની એકાદશીને પુત્રદા એકાદશી કહેવામાં આવે છે. તે દિવસે વ્રત રાખવાથી યોગ્ય સંતાનની પ્રાપ્તિ થાય છે. તમે પણ આ વ્રત કરો. ઋષિઓના કહેવાથી રાજાએ પુત્રદા એકાદશીનું વ્રત કર્યું. થોડા જ દિવસો પછી રાણી ચંપાએ ગર્ભ ધારણ કર્યો. યોગ્ય સમય આવતાં જ રાણીએ એક તેજસ્વી પુત્રને જન્મ આપ્યો, જેણે પોતાના ગુણો દ્વારા પિતાને સંતુષ્ટ કર્યા તથા ન્યાય પૂર્વક શાસન કર્યું.